મોરબી દુર્ઘટના મામલે પોલીસે પત્રકાર પરિષદ યોજી 9 લોકોની ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતું. વધુમાં જયસુખ પટેલની ધરપકડ સામે પોલીસે ગોળ ગોળ જવાબ આપ્યા હતા.
મોરબી દુર્ઘટના પર પોલીસની પત્રકાર પરિષદ
ઓરેવાના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે: પોલીસ
જયસુખ પટેલની ધરપકડ સામે પોલીસનો ગોળ ગોળ જવાબ
મોરબીમાં પુલ તૂટતાં એક ઝાટકો અને અનેક જીંદગીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. મોરબીની મચ્છુ નદી ફરી એક વખત મોતની નદી બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે આ મામલે પોલીસે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં રેન્જ IG અશોક યાદવએ માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે ગઈકાલે અતિ દુ: ખદ દુર્ઘટના બની હતી. જેમાં લગભગ 24 કલાક સુધી કરૂણ દ્રશ્યો અમે જોયા હતા. આ અંગે અમે એક FIR દાખલ કરી છે. 9 આરોપીઑ સામે મોરબી પોલીસે 304, 308, 114 અંતર્ગત ગુના દાખલ કર્યા છે.
જાગૃત નાગરિક દ્વારા ઓનલાઇન પીટીશન
મોરબી હોનારતના પગલે ગુજરાતના જાગૃત નાગરિક દ્વારા ઓનલાઇન પીટીશન change.org/BridgeToSafetyશરૂ કરી છે. જેમાં ઓરેવા કંપનીને સરકારના તમામ કોન્ટ્રાક્ટ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે
પોલીસે જયસુખ પટેલ વિશે 'ન બોલવામાં નવ ગુણ'ની માફક મૌન સીવી લીધું
વધુમાં અમે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાનો પ્રયાસ કરી આવી ઘટનામાં દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો હોવાનો રેન્જ IG અશોક યાદવએ દાવો કર્યો હતો. ઉપરાંત માનવતા માટે મોરબી પોલીસના એક-એક વ્યક્તિએ કામ કર્યુ હતું. ત્યારે ઓરેવા કંપનીના જયસુખ પટેલનું નામ ન આવતા સવાલો ઊભા થયા હતા. જયસુખ પટેલ ધરપકડ સામે પોલીસે ગોળ ગોળ જવાબ આપ્યા હતા. દુર્ઘટનામાં આરોપી હશે તેની સામે કાર્યવાહી કરાશે. તેવા જૂના જવાબોની કેસેટ વગાડી હતી. પોલીસે ઓરેવાના બે મેનેજરની ધરપકડ કરી સંતોષ માની લીધો હતો. જ્યારે પોલીસે જયસુખ પટેલ વિશે 'ન બોલવામાં નવ ગુણ'ની માફક મૌન સીવી લીધું હતુ. જેથી મોટી માછલીને છોડી અન્ય 9ની ધરપકડ કરાઇ હોવાનો લોકોમાં ગણગણાટ ઊભો થયો હતો.
9 આરોપીઓની કરી અટકાયત
મોરબી દુર્ઘટનામાં પોલીસની કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. પોલીસે અત્યાર સુધી 9 આરોપીઓની અટકાયત કરી છે. જે તમામ આરોપીઓને મોરબી સિવિલ લાવવામાં આવ્યા છે. આ મામલે પોલીસ દ્વારા માહતી આપવામાં આવી હતી. જેમાં 2 મેનેજર,2 રિપેરિંગ નું કામ કરનાર કોન્ટ્રાકટર પિતા પુત્ર, 3 સિક્યુરિટી ગાર્ડ, 2 ટિકિટ ક્લાર્કની અટકાયત કરી લેવામાં આવી છે. જેમના નામ દિપક પારેખ(મોરબી)44 વર્ષ, દિનેશ દવે(મોરબી)41, મનસુખ ટોપીયા (મોરબી)59, માદેવ સોલંકી( મોરબી)36, પ્રકાશ પરમાર(ધ્રાંગધા)63, દેવાંગ પરમાર(ધ્રાંગધા)31, અલ્પેશ ગોહિલ(દાહોદ)25, દિલીપ ગોહિલ(દાહોદ)33, મુકેશ ચૌહાણ(દાહોદ)26
જવાબદારો સામે કરાશે કાયદેસરની કાર્યવાહી: ગૃહ રાજ્યમંત્રી
બીજી બાજુ આ મામલે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ બ્રિજનું સમારકામ સંભાળનાર એજન્સી વિરુદ્ધ કલમ 304, 308 અને 114 મુજબ ક્રિમિનલ કેલ દાખલ કરવામાં કરવામાં આવ્યો છે. જેની તપાસ પણ આજે શરૂ કરવામાં આવશે. ઊંડી તપાસ કરી કશૂરવારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.