ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર 16 હજાર 667 ખેડૂતોને મોબાઈલ ખરીદી પર રૂપિયા 6 હજાર ચૂકવશે.
રાજ્યના 16 હજાર 667 ખેડૂતોને અપાશે મોબાઈલ સહાય
કુલ અરજીમાંથી 32 હજાર 775 અરજી કરવામાં આવી મંજૂર
મોબાઈલ ખરીદી પર રાજ્ય સરકાર ચૂકવશે 6 હજારની સહાય
રાજ્ય સરકારના કૃષિ વિભાગે ખેડૂતોનો મોબાઈલની સહાય આપવા માટે આઈ ખેડૂત મોબાઈલ સહાય યોજના બહાર પાડી હતી. આ સહાયનો લાભ લેવા માટે કુલ 33 હજાર 79 અરજી કરવામાં આવી હતી. જેમાંથી કૃષિ વિભાગે 32 હજાર 775 અરજી મંજૂર કરી છે. જો કે, ખેડૂતોને મોબાઈલ સહાય આપવા માટે રાજ્ય સરકારે બજેટમાં 10 કરોડની જ જોગવાઈ કરી છે. જેથી 16 હજાર 667 ખેડૂતોને મોબાઈલની સહાય કરવામાં આવશે. આ સહાય અંતર્ગત કૃષિ વિભાગ આ ખેડૂતોને મોબાઈલની ખરીદી કરવા પર 6 હજાર રૂપિયાની ચૂકવણી કરશે.
કૃષિ વિભાગે સ્માર્ટ ફોનની ખરીદીમાં સહાય 10 ટકાથી વધારીને 40 ટકા કરી દીધી છે
ઉલ્લેખનીય છે કે, આ અંગે વધુમાં તમને જણાવીએ કે રાજ્યના કૃષિ વિભાગે સ્માર્ટ ફોનની ખરીદીમાં સહાય 10 ટકાથી વધારીને 40 ટકા કરી દીધી છે. ખેડૂતોને 15 હજારની કિંમત સુધીના ફોનની ખરીદીમાં સરકાર મદદ કરશે. કિંમતના 40 ટકા અને વધુમાં વધુ રૂપિયા 6 હજાર સુધીની સહાય ખેડૂતોને મોબાઈલ ખરીદી પર આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, પહેલાં 15 હજાર રૂપિયાના મોબાઈલની ખરીદી પર 10 ટકાની સહાય મળતી હતી. જ્યાર બાદ કૃષિ વિભાગે સહાય વધારવા નાણાં વિભાગની મંજૂરી માંગી હતી. જ્યાર બાદ વધારે સહાય આપવાની મંજૂરી પણ રાજ્ય સરકારને મળી ગઈ હતી. આથી જે-તે સમય દરમ્યાન રાજ્ય સરકારે લેખિત પરિપત્ર બહાર પાડી સહાય વધારાની જાહેરાત કરી હતી. ઉદાહરણ તરીકે, જો ખેડૂત 15000નો ફોન વસાવે છે તો સરકાર ખેડૂતને રૂપિયા 6 હજારની સહાય આપશે. જ્યારે બાકીના 9 હજાર ખેડૂતે જાતે ભોગવવાના રહેશે.
જાણો શું છે આ યોજના?
ગુજરાતના ખેડૂતોને લઈ સીએમ ભૂપેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો હતો. જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કરવા માટે સહાયની જાહેરાત કરવામાં આવી હતી. ખેડૂત ખાતેદારમાં નોંધણી હોય તેવાં પરિવારમાંથી એક ખેડૂતને મોબાઇલની ખરીદી પર રૂપિયા 6000 સુધીની સહાય અપાશે. સરકારે તૈયાર કરેલી 'નો યોર ફાર્મર' યોજના થકી ખેડૂતો મોંઘા ફોનની ખરીદી કરી શકશે. જેનું વ્યાજ સરકાર ભોગવશે. એ માટે કો-ઓપરેટિવ બેન્ક ખેડૂતોને ધિરાણ આપશે અને આથી સહાયની આ જાહેરાતથી દરેક ખેડૂત માટે સ્માર્ટ ફોન વસાવવો સહેલો બનશે.