અમદાવાદ શહેરમાં હૃદય હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતાં પિતાને બે પુત્રોએ પિતાને ઘરમાંથી જતાં રહેવા દબાણ કરી માર માર્યો હતો.આ મામલે પિતાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.
પિતાને માર મારી બે પુત્રએ ધમકી આપી
બહેરામપુરાનો બનાવઃ લાચાર પિતાએ પોલીસ ફરિયાદ કરી
બન્ને પુત્રોએ પિતાને ઘરમાંથી જતાં રહેવા દબાણ કરી માર માર્યો
શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતાં પિતાને બે પુત્રોએ ઘરમાંથી કાઢી મૂકવાનું કહી પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ધમકી આપતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. બન્ને પુત્રોએ પિતાને ઘરમાંથી જતાં રહેવા દબાણ કરી માર માર્યો હતો. જેથી તેમણે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. કાગડાપીઠ પોલીસે પિતાની અરજીના આધારે બંને પુત્રો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
મૂલચંદભાઇએ પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા બાદ મામલો શાંત પડ્યો
બહેરામપુરામાં આવેલી વિજયાલક્ષ્મી સોસાયટીમાં રહેતા મૂલચંદભાઇ ક્રિષ્નાની તેમનાં પત્ની, અને ત્રણ પુત્રો સાથે રહે છે. અંદાજે ૨૦ દિવસ પહેલા મૂલચંદભાઇના પુત્ર રાહુલ અને જયપ્રકાશે તેમના ઘરમાંથી જતાં રહેવા કહ્યું હતું. પુત્રોની વાત સાંભળીને મૂલચંદભાઇએ તેમને જણાવ્યું હતું કે આ મારું ઘર છે તમે મને કેમ ઘરમાંથી કાઢી મૂકો છો. પિતાની વાત સાંભળીને બંને જણા ઉશ્કેરાઈ ગયા હતા અને ગડદાપાટુંનો માર માર્યો હતો. મૂલચંદભાઇએ આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. મૂલચંદભાઇએ પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા બાદ મામલો શાંત પડ્યો હતો.
પેટ્રોલ છાંટી જાનથી મારી નાખવાની ધમકી
સોમવારે બપોરે મૂલચંદભાઈ ઘર પાસે ઊભા હતા ત્યારે રાહુલ આવ્યો હતો અને કહ્યું હતું કે અમારી સામે કરેલી અરજી પાછી લઈ લો નહીં તો પેટ્રોલ છાંટી જાનથી મારી નાખીશ તેમ કહીને માર માર્યો હતો. પોલીસે આ મામલે બન્ને પુત્ર વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.