બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / History of Lakhpat kutch World Heritage Day 2023 latest news
ADVERTISEMENT
કહેવાય છે કે 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા'. કારણ કે કચ્છમાં ભવ્ય 'રણોત્સવ'નું આયોજન થતા કચ્છ આજે પ્રવાસન ક્ષેત્રે ગુજરાતનું એક અવિસ્મરણીય નજરાણું બની ગયું છે. રજવાડી ઇતિહાસથી લઇને ગુજરાતના કલાત્મક અને કિલ્લેદાર પર્યટન સ્થળો સિવાય દેશી અને વિદેશી પર્યટકોમાં પણ આજે કચ્છ ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યું છે ત્યારે આજે અમે કચ્છના એક એવાં જ નગર વિશે વાત કરીશું કે જે એક સમયે દરિયાઈ માર્ગે થતા વેપારના કારણે ધમધમતું તેમજ તેની જાહોજલાલી માટે ખૂબ જ પ્રસિદ્ધ હતું અને તે છે લખપત.

ADVERTISEMENT
16મી સદીમાં લખપત ‘બસતા બંદર’ તરીકે ઓળખાતું
લખપત કે જે એક જમાનામાં સિંધ પ્રાંતનો પ્રદેશ હતો. જૂના દસ્તાવેજોના ઉલ્લેખ મુજબ, 16મી સદીમાં આ શહેરને ‘બસતા બંદર’ તરીકે પણ ઓળખવામાં આવતું. ત્યારે પછીથી તે કઇ રીતે લખપત બંદરમાં પરિવર્તિત થયું તેની પાછળની પણ એક રસપ્રદ કહાની છે.
અહીં આવેલી છે ગુરુ નાનક દેવની સ્મૃતિરૂપ ચરણપાદુકા
અહીં ગુરુ નાનકથી લઇને પીર બાબા પણ આવી ચૂક્યાં છે. ગુરુ નાનક દેવની સ્મૃતિરૂપ ચરણપાદુકા પણ અહીં ઉદાસી સંપ્રદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે. ગુરુ નાનક અહીંથી મક્કા-મદીના ધર્મ પ્રચાર માટે ગયા હતા એવું કહેવાય છે, 2 વખત આવ્યા-ગયા.
ADVERTISEMENT
એક સમયે રોજની આવક હતી એક લાખ કોરી, કારણ 'રાતા ચોખા'
એવું કહેવાય છે કે, લગભગ 200થી 250 વર્ષ પહેલાં આ વિસ્તારમાંથી સિંધુ નદી વહેતી હતી અને છેક દેશલપરમાં તે ભળતી હતી. ત્યારે સિંધુ નદીનું પાણી આ પ્રદેશ માટે એક આશીર્વાદરૂપ હતું. આ સાથે સિંધુ નદીનું પાણી તેમજ ભૌગોલિક પરિસ્થિતિઓના કારણે આ પ્રદેશ એ જમાનામાં ચોખાના ઉત્પાદન માટે પણ નંબર વન ગણાતો. કારણ કે અહીં ચોખાનો મબલક પાક ઉતારવામાં આવતો. એવું કહેવાય છે કે, એ સમયે લખપતના ચોખા કે જે લાલ કલરના રાઇસ એટલે કે 'રાતા ચોખા' તરીકે ઓળખાતા તે ખૂબ જ પ્રસિદ્ધ હતા. આથી ચોખાના પાકના કારણે થતી આવકમાંથી અહીં એ સમયે રાજ્યની આવક એક દિવસમાં તો એક લાખ કોરી (એ સમયનાં Coins) હતી. જેનું મહેસૂલ કચ્છ રાજ્યને ચૂકવવામાં આવતું. એટલા માટે તેનું નામ 'લખપત' પડ્યું હોવાનું કહેવાય છે. લાખોની આવક તેમજ અહીં રાવ લખપત થઈ ગયા એમ આ બંને કારણોસર પણ તેનું નામ 'લખપત' પડ્યું હતું. કચ્છમાં રાવ લખપતના સમયમાં (ઈસ. 1741-1761) લખપતમાં હુન્નરકળાનો ખાસ વિકાસ થયો હતો.
બધું જ અહીં બરાબર ચાલી રહ્યું હતું. લખપતવાસીઓ પણ ચોખાના પાકમાંથી થતી આવકના કારણે ખૂબ ખુશ હતા કારણ કે ઇતિહાસકારોના મતે એ સમયમાં આ પ્રદેશમાં રહેનાર પ્રત્યેક માનવી લખપતિ હતો. પરંતુ કહેવાય છે ને કે, 'કુદરતની સામે મનુષ્ય પાંગળો છે.' કુદરત ઇચ્છે તો જળ હોય ત્યાં સ્થળ અને સ્થળ હોય ત્યાં જળ કરી નાખે. આવું જ કંઇક લખપતમાં થયું હતું.
ADVERTISEMENT

વિનાશક ભૂકંપનો એ દિવસ ક્યારેય નહીં ભૂલાય
તારીખ 16 જૂન 1819નો એ દિવસ કે જ્યારે સાંજના લગભગ 6:45 વાગ્યે 7.9ની તીવ્રતાના વિનાશક ભૂકંપથી લખપતની ધરા ધ્રુજી ઉઠી હતી. જેના લીધે અહીં વહેતી સિંધુ નદીએ પોતાનો રસ્તો જ બદલી દીધો હતો. કચ્છના નકશામાંથી એકાએક સિંધુનું વહેણ ગાયબ કરી 90 કિલોમીટર લાંબો અને 16 કિલોમીટર પહોળો તેમજ 6 મીટર ઊંચો એક બંધ સર્જી દીધો હતો જે ઇતિહાસમાં 'અલ્લાહબંધ'થી ઓળખાય છે. ત્યારથી લખપતનો આ કિલ્લો સાવ વેરાન-ઉજ્જડ થઇ ગયો હોવાનું મનાય છે.
ADVERTISEMENT
કચ્છ અને સિંધ વચ્ચે વેપારનું મુખ્ય કેન્દ્ર એટલે લખપત
લખપત કચ્છ અને સિંધની વચ્ચે વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. દરમ્યાન અહીં વારંવાર સિંધના અમીર તરફથી હુમલા થતા. જેનો મુખ્ય હેતુ વિસ્તાર વધારવાનો નહીં, પરંતુ ધનસંપત્તિ મેળવવાનો હતો.
આવક બંધ થવા પાછળનું અન્ય એક કારણ
રિપોર્ટ્સ ઑફ ઇન્ટરનેશનલ આર્બિટ્રલ ઍવૉર્ડ્સ (VOLUME XVII, પેજ નંબર 32) પર જણાવ્યા મુજબ, ઈસ. 1760માં રાવ ગોડજીએ કચ્છની ગાદી સંભાળી. 1762માં સિંધના કાલહોરા શાસક ગુલામશાહે હુમલો કર્યો. બીજી બાજુ કચ્છના શાસક કે જેઓ અગાઉથી સાવચેત હતા પરંતુ રણમાં લાંબી મુસાફરી કરીને પાણીના અભાવ વચ્ચે ઝારા પહોંચેલા સિંધના આક્રમણકારોની ઉપર હુમલો કરવાના બદલે તે સમયની બે દિવસ રાહ જોઈ.
ADVERTISEMENT
જેના લીધે આક્રમણકારોને મોકો મળી ગયો. આથી જ્યારે ખરેખર યુદ્ધ થયું ત્યારે જાડેજા ભાયાતો ટક્કર ન આપી શક્યા. ત્યારે ગુલામશાહે રાજકન્યાની માંગ કરી. પરંતુ આ શરતનું પાલન નહીં થતાં સિંધમાં મોરા ખાતે પૂરણ નદીનો કચ્છ આવતો પ્રવાહ અટકાવી દેવાયો. 'શ્રી યદુવંશ પ્રકાશ'માં (દ્વિતીય ખંડ, પેજનંબર 181) ઉલ્લેખ અનુસાર, સિંધુ નદીની કોરી નામની શાખા દ્વારા કચ્છના બન્ની અને ગરડા સુધી પાણી આવતું. પરંતુ સિંધમાં બંધ બંધાવવાના કારણે પ્રવાહ અટકી ગયો અને કચ્છને દર વર્ષે થતી આઠ લાખ કોરીની આવક અટકી ગઇ.
લખપત ગામને એક લાખ કોરીની આવક થતી
લખપતનું નામ 'લખપત' એટલાં માટે પડ્યું કે જે-તે સમયે એક લાખ કોરીની આવક લખપત ગામને થતી હતી. મોટું બંદર હતું. સાઉથ એશિયાથી લઇને અહીંયા ઘણું બધું એક્સપોર્ટ પણ થતું હતું.' - લખપત ગુરૂદ્વારા કમિટી, પ્રેસિડેન્ટ

રહેવા-જમવા માટે અહીં એક માત્ર ગુરૂદ્વારા, જ્યાં રોજના 200થી 250 પ્રવાસીઓ જમે છે 'ફ્રી ઓફ ચાર્જ'
કચ્છ આવેલા પ્રવાસીઓને લખપતનો ઇતિહાસ જાણવામાં પણ ચોક્કસથી રસ રહેલો હોય છે. કારણ કે અહીં રેગ્યુલર દિવસે પણ 300થી 400 પ્રવાસીઓ આવતા હોય છે અને એમાંય જ્યારે કચ્છમાં રણોત્સવ જેવો ઉત્સવ હોય ત્યારે તો અહીં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. અહીં રહેવા-જમવાની જો વાત કરીએ તો અહીં ગુરૂદ્વારા સિવાય અન્ય કોઇ પણ જગ્યાએ રહેવાની સુવિધા નથી. એક માત્ર ગુરૂદ્વારા જ છે. જ્યાં રોજના 200થી 250 પ્રવાસીઓ ફ્રી ઓફ ચાર્જ જમતા હોય છે. તેમજ રહેવા માટેની પણ ઉત્તમ સુવિધા અહીં ઉપલબ્ધ છે. 20થી 25 રૂમ ગુરૂદ્વારામાં આવેલા છે. આ ગુરૂદ્વારાને યુનેસ્કો તરફથી (UNESCO) Asia Pacific Heritage Award પણ મળેલો છે. આ ગુરૂદ્વારા પુરાતત્વ વિભાગ દ્વારા હાલ સુરક્ષિત છે. તેમજ તાજેતરમાં જ ગુજરાત સરકાર તરફથી 5 કરોડની માતબર રકમ આપી હતી જેના લીધે ગેસ્ટહાઉસ, પ્રે હોલ અને લંગરનું મ્યુઝિયમ જે અંગે કામકાજ હાલમાં ચાલી રહ્યું છે. - લખપત ગુરૂદ્વારા કમિટી, પ્રેસિડેન્ટ
ગુરુ નાનક સાથે સંકળાયેલ ગણ્યા-ગાંઠ્યા સ્થળોમાંનું એક સ્થળ એટલે લખપત
ભારતમાં ગણ્યા ગાંઠ્યા જ સ્થળો આવેલા છે કે જે ગુરુ નાનક સાથે સંકળાયેલ છે. એમાંનું એક સ્થળ આ લખપત છે કારણ કે ગુરુ નાનકનો જન્મ તલવંડી ગામમાં થયો હતો કે જે હાલ પાકિસ્તાનમાં છે પરંતુ ગુરુ નાનક અહીં બે વાર આવી ચૂક્યાં છે. ત્યારે શીખ સમુદાય માટે પણ લખપતનું એક આગવું મહત્વ રહેલું છે. પુરાતત્વ દ્વારા લખપતના કિલ્લાનું પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. - રાજુભાઇ સરદાર, લખપત ગુરૂદ્વારા કમિટી, પ્રેસિડેન્ટ
જાણો ક્યારથી ઉજવાય છે વર્લ્ડ હેરિટેજ ડે (World Heritage Day) ?
પ્રથમ વખત 1968માં એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વિશ્વભરની પ્રખ્યાત ઇમારતો અને પ્રાકૃતિક સ્થળોની સુરક્ષાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને સ્ટોકહોમમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં પસાર કરવામાં આવ્યો. તે પછી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરની સ્થાપના કરવામાં આવી. તે સમયે, 18 એપ્રિલ 1978 ના રોજ, આ દિવસને વિશ્વ હેરિટેજ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટ્યુનિશિયામાં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સે પ્રથમ વિશ્વ ધરોહર દિવસની ઉજવણી કરી હતી યૂનેસ્કોની યાદીમાં ખાસ સ્થળ જેવા કે વન ક્ષેત્ર, પર્વત, તળાવ, સ્મારક, ભવન કે શહેરનો સમાવેશ થાય છે. વર્ષ 2013 સુધીમાં દુનિયાના લગભગ 981 સ્થળોને વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યા. જેમાં ઈટલીના 49, ચીનના 45, સ્પેનના 44, ફ્રાંસ અને જર્મનીની 38 ધરોહરનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.