થોડા સમય પહેલા રાજ્ય સરકારે હેલ્મેટ પહેરવાનો કાયદો મરજીયાત કરી દીધો હતો. જેને લઇને વાહનચાલકોને હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં આવી હતી. જોકે, રાજ્યમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત કરવા અંગે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી.
પરિવહન મંત્રી આર.સી.ફળદુએ કરી જાહેરાત
સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાનું રહેશેઃ ફળદુ
રાજ્યના વાહનચાલકો માટે હેલ્મેટને લઇને રાજ્યના પરિવહન મંત્રી આર.સી. ફળદુએ નિવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવાનું રહેશે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. જેમાં હેલ્મેટ કાયદો મરજીયાત કરવા પર સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી.
વધુમાં આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવાનું રહેશે. આ અંગે અમે કેન્દ્ર સરકારને રાજ્યના શહેરી વિસ્તારોમાં હેલ્મેટમાંથી મુક્તિ આપવા માટે પત્ર લખ્યો છે. આ મામલે હવે કેન્દ્ર સરકાર જે નિર્ણય લેશે તે અંતિમ ગણાશે.
હેલ્મેટ ફરજિયાત કરવા અંગે હજુ સુધી કોઇ નિર્ણય નથી લેવાયોઃ રાજ્ય સરકાર
થોડા દિવસ પહેલા રાજ્યના શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં હેલ્મેટ મરજીયાત કરવા પર સુપ્રીમ કોર્ટે બનાવેલી રોડ એન્ડ સેફ્ટી કાઉન્સિલે રાજ્ય સરકારને નોટિસ ફટકારી જવાબ માંગ્યો હતો. જેના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે અમે કાયદાની મર્યાદામાં રહીને આ નિર્ણય લીધો છે. માર્ગ સલામતીના કાયદામાં રાહત આપવાનો તેમને અધિકાર છે. જો રાજ્યમાં આ કાયદાની જરૂરિયાત ઉભી થશે તો તેને ફરી ફરજીયાત લાગુ કરવામાં આવશે.
અગાઉ મુખ્યમંત્રીએ આ અંગે આપ્યું હતું નિવેદન
આ અગાઉ થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હેલ્મેટને લઈને મહત્વનું નિવદેન આપ્યુ હતું. જેમાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે હેલ્મેટનો કાયદો કેટલાક સમય માટે મરજિયાત કરવામાં આવ્યો છે. હેલ્મેટ કાયદો સરકારે દૂર કર્યો નથી. જો કે, રોડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા હેલ્મેટના કાયદાને મરજિયાત કરતા કોર્ટમાં રાવ નાંખવામાં આવી હતી જેને પગલે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને ટપારી હતી કે, લોકોની સુરક્ષા માટે ફરજિયાત કરેલા હેલ્મેટના કાયદાને મરજિયાત કેમ કર્યો.
હેલ્મેટ મામલે કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યુ હતું કે, હેલ્મેટના કાયદામાં કોઈ ઢીલાશ રાખવામાં નહી આવે. જો કાયદામાં જે કોઈ રાજ્યની સરકાર ફેરફાર કરશે તો રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવશે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા હેલ્મેટના કાયદામાં ઢીલાશ અપાઈ હતી. આમ કેન્દ્રની આક્રમતા બાદ રાજ્ય સરકારે ફરીથી હેલ્મેટનો કાયદો ફરજીયાત કરી દીધો છે. નવા મોટર વ્હીકલ એકટની અમલવારી પર કેન્દ્રનું કડક વલણ જોવા મળ્યું હતું.