13 અને 14 જૂને ગ્રામ્ય અને શહેરી ક્ષેત્રમાં શાળા પ્રવેશોત્સવ યોજવાનો હતો. પરંતુ આ દરમિયાન વાયુ વાવાઝોડાંની શક્યતાના પગલે મોકૂફ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે શાળાને 17 દિવસ વિતી ચૂક્યા હોવાથી રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
શાળા પ્રવેશ ઉત્સવને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ વર્ષે શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવશે નહિં. શાળા પ્રવેશોત્સવ રદ્દ કરવા બાબતે શિક્ષણમંત્રીએ નિવેદન કર્યુ હતું. તેમણે જણાવ્યુ હતું કે વાયુ વાવાઝોડાને લઈને પ્રવેશ મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છે. શાળા શરૂ થયાને 17 દિવસ થયા તેથી પ્રવેશ ઉત્સવ રદ કરવામાં આવ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજ રોજ મળેલી કેબિનેટમાં ચર્ચા વિચારણાના અંતે આ વર્ષે પ્રવેશોત્સવ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. વિધાનસભાનું સત્ર નજીક આવી રહ્યું છે ત્યારે અધિકારીઓ અને પદાધિકારીઓ પણ વ્યસ્ત છે. સાથે શાળાને 17 દિવસ વિતી ચૂક્યા હોવાને લઇને શાળા પ્રવેશ ઉત્સવ રદ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની 1277 પ્રાથમિક અને 1550 માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાવાનો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવવાના હતા. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા ખાતે વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવવાના હતા.
સાથે રાજ્યના મંત્રીઓ સહિત 57 જેટલા મહાનુભાવો પણ વિવિધ શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવવાના હતા. પરંતુ બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં આ વર્ષે પ્રવેશોત્સવ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.