રાજ્યમાં મેઘરાજા મન મુકી વરસ્યા અને તમામ જળાશયોને માલામાલ કરી દીધા પણ નર્મદા ડેમની કેપિસિટિથી ત્રણ ગણું પાણી સરકારે દરિયામાં વહાવી દીધું. આ ચોમાસે નર્મદા ડેમે તેની ઐતિહાસીક સપાટી આંબી હતી ત્યારે નર્મદા નદીમાં 40,000 MCM પાણી આવ્યું હતું. તેમાંથી ડેમની ઓવરફ્લો કેટેગરીએ માત્ર 9,500 MCM સંગ્રહ કરી શકાયો છે. અબજો રૂપિયાની યોજના અને નીર વઘામણાં પાછળ કરોડો ખર્ચ પરંતુ નીર બચાવવા શું?
સૌની અને નદી ઈન્ટરલીંક યોજનાઓનું શું?
જો પાણી દરિયામાં જ વહાવવું હતું તો કરોડો ખર્ચ્યા શેના?
હજુય 6 હજાર કરોડનો ખર્ચ કરવાની છે સરકાર
પાણીના પ્રવાહમાં નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે. પણ ગુજરાત સરકાર પાણીની જેમ પૈસા વાપરવા છતાંય તેનું પાણી સંગ્રહવામાં સફળ નથી થઈ રહી. (સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન) સૌની યોજાના અંતર્ગત પણ પાણીનો જોઈએ તેવો સંગ્રહ કરી નથી શકાતો.
નર્મદાનું 30,000 MCM પાણી વહી ગયું
નર્મદાનું 30,000 MCM પાણી દરિયામાં વહી ગયું છે. પાણી સંગ્રહના વિકલ્પમાં 13 હજાર કરોડને ખર્ચે ઓપ અપાયેલી સૌની (સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન) યોજના બનાવવામાં આવી છે હજુ આ યોજનામાં વધુ 6000 કરોડ ખર્ચાશે તેમ છતાં ગુજરાતમાં નર્મદાના 33 ટકા જ પાણીને સંગ્રહ કરવાની શક્તિ છે.
શું છે સૌની (સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન) યોજના
સૌની યોજના 3,705 MCM પાણી સંગ્રહની ક્ષમતા ધરાવે છે. સૌની યોજનાથી ગુજરાતમાં નદી-તળાવનું લીંક કરીને પાણી સંગ્રહ કરવામાં આવશે. સૌની યોજના ક્ષમતા સામે માત્ર 1,235 MCMનો ઉપયોગ કરી શકાયો. સૌનીમાં હજુ 2500 MCM પાણીનો વધારે ઉપયોગ થઇ શકે તેમ છે. સૌનીથી નર્મદાનું વધારાનુ પાણી ગુજરાતમાં સંગ્રહી શકાય તેમ છે. જો ભાળભુતના ડેમનો બન્યો ન હોય પાણી સંગ્રહનો પ્રશ્ન વધુ વિકટ બનત.
પાણીને દરિયામાં વહી જતું બચાવવા ખર્ચાયા છે કરોડો
સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન યોજના એટલે કે સૌની યોજના પાછળ અત્યાર સુધીમાં 13 હજાર કરોડ રૂપિયાનો જંગી ખર્ચ થઈ ગયો છે. આ યોજના બનાવવા પાછળનો મુખ્ય આશય એવો છે કે, સરદાર સરોવર ડેમમાંથી દર વર્ષે ઓવરફલો થઇને જે પાણી દરિયામાં વહી જાય છે તે પાણી બચાવીને પાઇપલાઇન મારફતે સૌરાષ્ટ્રના જળાશયોમાં પહોંચાડવું.
આ માટે સૌરાષ્ટ્રમાં મુખ્ય ચાર લિંક આધારિત સમગ્ર યોજના તૈયાર કરી છે. જેમાં સૌરાષ્ટ્રના કુલ 115 જળાશયો નર્મદાના પાણીથી ભરવામાં આવશે અને આ બધા ડેમોમાં કુલ 43,500 MCFT પાણીનો જથ્થો ભરવામાં આવશે એવી વાત છે.
ત્રણ તબક્કામાં થયા કામ
આ યોજનાની લીંકના તમામ કામો કુલ ત્રણ તબક્કામાં વહેંચાયેલા છે. જે પૈકી માંથી બે તબક્કાનું કામ પૂર્ણ થઇ ગયું છે. હવે ત્રીજા અને આખરી તબક્કાનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું છે.
2017-18 અને 2018-19માં શું છે સ્થિતિ
સૌરાષ્ટ્રના 115 ડેમોમાંથી વાસ્તવમાં છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ કેટલું પાણી ભરાયું તે જાણવું ખૂબ જ મહત્ત્વનું છે. કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશએ વિધાનસભામાં આ અંગે પ્રશ્ન પણ પૂછ્યો હતો અને 2017-18 તથા 2018-19 દરમિયાન સૌની યોજના હેઠળ ડેમો ભરવા માટે નર્મદા યોજનામાંથી કેટલું પાણી ભરાયું તેની માહિતી માંગી હતી.
13000 કરોડના ખર્ચમાં 6000 કરોડનો વધુ ખર્ચ ઉમેરાશે
જળસંપત્તિ મંત્રીએ આ અંગે સત્તાવાર રીતે જણાવ્યું છે, કે 2017-18 માં 4,871 એમસીએફટી પાણી જ્યારે 2018-19માં 6,789 એમસીએફટી પાણીનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. આમ છેલ્લા બે વર્ષ દરમિયાન સૌની યોજના હેઠળ કુલ 11,660 એમસીએફટી પાણીનો જથ્થો સૌરાષ્ટ્રના જુદા-જુદા જળાશયોમાં આપવામાં આવ્યો છે. હવે બાકી રહેલા છેલ્લા તબક્કાના કામો પાછળ લગભગ 6,000 કરોડનો ખર્ચો થવાનો અંદાજ મુકાયો છે.
આગામી બે વર્ષ દરમિયાન સૌની યોજનાના તમામ કામો પૂરા થઈ જશે એવો જવાબ પણ વિધાનસભામાં અપાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, અત્યાર સુધીમાં 13,000 કરોડનો ખર્ચો થઇ ગયા બાદ પણ જે વાત કરવામાં આવી હતી તેનો 33 ટકા પાણીનો જથ્થો પણ પૂરતો આવ્યો નથી. જ્યારે, યોજનાનો જે ખર્ચ અંદાજવામાં આવ્યો હતો તેનાથી વધુ રકમતો પ્રથમ બે તબક્કામાં જ ખર્ચાઇ ગઇ છે. એટલે કે, આગામી સમયમાં નર્મદા આધાર યોજના દ્વારા સૌરાષ્ટ્રના કેટલા ડેમોમાં કેટલા એમસીએફટી પાણી આવે છે અને કેટલા લોકોને તે પીવા માટે મળે છે તે જોવું રસપ્રદ બનશે.