ભારતમાં ગોલ્ડ સપ્લાય બેંકોએ શિપમેન્ટમાં ઘટાડો કર્યો છે. તેઓ ચીન અને તુર્કી જેવા દેશોમાં સોનું મોકલી રહ્યા છે જ્યાં સારી કિંમત મળી રહી છે. જેથી સોનાની કિંમતોમાં વધારો આવી શકે.
સોનાના ભાવમાં આવી શકે છે વધારો
તુર્કી અને ચીન જેવા દેશોમાં ગોલ્ડ સપ્લાય બેંકો મોકલી રહી છે સોનું
તહેવારોની સિઝનમાં દેશમાં સોનાની અછત સર્જાઈ શકે
સોનાના ભાવમાં આવી શકે છે વધારો
તહેવારની સિઝનમાં દેશમાં સોનાના ભાવ ચરમ સીમા પર પહોંચી શકે છે. એટલા માટે તમારી જો સોનું ખરીદવાની યોજના છે તો ફટાફટ ખરીદી લો. ભારતમાં ગોલ્ડ સપ્લાય બેંકોએ શિપમેન્ટમાં ઘટાડો કર્યો છે. ભારતને બદલે તેઓ ચીન અને તુર્કી જેવા દેશોમાં સોનું મોકલી રહ્યા છે જ્યાં તેમને સારી કિંમત મળી રહી છે. આ કારણે તહેવારોની સિઝનમાં દેશમાં સોનાની અછત સર્જાઈ શકે છે અને ગ્રાહકોને સોનું ખરીદવા માટે વધુ ખર્ચ કરવો પડી શકે છે. ભારત વિશ્વનું બીજું સૌથી મોટું સોનાનું બજાર છે.
રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં સોનાની મોટાભાગે સપ્લાય આઈસીબીસી સ્ટાન્ડર્ડ બેંક, જેપી મોર્ગન અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ તરફથી કરવામાં આવે છે. આ બેંક તહેવારની સીઝન પહેલા સોનું વધારે માંગે છે અને પોતાની તિજોરીઓમાં ભરી લે છે. રીપોર્ટસ અનુસાર, આ વખતે આ તિજોરીઓમાં એક વર્ષ પહેલાની સરખામણીમાં 10 ટકા કરતા પણ ઓછું સોનું છે. મુંબઈની એક તિજોરી સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્યું કે આ સમયે તિજોરીઓમાં ઘણા ટન સોનું હોવું જોઈતું હતું પણ તેમની પાસે અમુક કિલો સોનું જ છે. બેંકો આ બાબતે ટીપ્પણી કરી નથી.
તુર્કી અને ચીનમાં વધી માંગ
ભારતમાં ઇન્ટરનેશનલ પ્રાઈસ બેન્ચમાર્ક પર પ્રીમીયમ માત્ર એકથી બે ડોલર રહી ગયું છે જે ગયા વર્ષે આ સમયે ચાર ડોલર હતું. બીજી બાજુ ચીનમાં 20થી 45 ડોલર સુધી પ્રીમીયમ મળી રહ્યું છે. આ પ્રકારે તુર્કીમાં 80 ડોલર સુધી પ્રીમીયમ છે. ચીનમાં કોરોનાને લગતા લોકડાઉન સંબંધિત નિયંત્રણો હળવા કર્યા બાદ સોનાની માંગ વધી છે. તેવી જ રીતે તુર્કીમાં ફુગાવાના કારણે સોનાની માંગ વધી છે.
તહેવારોની સિઝનમાં દેશમાં સોનાની અછત સર્જાઈ શકે
સોનાને સપ્લાય કરતી એક બેંકે કહ્યું કે બેંકો સોનું ત્યાં જ વેચશે જ્યાં તેમને વધારે કિંમત મળશે. અત્યારે ચીન અને તુર્કી વધારે પ્રીમિયમ ચૂકવી રહ્યા છે. સપ્ટેમ્બરમાં ભારતમાં સોનાની આયાતમાં 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે તુર્કીની આયાતમાં 543 ટકાનો વધારો થયો હતો. ઓગસ્ટમાં હોંગકોંગ દ્વારા ચીનમાં સોનાની આયાતમાં 40 ટકાનો વધારો થયો છે. ભારતમાં આ મહિને દશેરા, દિવાળી અને ધનતેરસ છે. આ સમય દરમિયાન સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. આ તહેવારો બાદ લગ્નની સિઝન શરૂ થશે. દેશમાં સૌથી વધારે સોનાની ખરીદી આ જ સિઝનમાં થાય છે. સોનાની અછતને કારણે ભાવ વધી શકે છે.