વાવાઝોડા પર NDRFના DG એસ.એન. પ્રધાનનું નિવેદન, ગુજરાતની સ્થિતિ હવે ખતરાથી બહાર છે
ગુજરાત પરથી મોટો ખતરો ટળ્યો
NDRFના DGએ આપી માહિતી
સાંજ સુધીમાં ધીમુ પડશે વાવાઝોડુ
વાવાઝોડાને લઈને એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગુજરાત હવે વાવાઝોડાના ખતરાથી બહાર આવી ગયું છે. NDRFના DG એસ.એન. પ્રધાને આ વિષે જણાવ્યું કે, ગુજરાતમાં પવનની ગતિ ધીમી પડી છે સાથે જ વરસાદ પણ ઓછો થયો છે. સાંજ સુધીમાં વાવાઝોડુ ડિપ્રેશનમાં બદલાઇ જશે. માટે ગુજરાતની સ્થિતિ હવે ખતરાથી બહાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજસ્થાનમાં થોડો વરસાદ થશે પણ તે ખતરાથી બહાર છે. ગુજરાતમાં વાવઝોડાની સ્થિતિ હવે નિયંત્રણમાં છે.
ગુજરાત પર ત્રાટક્યું તૌકતે
ગઇકાલે રાતથી જ ગુજરાત રાજ્યમાં પ્રવેશ્યા બાદ વાવાઝોડું આખા રાજ્યને ઘમરોળી રહ્યું છે. સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ તૌકતે વાવાઝોડાએ ગુજરાતને ટક્કર મારી અને તેજીથી ગુજરાતમાં આગળ વધ્યું. સૌથી વધારે અસર દીવ, અમરેલી, જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી છે. આખી રાત દીવમાં અતિભારે વરસાદ વરસતો રહ્યો. ગુજરાત પર તૌકતે આફત બનીને ત્રાટક્યું છે.
દીવ આખામાં દરિયાનું પાણી ઘૂસ્યુ
દીવમાં વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે. દીવમાં ભારે પવન સાથે આખી રાત ભયંકર જળબંબાકાર જેવી સ્થિતિ રહી હતી જેના કારણે લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. વાવાઝોડાના કારણે આખા દીવમાં અંધારપટ જેવી સ્થિતિ થઈ હતી અને દીવ સિટીમાં દરિયાનું પાણી ઘૂસી ગયું છે. ઊનામાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે.
મહુવા, રાજુલા, ખાંભા, બાબરામાં 5-5 ઇંચ વરસાદ
વાવાઝોડાના કારણે આખી રાત ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 188 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથ તથા અમરેલીમાં નોંધાયો છે. બગસરામાં 8 ઈંચ, ગીર ગઢડામાં 7.5 ઇંચ, ઉમરગામમાં 7.5 ઇંચ , ઉનામાં 7 ઇંચ, સાવરકુંડલામાં 6.5 ઇંચ વરસાદ, પાલીતાણામાં 6 ઇંચ, અમરેલીમાં 5 ઇંચ વરસાદ, મહુવા, રાજુલા, ખાંભા, બાબરામાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજુલામાં 175 કિમીની ઝડપે ફૂંકાયો પવન
નોંધનીય છે કે સોમવારે રાજ્યમાં પ્રવેશ બાદ ધીમે ધીમે વાવાઝોડાની ગતિમાં ઘટાડો થઈ રહ્યો છે. વેરાવળ અને સોમનાથમાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે. વાવાઝોડા સાથે અનેક વૃક્ષો ધરાશાયી થઈ જવાની ઘટનાઓ સામે આવી છે. સોમનાથ બાદ સૌથી વધારે નુકસાન રાજુલા અને જાફરાબાદમાં થી છે. રાજુલાથી સાવરકુંડલા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો અને વૃક્ષો પડી જતાં રાજુલાથી ભાવનગરનો રસ્તો પણ બંધ હતો. રાજુલામાં 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઉના અને ગીરમાં અનેક ગામો સંપરવિહોણા બન્યા છે. સોમનાથ, વેરાવળ, ઉનામાં 130 કિલોમીટર સુધીની પવનની ઝડપ જોવા મળી હતી.