વલસાડ જિલ્લામાં વકરેલા કોરોનાની પરિસ્થિતિને કાબૂમાં લેવા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસ કરવાના આવી રહ્યા છે
400થી વધુ ગામોમાં પ્રાથમિક શાળાઓમાં કોવિડ સેન્ટર શરૂ
ઓક્સીજનની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી
વલસાડ જિલ્લાના કુલ 467 ગામોના સરપંચે લખ્યો પત્ર
વોર્ડનું સંચાલન "વિલેજ વોરિયર્સ કમિટી" કરશે
વલસાડ જિલ્લામાં પણ કોરોના નું સંક્રમણ તેજ ગતિએ વધી રહ્યું છે. આથી પરિસ્થિતિને કાબૂમાં લેવા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસ કરવાના આવી રહ્યા છે. જોકે તેમ છતાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલું સંક્રમણ તંત્ર અને આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બની રહ્યું છે.
વલસાડ જિલ્લાના કુલ 467 ગામોના સરપંચ
આથી ગ્રામ્ય વિસ્તારોમાં વધતાં સંક્રમણ ને કાબૂમાં રાખવા હવે નવી રણનીતિના ભાગરૂપે વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગે એક વિશેષ પહેલ કરી છે. જે મુજબ હવે વલસાડ જિલ્લાના કુલ 467 ગામોના સરપંચને વલસાડ જિલ્લા કલેક્ટરે પત્ર લખી અને સહયોગની અપીલ કરી હતી. ત્યારબાદ જિલ્લાના તમામ ગામોમાં પ્રાથમિક શાળાઓમાં કોવિડ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
વોર્ડનું સંચાલન "વિલેજ વોરિયર્સ કમિટી" કરશે
આ કોવિડ આઈસોલેશન વોર્ડનું સંચાલન " વિલેજ વોરિયર્સ કમિટી " દ્વારા કરવામાં આવશે. આ વિલેજ વોરિયર્સ કમિટીમાં ગામના સરપંચ તલાટી ગ્રામ પંચાયતના સભ્યો ગામના જાગૃત સામાજિક અગ્રણીઓ, શિક્ષકો આશાવર્કર , આરોગ્ય વિભાગનો કર્મચારી અને ગામના યુવાનો હશે.
400થી વધુ ગામોમાં પ્રાથમિક શાળાઓમાં આવા કોવિડ સેન્ટર શરૂ
આ તમામ લોકોના સહયોગથી જિલ્લાના તમામ ગામડાઓમાં પ્રાથમિક શાળાઓમાં 15 થી વધુ બેડ ધરાવતું આઇસોલેશન સેન્ટર ઉભું કરવામાં આવી રહ્યું છે.. કલેકટરની અપીલ બાદ યુદ્ધના ધોરણે વલસાડ જિલ્લામાં 400થી વધુ ગામોમાં પ્રાથમિક શાળાઓમાં આવા કોવિડ સેન્ટર શરૂ થઈ ગયા હોવાનો કલેકટર દાવો કરી રહ્યા છે.
સ્થળ પર જઈને પણ કરશે દર્દીઓની તપાસ
આ સેન્ટરોમાં ગામના તલાટી દ્વારા ગામમાં પ્રાથમિક લક્ષણો જણાઈ રહ્યા હોય તેવા વ્યક્તિઓ ની યાદી બનાવવામાં આવે છે. અને ત્યાર બાદ તંત્રને જાણ કરી અને આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર જઈ અને દર્દીઓની જરૂરી તબીબી તપાસ અને સારવાર પણ કરવામાં આવે છે.
ઓક્સીજનની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી
જિલ્લાના 400 થી વધુ ગામોમાં પ્રાથમિક શાળાઓમાં આવા વોર્ડ તૈયાર થઈ ગયા છે અને જ્યાં જરૂર જણાય ત્યાં ઓક્સીજનની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી રહી છે. ગ્રામ્ય કક્ષાએ બનેલું આ સેન્ટર વીલેજ વોરિયર્સ કમિટીને સોંપવામાં આવ્યું છે. જેના પર જિલ્લાનું આરોગ્ય વિભાગ પણ નજર રાખી રહ્યું છે.
મહત્વપૂર્ણ છે કે અત્યારે કોરોના ના વધતા સંક્રમણને કારણે હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે અને શહેરી વિસ્તારોમાં સરળતાથી દર્દીઓને હોસ્પિટલોમાં જગ્યા નથી મળી રહી ત્યારે ગ્રામ્ય કક્ષાએ ગામડાઓના દર્દીઓને ઘર આંગણે જ પ્રાથમિક સુવિધા સહિત જરૂરી સારવાર મળી રહે માટે વલસાડ જિલ્લામાં ગામની શાળાઓમાં શરૂ થયેલા આ સેન્ટ્રરો અનેક રીતે લોકોને ફાયદાકારક પુરવાર થશે તેવું મનાઇ રહ્યું છે.