ગુજરાતમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા વેકેશનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
3 મેથી રાજ્યની શાળાઓમાં વેકેશન જાહેર
5જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર
6 જૂનથી શરૂ થશે શૈક્ષણિક સત્ર
ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષથી વિદ્યાર્થીઓના શિક્ષણની વ્યવસ્થા થોડી ખોરવાઈ છે ત્યારે માસપ્રમોશન બાદ ગુજરાત સરકાર તરફથી વેકેશન અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
3મેથી 5 જૂન સુધી ઉનાળુ વેકેશન
3 મેથી રાજ્યની શાળાઓમાં વેકેશન જાહેર કરવામાં આવશે. 3મેથી 5 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યુ છે. આવનારા વર્ષનું શૈક્ષણિક કાર્ય 6 જૂનથી શરૂ થશે. ત્યારથી નવું શૈક્ષણિક સત્ર ગણવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,120 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 174 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 8,595 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,98,824 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 174 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 174 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 6830 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 421 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,33,191 પર પહોંચ્યો છે.
ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી
કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 491 નવા કેસ નોંધાયા હતા.
અત્યાર સુધીમાં 1,12,95,536 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 1,17,57,862 લોકોનો કોરોનાની રસી આપવામાં આવી છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5672 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 68 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1764 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 352 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 622 કેસ, જ્યારે ગ્રામ્યમાં 236 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 363 કેસ અને ગ્રામ્યમાં 71 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...