ગુજરાત જ્ચારે હાલ મહામારી સામે ઝઝૂમી રહ્યુ છે ત્યારે CM રૂપાણીનો અગત્યનો નિર્ણય સામે આવ્યો છે.
કોરોના કહેર વચ્ચે રાજ્ય સરકારના મહત્વના નિર્ણય
કોઈપણ હોસ્પિટલ કોરોનાની સારવાર કરી શકશે
કોરોનાની સારવાર કરતા કર્મીઓના માસિક મહેનતાણામાં વધારો
રાજ્યમાં કોરોનાના કહેરની વચ્ચે રાજ્ય સરકારે મહત્વના બે નિર્ણય કર્યા છે. પ્રથમ નિર્ણય મુજબ હવે રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ, નર્સિંગ હોમના ડોક્ટરો કે સંચાલકો પોતાની હોસ્પિટલોમાં કોરોનાની સારવાર આપી શકશે. આગામી 15 જૂન સુધી કોવિડના દર્દીની સારવાર કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. અને આ માટે કોઈપણ જાતની મંજૂરી લેવાની રહેશે નહીં. જો કે તેમણે માત્ર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવાની રહેશે.
બીજા નિર્ણય મુજબ કોરોના દર્દીઓની સારવાર કરતા કર્મચારીઓના માસિક મહેનતાણામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં તજજ્ઞ ડોક્ટરોને માસિક અઢી લાખ આપવામાં આવશે. તેમજ મેડિકલ ઓફિસરોને માસિક સવા લાખ, ડેન્ટિસ્ટોને માસિક રૂપિયા 40 હજાર, આયુષ ડોક્ટરોને માસિક 35 હજાર અને હોમિયોપેથીના ડોક્ટરોને માસિક રૂપિયા 35 હજાર મહેનતાણું આપવામાં આવશે. જ્યારે જૂનિયર ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, એક્સ રે ટેકનિશિયન, ECG ટેકનિશિયનને માસિક રૂપિયા 18 હજાર અને વર્ગ 4ના કર્મચારીને મહિને રૂપિયા 15 હજાર આપવામાં આવશે. આ ઉપરાંત આઉટ સોર્સિંગમાં કામ કરતી બહેનોને આગામી ત્રણ મહિના માટે મહિને 13 હજારને બદલે રૂપિયા 20 હજાર માનદ વેતન પેટે આપવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 12,206 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 121 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 4,339 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,46,063 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 121 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 121 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5615 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 353 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 76,500 પર પહોંચ્યો છે.
આ 2 જિલ્લાઓમાં ચિંતા વધી
કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ રાજકોટ જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. રાજકોટમાં ગત 24 કલાક દરમિયાન 764 કેસ અને ગ્રામ્યમાં 86 કેસ તો આ તરફ ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 485 નવા કેસ નોંધાયા હતા.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 4631 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 60 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1553 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 375 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 460 કેસ, જ્યારે ગ્રામ્યમાં 165 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 764 કેસ અને ગ્રામ્યમાં 86 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...