અમદાવાદ મહાનગરપાલિકાએ પોતાની સેવા ગુજરાતના દર્દીઓ માટે ખોલી નાખી છે
હોસ્પિટલની ક્ષમતાના 75 ટકા બેડમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવી
અન્ય દર્દીઓ માટે માત્ર 25 ટકા બેડ ઉપલબ્ધ રહેશે
શહેરમાં કોવિડ સારવાર માટે વધુ 1 હજાર બેડ ઉપલબ્ધ કરાશે
.108માં જ દાખલ થવા જવું પડે તે નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકાએ પરત લઈ લીધો છે. અમદાવાદનું આધારકાર્ડ હોય તો જ દાખલ કરવા એ નિયમ પણ પરત લઈ લીધો છે. હવે ગુજરાતના કોઈપણ સ્થળેથી આવતા કોરોના દર્દીઓને અમદાવાદમાં સેવા મળશે. હવે અમદાવાદમાં દાખલ થવા માટે ગુજરાતના કોઈપણ સ્થળનું આધારકાર્ડ માન્ય ગણાશે
ગુજરાતમાંથી આવતા દર્દીઓ પોતાના વાહનમાં આવે તો પણ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ થઈ શકશે. ગુજરાતના કોઈપણ સ્થળેથી આવતી એમ્બ્યૂલન્સ કે વાહનથી અમદાવાદની હોસ્પિટલમાં દર્દી દાખલ થઈ શકશે. મહાનગરપાલિકાએ અમદાવાદની તમામ હોસ્પિટલોને 75 ટકા બેડ કોરોના માટે રાખવા આદેશ કર્યો. 75 ટકા બેડ કોરોના માટે ફાળવાતા હવે અમદાવાદમાં કોરોનાની સારવાર શક્ય બનશે. અત્યાર સુધી ગુજરાતના અન્ય સ્થળોથી આવતા દર્દીઓને અમદાવાદમાં દાખલ થવામાં મુશ્કેલી થતી હતી.
આ દસ નિર્ણય છે અગત્યના
1. અમદાવાદમાં કોવિડ હોસ્પિટલમાં દાખલ થવા માટે 108થી દાખલ થવાનો નિર્ણય પરત ખેંચાયો, તમામ હોસ્પિટલોએ કોવિડ દર્દી કોઈ પણ રીતે આવે તેને સારવાર આપવાની રહેશે, જેમાં ખાનગી હોસ્પિટલો અને AMCની હદમાં આવતી તમામ સરકારી હોસ્પિટલોનો સમાવેશ થાય છે પછી એ ડેઝિગ્નેટેડ હોય કે ના હોય
2. તમામ ખાનગી કોવિડ હોસ્પિટલમાં 75% બેડ કોવિડ સારવાર માટે આપવાના રહેશે અને અન્ય દર્દીઓ માટે 25% બેડ ખાલી રહેશે, જેથી શહેરમાં 1000 નવા બેડ ઉપલબ્ધ થશે
3. અમદાવાદની હોસ્પિટલમાં દાખલ થવા માટે આધાર કાર્ડ જરૂરી હોવાના નિર્ણયને તાત્કાલિક ધોરણે રદ્દ કરવામાં આવ્યો
4. કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં AMC ક્વોટામાં દાખલ થવા માટે 108 સેવા કે 108 કંટ્રોલ રૂમના રેફરેન્સની જરૂરિયાતને પણ હટાવી દેવામાં આવી
5. AMCએ શહેરની તમામ હોસ્પિટલોને દર્દીને OPD/Triageની સુવિધા આપવા માટે દિશાનિર્દેશ આપ્યા
6. અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોને સ્ટેટ પોર્ટલ વડે દર્દીઓ અને સંસાધનોની લાઇવ માહિતી જાહેર જનતાને આપવાની સૂચના આપવામાં આવી છે.
7. સ્ટેટ પોર્ટલ ઉપર કેટલા બેડ ઉપલબ્ધ છે તેની ઓનલાઇન માહિતી આપવાની સાથે સાથે હવે કોવિડ હોસ્પિટલોએ કેટલા બેડ ઉપલબ્ધ છે તેની લાઈવ માહિતી મોટા અક્ષરે હોસ્પિટલની બહાર જનતા માટે મૂકવાની રહેશે.
8. 108ના કંટ્રોલ રૂમમાં હવે AMC અને અને રાજ્ય આરોગ્ય વિભાગ એમ બંનેના કર્મચારીઓ સાથે ફરજ બજાવશે
9. લોકોનો જીવ બચાવવા માટે ફરજીયાત રીતે તમામ કોવિડ હોસ્પિટલ કોરોનાના ગંભીર દર્દીને ટેક્નિકલ કે અન્ય કોઈ કારણથી દાખલ થતા રોકી નહી શકે. તમામ ગંભીર દર્દીઓને તાત્કાલિક દાખલ કરવામાં આવશે.
10. આ તમામ સૂચનાઓનું તમામ કોવિડ હોસ્પિટલોએ 29 એપ્રિલના સવારે 8 વાગ્યાથી ફરજિયાત પાલન કરવાનું રહેશે. આ સમય હોસ્પિટલોને જરૂરી તૈયારીઓ માટે આપવામાં આવ્યો છે.