કોરોના રસી મામલે વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે નવી સમસ્યા થઈ ઊભી, ભારતમાં અપાતી 2 વેક્સિન પૈકી કો-વેક્સિનનું સર્ટિફિકેટ વિદેશમાં ક્યાંય માન્ય ગણાતું નથી
કોરોનાની રસી મુદ્દે વિદ્યાર્થીઓની સમસ્યા વધી
વિદેશ જવા માંગતા વિદ્યાર્થી અટવાયા
કો-વેક્સિનના સર્ટિફિકેટને વિદેશમાં માન્યતા નહી
સરકારે વિદેશ જતાં વિદ્યાર્થીઓને વેક્સિનેશનમાં પ્રાથમિકતા આપવાનો દાવો કર્યો છે. પરંતુ પરિસ્થિતિ કંઈક જુદી જ છે. કોરોના રસી મામલે વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે નવી સમસ્યા ઊભી થઈ છે. ભારતમાં અત્યારે માત્ર બે જ વેક્સિન કોવિશીલ્ડ અને કો-વેક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. જેમાંથી કો-વેક્સિનનું સર્ટિફિકેટ વિદેશમાં ક્યાંય માન્ય ગણાતું નથી. તો કોવિશીલ્ડનો એક ડોઝ લીધા બાદ બીજા ડોઝ માટે 12 સપ્તાહ સુધી રાહ જોવી પડે છે. એટલા માટે તેને બીજો ડોઝ મળે ત્યાં સુધીમાં સપ્ટેમ્બર મહિનો આવી ગયો હોવાથી તે જૂલાઈમાં વિદેશ જઈ શકે તેમ નથી.
આ કારણથી તેના બે મહિનાનો અભ્યાસ બગડી જશે. તો બીજી બાજુ યુ.કે, યુએસએ, કેનેડા જતાં વિદ્યાર્થીઓ માટે વેક્સિનેટ થયાનું સર્ટિફિેકેટ ફરજિયાત હોવાથી તેઓ માટે આ સર્ટિફિકેટ લીધા વગર જવું અશક્ય છે. દર વર્ષે રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં વિદેશ ભણવા માટે વિદ્યાર્થીઓ જતાં હોય છે અને મોટાભાગના વિદ્યાર્થીઓએ જૂલાઈમાં યુ.કે., યુ.એસ.એ., કેનેડા સહિતના દેશોમાં જવાના છે. હવે આ દેશોમાં કો-વેક્સિનના બે ડોઝ લીધા બાદ મળતું સર્ટિફિકેટ માન્ય ગણાતું નથી કેમ કે ભારત બાયોટેક-હૈદરાબાદ દ્વારા બનાવાયેલી આ વેક્સિનને હજુ સુધી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને માન્યતા આપી નથી. આ વેક્સિનનો બીજો ડોઝ ચારથી છ સપ્તાહમાં લઈ શકાય છે પરંતુ વિદેશમાં તે વેક્સિનને માન્યતા ન હોવાને કારણે વિદ્યાર્થીઓ તે લેવાનું ટાળી રહ્યા છે.
અભ્યાસ માટે વિદેશ જતાં ગુજરાતના વિદ્યાર્થીઓને કૉવિડ વૅક્સિનેશનમાં અગ્રતા અપાશે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, આગામી મહિનાઓમાં ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વિદેશ જઈ રહ્યા છે. આવા વિદ્યાર્થીઓને વિદેશ પ્રવાસમાં કોઈ અડચણ ઉભી ન થાય એ માટે વિદ્યાર્થીઓને વૅક્સિનેશનમાં વિશેષ અગ્રતા અપાશે. આ માટે સમગ્ર રાજ્યમાં જિલ્લા કલેકટર્સને અને મહાનગરપાલિકા વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનર્સને જવાબદારી સોંપવામાં આવી છે. CM રૂપાણીએ કહ્યું કે, વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.
આ પુરાવા વિદ્યાર્થીએ કરવા પડશે રજૂ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષપદે ગાંધીનગરમાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્ય સરકારે આ સંવેદનશીલ નિર્ણય કર્યો હતા. અભ્યાસ માટે આગામી મહિનાઓમાં વિદેશ જઇ રહેલા જિલ્લાના વિદ્યાર્થીઓએ અગ્રતાના ધોરણે વૅક્સિન લેવા પોતાના આઈ-20 ફોર્મ અથવા DS-160 ફૉર્મ અથવા તો વિદેશની જે તે યુનિવર્સિટી કે કોલેજનો એડમિશનના કન્ફર્મેશન લેટર સાથે રૂબરૂ કલેકટરનો સંપર્ક કરવાનો રહેશે.
જ્યારે સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓએ આ પત્રો સાથે મ્યુનિસિપલ કમિશનરનો સંપર્ક કરવાનો રહેશે.
અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વેસ્ટ ઝોન) નો સંપર્ક કરવાનો રહેશે.
અભ્યાસ માટે વિદેશ જઇ રહેલા વિદ્યાર્થીઓને વૅક્સિનને કારણે કોઈ તકલીફ ન પડે એ માટે રાજ્ય સરકારે પૂરતી તૈયારી રાખી છે. સમગ્ર રાજ્યમાં આવા વિદ્યાર્થીઓને અગ્રતાના ધોરણે વૅક્સિન અપાશે.