કોંગ્રેસ નેતા રઘુ દેસાઈએ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર પર ગંભીર આક્ષેપો કર્યા છે.
કોંગ્રેસ નેતા રઘુ દેસાઈએ રાષ્ટ્રીય અધ્યક્ષને લખ્યો પત્ર
રાધનપુરમાં મારી હાર પાછળ કોંગ્રેસના માણસો જવાબદાર
મને હરાવવા જગદીશ ઠાકોરના માણસોએ કામ કર્યુઃ રઘુ દેસાઈ
રાધનપુર કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈએ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર પર ગંભીર આક્ષેપો લગાવતા રાજકારણ ગરમાયું છે. તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. સાથે જ તેમણે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ પત્ર લખ્યો છે. જેમાં તેઓએ તેમની હારની પાછળ કોંગ્રેસના માણસો જ જવાબદાર હોવાનું કહ્યું છે.
રાધનપુરમાં જગદીશ ઠાકોરના કારણે હાર થઈ છેઃ રઘુ દેસાઈ
રાધનપુર કોંગ્રસ ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ કહ્યું કે, 'મેં પાર્ટી અધ્યક્ષ ખડગે સાથે ફોન પર વાતચીત કરી છે, આ ઉપરાંત મેં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પત્ર લખ્યો છે. મને હરાવવા જગદીશ ઠાકોરના માણસોએ કામ કર્યુ છે. આ અંગે મેં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી રઘુ શર્માને પણ વાત કરી હતી. છતાં આ લોકો કોઈ પણ સંજોગો રોકાયા નહીં.'
કડક કાર્યવાહીની કરી માંગ
દેસાઈએ વધુમાં જણાવ્યું કે, 'છેલ્લા દિવસ સુધી મારા વિરુદ્ધ કામ કર્યું. આખા ગુજરાતમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું તેમાં પાર્ટીના પ્રમુખે જ પોતાની જવાબદારી સમજી નથી. આમાં પાર્ટીએ જે કોઈએ ખોટું કામ કર્યું હોય તેમની સામે કડક પગલા લેવા જઈએ તેવી મેં માંગ કરી છે.'
રાધનપુરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામ્યો હતો જંગ
પાટણ જિલ્લાના રાજકીય જંગમાં હાઈ પ્રોફાઈલ ગણાતી રાધનપુર વિધાનસભા બેઠક ઉપર આ વખતે 11 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતો. કોંગ્રેસના રઘુ દેસાઈ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર વચ્ચે મુખ્ય મુકાબલો હતો. આમ આદમી પાર્ટીએ પણ ઠાકોર સમાજના નવોદિત ચહેરાને મેદાનમાં ઉતાર્યો હતો. AAPએ રાધનપુર બેઠક પરથી લાલજી ઠાકોરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. પાટણ જિલ્લામાં રાધનપુર બેઠકથી ભાજપનાં લવિંગજી ઠાકોર જીતી ગયાં હતા.