કમલમનાં ઓર્ડરને ફોલો કરનાર પ્રધાન જ ભાજપ ને ગમે, પ્રજાના કામ કરે તેવા પ્રધાનો કે નેતા ગમતા નથી: લલીત કગથરા
કોંગ્રેસી નેતા લલિત કગથરાનું નિવેદન
રાજેન્દ્ર ત્રિવેદીના કામના કર્યા વખાણ
ત્રિવેદી ડાયરેક્ટ પ્રજાનું કામ કરતા હતા
ગુજરાત સરકારમાં ચૂંટણી પહેલા મોટા ફેરફાર કરાયા છે. રાજ્ય સરકારના 2 સિનિયર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી ખાતા પરત લેવામાં આવ્યા છે ત્યારે હવે રાજેન્દ્ર ત્રિવેદીના કામકાજને લઈ કોંગ્રેસ નેતાએ તેમના વખાણ કર્યા છે.
'રાજેન્દ્ર ત્રિવેદીની મહેસૂલ વિભાગમાં સારી કામગીરી હતી'
કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરાએ રાજેન્દ્ર ત્રિવેદીના કામકાજને પાસ કરતાં કહ્યું કે રાજેન્દ્ર ત્રિવેદી ડાયરેક્ટ પ્રજાનું કામ કરતા હતા, વર્ષોના જૂનાં પડતર પ્રશ્નોનું નિરાકરણ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા એક ઝાટકે કરી નાખવામાં આવ્યું હતું. ખેડૂતોના વાડાના પ્રશ્નોનું નિરાકરણ પણ રાજેન્દ્ર ત્રિવેદી લાવ્યા હતા. કગથરાએ વધુમાં કહ્યું કે નાયકની જેમ રાજેન્દ્ર ત્રિવેદી કામ કરતા હતા, આ સાથે સરકાર પર કટાક્ષ કર્યો કે ભાજપને પ્રજાના કામ કરે તેવા પ્રધાનો કે નેતા ગમતા નથી, કમલમનાં ઓર્ડરને ફોલો કરનાર પ્રધાન જ ભાજપ ને ગમે છે. ભૂતકાળમાં મહેસૂલ વિભાગમાં આવી સારી કામગીરી કોઇએ નથી કરી.
શા માટે બન્ને સિનિયરો પાસેથી ખાતા પરત લેવાયા?
રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીને ચૂંટણીલક્ષી મહત્વની જવાબદારી સોંપવાની હોઈ શકે છે. ચૂંટણીલક્ષી મોટી જવાબદારીને કારણે બન્નેના કામના ભારણને ઘટાડાયું છે. આવતીકાલે બી.એલ સંતોષજી ગુજરાત મુલાકાતે આવવાના છે. તેમની અધ્યક્ષતામાં આગામી ચૂંટણી જવાબદારીને લઈ આવતીકાલે ચર્ચા થશે. આ દરમિયાન બંને મંત્રીઓને બેઠક બાદ ચૂંટણીલક્ષી જવાબદારી શકે છે.
બે કેબિનેટ મંત્રીઓના ખાતાઓ બદલાયા
મહત્વનું છે કે રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ ખાતું પરત લઈ હર્ષ સંઘવીને સોંપવામા આવ્યું હતું. તો પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન પરત લઈ જગદીશ પંચાલને સોંપવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રાલયનો ચાર્જ મુખ્યમંત્રીએ પોતાની પાસે રાખ્યો છે.