ગુજરાતના રાજકારણને લઇને વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે આદિવાસી વિસ્તારમાં મોટો ખેલ પાડી દીધો.
વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય ભૂકંપ
ચૂંટણી પહેલા તૂટ્યું AAP અને BTP વચ્ચેનું ગઠબંધન
ટોપીવાળા AAPના લોકો દેખાતા નથી: છોટુ વસાવા
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા એકબાદ એક રાજકીય ભૂકંપ સર્જાઇ રહ્યાં છે. ત્યારે ચૂંટણી પહેલા ગુજરાતમાં વધુ એક રાજકીય ભૂકંપ આવ્યો. AAP કોંગ્રેસનો દાવ કરે એ પહેલા કોંગ્રેસે AAPનો દાવ કરી નાખ્યો. કેજરીવાલના પ્રવાસના દિવસે જ AAPમાં રાજકીય ભૂકંપ આવી ગયો. AAP અને BTP વચ્ચે ગઠબંધન ટૂંક સમયમાં જ તૂટી ગયું. જેના લીધે ભરૂચ અને નર્મદાની બે મહત્વની બેઠકો પર તેની અસર થશે.
ગુજરાતના નેતાઓની જાણ બહાર જ આ મોટું ઓપરેશન પાર પડાયું
મહત્વનું છે કે, છોટુ વસાવા અને કોંગ્રેસમાં રાષ્ટ્રીય નેતા પવન ખેરા વચ્ચે બારણે મહત્વની બેઠક થઇ હતી. થોડા દિવસ અગાઉ જ પવન ખેરા જગડીયા આવીને છોટુ વસાવા સાથે બેઠક કરી ગયા હતા. ત્યારે ગુજરાતના નેતાઓની જાણ બહાર જ આ મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું. આથી હવે કહી શકાય કે, રાજ્યમાં એકવાર ફરી 2017ની ચૂંટણીનું પુનરાવર્તન થઇ શકે છે. કારણ કે 2017માં પણ BTPએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું.
ટોપીવાળા AAPના લોકો દેખાતા નથી: છોટુ વસાવા
આ ગઠબંધન તૂટવા પાછળના જવાબદાર કારણોમાં AAPના નેતા મનમાની કરતા હોવાની વાત સામે આવી છે. આ અંગે છોટુ વસાવાનું કહેવું છે કે, 'ટોપીવાળા AAPના લોકો દેખાતા નથી.' AAPના નેતાઓ BTPનું કહેલું ન માનતા ગઠબંધન તૂટ્યું. આથી, BTP હવે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, 2017માં BTPએ પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું.
1 મેના રોજ ગુજરાતમાં AAP અને BTP વચ્ચે થયું હતું ગઠબંધન
ઉલ્લેખનીય છે કે, તારીખ 1 મેના રોજ ગુજરાતમાં AAP અને BTP વચ્ચે ગઠબંધન થયું હતું. ભરૂચના ચંદેરીયાના વ્હાઇટ હાઉસ ખાતે BTPનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલન પહેલા અરવિંદ કેજરીવાલ અને છોટુ વસાવા વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં છોટુ વસાવાએ કહ્યું હતું કે, 'રાજકારણમાં નવા ઉદયની શરૂઆત થઇ છે. અગાઉ જેમની સાથે ગઠબંધન કર્યું તેમણે કામ ન કર્યું. ગરીબોનું કલ્યાણ થાય તે જ અમારુ લક્ષ્ય.
વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય ભૂકંપ : AAP અને BTP વચ્ચે ગઠબંધન તૂટ્યું, ભરૂચ, નર્મદાની 2 મહત્વની બેઠક પર થશે અસર#GujaratElections2022#AAP#BTP@GujaratAAP
તદુપરાંત આ મહાસંમેલનમાં કેજરીવાલે કહ્યું હતું કે, 'ગુજરાતમાં અમારી આ પ્રથમ પબ્લિક રેલી છે. ભાજપ-કોંગ્રેસ પાર્ટી ધનવાન લોકોની સાથે છે. અમે ગરીબો સાથે ઊભા છીએ. ગુજરાતના લોકો લાગણીશીલ હોય છે. હું ગુજરાતના સાડા છ કરોડ લોકો સાથે છું. મને ડર્ટી પોલિટિક્સ નથી આવડતી. મને માત્ર કામ કરતા આવડે છે.'