બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / રેસ્ટોરેન્ટ, હોટલ અને ઢાબાઓ ફરી ધમધમતા થશે, 23 માર્ચથી કોમર્શિયલ ગેસની ફાળવણી 50 ટકા કરાશે
Last Updated: 08:51 PM, 21 March 2026
ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા લેવામાં આવેલા આ તાજેતરના નિર્ણય મુજબ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે કમર્શિયલ એલપીજીનો ફાળવણી દર હવે પૂર્વ-સંકટ સ્તરના 50 ટકા સુધી પહોંચી જશે. મંત્રાલયના સચિવ ડો. નીરજ મિત્તલે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને આ અંગે જાણકારી આપી છે. આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિને કારણે તેલ અને ગેસની આયાત પ્રભાવિત થઈ છે, પરંતુ દેશની આંતરિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકારે સ્થાનિક રિફાઈનરીઓમાં ઉત્પાદન 38 ટકા સુધી વધારી દીધું છે. આ વધારાના પુરવઠાનો હેતુ એ છે કે વ્યાપારી પ્રવૃત્તિઓ ખોરવાય નહીં અને સામાન્ય જનતાને મળતી સેવાઓ ચાલુ રહે.
ADVERTISEMENT

આ નવા એલોકેશનમાં સરકારે ચોક્કસ પ્રાથમિકતા યાદી તૈયાર કરી છે. જે અંતર્ગત રેસ્ટોરન્ટ, હાઈવે પરના ઢાબા, હોટલો, મોટા કારખાનાઓની કેન્ટીન, ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ અને ડેરીઓને સૌથી પહેલા ગેસ આપવામાં આવશે. આ ઉપરાંત, રાજ્ય સરકારો અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી સબસિડીવાળી કેન્ટીન અને કોમ્યુનિટી કિચનને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. સ્થળાંતરિત મજૂરો માટે ખાસ ૫ કિલોના સિલિન્ડર (FTL) ના પુરવઠામાં પણ 20 ટકાનો વધારો પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવ્યો છે, જેથી શ્રમિક વર્ગને જમવાની મુશ્કેલી ન પડે.
ADVERTISEMENT

સરકારે આ રાહત આપવાની સાથે કડક દેખરેખ રાખવાના આદેશ પણ આપ્યા છે. ગેસના વિતરણમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ડાયવર્ઝન ન થાય તે માટે રાજ્ય સરકારોને મોનિટરિંગ મજબૂત કરવા જણાવાયું છે. અત્યારે ઘરેલું એલપીજી (રાંધણ ગેસ) અને પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) ને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, ત્યારબાદ હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓનો નંબર આવે છે. ગેસની માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવવા માટે સરકારે સિલિન્ડર બુકિંગના અંતરમાં પણ ફેરફાર કર્યો છે. શહેરી વિસ્તારોમાં હવે 21 ને બદલે 25 દિવસે અને ગ્રામીણ વિસ્તારોમાં ૪૫ દિવસે સિલિન્ડર રિફિલ બુક કરાવી શકાશે.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારનો આ નિર્ણય ખાસ કરીને ફૂડ ઇન્ડસ્ટ્રી માટે સંજીવની સમાન સાબિત થશે. છેલ્લા કેટલાક સમયથી ગેસની અછતને કારણે હોટલ સંચાલકો મુશ્કેલીમાં હતા અને ખાદ્ય ચીજોના ભાવ વધવાની ભીતિ સેવાઈ રહી હતી. પરંતુ હવે 50 ટકા જેટલા ક્વોટાની ઉપલબ્ધતા થવાથી બજારમાં સ્થિરતા આવશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઉર્જાના ભાવો અનિશ્ચિત હોવા છતાં, ભારત સરકાર સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારીને અને તબક્કાવાર પુરવઠો જાહેર કરીને ઉદ્યોગોને ટેકો આપી રહી છે. આ પગલાથી માત્ર મોટા ઉદ્યોગો જ નહીં પરંતુ નાના ફૂડ સ્ટોલ અને ડેરી સંચાલકોને પણ મોટો ફાયદો થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.