ગણેશ ચતુર્થી ના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે સૌએ તેમના સ્વાગતની તૈયારીઓ પણ શરૂ કરી છે. આ વર્ષે હિન્દુ પંચાગ અનુસાર, ગણેશ ચતુર્થી 10 સપ્ટેમ્બર 2021ના રોજ શુક્રવારે ઉજવવામાં આવશે.
બાપ્પાની મુર્તિ લેતા સમયે રાખજો આ ધ્યાન
ગણેશજીને લાવતા પહેલા વાંચો આ બાબતો
શુભકારી સાબિત થઈ શકે છે આ માહિતી
દરવર્ષની જેમ આ વર્ષે પણ બાપ્પાના આગમનની તૈયારીઓ ઉત્સાહપૂર્વક શરૂ થઇ ચૂકી છે. 11 દિવસ ચાલતા ગણપતિ બાપ્પાના આ પર્વને દેશભરમાં ધુમધામ અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થી પર બાપ્પાના ભક્તો તેમના ભોગથી લઇને તેમની સજાવટ અને પૂજા સુધીની તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખે છે. જેમ કે ગણેશ ભગવાનને ઘરે લાવતા સમયે ખાસ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. બાપ્પાના શ્રૃંગારથી લઈને ભોગ અને પૂજા-પાઠ સુધીની ઘણી વસ્તુઓ અગત્યની હોય છે જેના વિષે આપણને તમામ સાચી અને સારી જાણકારી હોવી જરૂરી છે.
મુ્ર્તિ શેની બનેલી હોવી જોઈએ?
માન્યતા અનુસાર, સફેદ આંકડાના મૂળથી અથવા માટીથી બનેલી ગણેશજીની મૂર્તિની પૂજા કરવું શુભ માનવામાં આવે છે. તમે ઇચ્છો તો સોના, ચાંદી, તાંબાથી બનેલી પ્રતિમાની પણ પૂજા કરી શકાય છે. આ સાથે જ તમે પ્લાસ્ટર ઑફ પેરિસ કે અન્ય કેમિકલ્સથી બનેલી પ્રતિમા લેવાનું ટાળજો. આ સિવાય માન્યતા છે કે બેઠેલા ગણેશજીની પ્રતિમાનું પૂજન કરવું તમારા માટે ફળદાયક હોય છે, તો જ્યારે પણ તમે ગણેશ મહારાજની મૂર્તિ લેવા ઘરથી નિકળો છો ત્યારે આ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું. એવું પણ બની શકે કે તમારા પૂજનથી પ્રસન્ન થઈ વિઘ્નહર્તા ગણેશ મહારાજ તમારા બગડેલા કામ સુધારવાની સાથે માર્ગમાં આવતા વિઘ્નોને પણ પળભરમાં દૂર કરી દે.
ઑફિસમાં સ્થાપના કરવા માટે બાપ્પાની કઈ પ્રતિમા લાવવી?
જો તમે તમારા ઑફિસમાં સ્થાપના કરવા માટે ગણેશની પ્રતિમા લાવવાનું વિચારો છો તો પ્રયાસ કરો કે ભગવાન ગણેશ જેમાં ઊભા હોય તેવી પ્રતિમા લાવો. એવું માનવામાં આવે છે કે તેવી પ્રતિમાથી સફળતા અને પ્રગતિ પ્રાપ્ત થાય છે.તમે ઘણીવાર એ પણ સાંભળ્યું હશે કે ગણેશજીનો ડાબા અને જમણા રૂપનું પણ મહત્વ હોય છે. તેના પાછળ પણ એક માન્યતા છે. માનવામાં આવે છે કે ડાબી સૂંઢની પૂજા કરવાનું સરળ હોય છે જેને વામમુખી ગણપતિ પણ કહેવામાં આવે છે. અને જમણી સૂંઢવાળા ગણપતિની પૂજા કરવા માટે વિશેષ પૂજાના નિયમોનું પાલન કરવું પડે છે.
કયાં રંગની મૂર્તિ છે શુભ?
સામાન્ય રીતે તો તમને જે રંગની મૂર્તિ પસંદ હોય તે તમે લઈ શકો છો પણ જો તમે સફેદ અને સિંદૂરી રંગના બાપ્પાની મૂર્તિ લાવો છો તો માન્યતા અનુસાર તે શુભ માનવામાં આવે છે.