ધંધુકામાં મંગળવારે કિશન નામનો યુવકને તેના ઘર પાસે બે અજાણ્યા લોકોએ આવીને તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો
અમદાવાદના ધંધુકામાં બની હતી ફાયરિંગની ઘટના
ફાયરિંગમાં કિશન નામના યુવકની હત્યા
સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકવાથી કરાઇ હત્યા
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ધંધુકામાં માલધારી યુવકની હત્યાના મામલે સમગ્ર ગામમાં હાલ ભારેલા અગ્નની જેવો માહોલ થઈ જવા પામ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી જ ધંધુકા સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું હતું.જેને લઈને જિલ્લાનું પોલીસતંત્ર હરકતમાં આવી ગયું હતું. અને ધંધુકામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ આ ઘટના બાદ ધંધુકા ધંધુકાના PI સી.બી.ચૌહાણને હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ સાણંદના PI આર.જી.ખાંટને ધંધુકામાં મુકવામાં આવ્યા હતાં.
આ ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી તો સામે આવ્યું કે થોડા દિવસ પહેલા કિશને એક ધર્મ વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરી હતી.જેની અદાવત રાખી કેટલાક લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે. કારણકે કિશન સામે જે તે સમયે પોલીસ કાર્યવાહી પણ કરાઈ હતી. અને બાદમાં કેટલાક લોકો તેનાથી રોષે ભરાયા હતા. પણ કિશન ત્યારથી જ તેના ઘરે હતો અને ગઈકાલે ઘરેથી નીકળ્યો ત્યારે મોકાનો લાભ લઇ તેની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ માની રહી છે. તો બીજી તરફ હાલ અમદાવાદ ગ્રામ્ય રેન્જ આઈજી, એસપી, બે ડીવાયએસપી, પાંચથી વધુ પીઆઇ, સાતેક પીએસઆઇ તથા અડધા જિલ્લાની પોલીસ ખડકી દેવાઈ છે. તપાસ એસઓજી ને સોપાતા એસલસીબી એસઓજી પણ તપાસમાં જોતરાઈ છે.
મૃતકની હત્યાને પગલે મામલો ઉગ્ર બન્યો.
મૃતકની હત્યાને પગલે મામલો ઉગ્ર બન્યો. મૃતકના પરિવારજનો સહિત સમાજના લોકો રોષે ભરાયા અને પોલીસે આગેવાનો ની મદદ લઇ મામલો થાળે પાડ્યો. સમાજના આગેવાનો અને પોલીસ વચ્ચે બેઠક થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો અને હવે પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમવિધિ કરવાનું પોલીસે આયોજન કર્યું. તો બીજી તરફ મૃતકની હત્યા પાછળ સોશ્યલ મીડિયાની પોસ્ટ હતી કે અન્ય કોઈ કારણ તે આરોપીઓ ઝડપાયા બાદ સામે આવશે. હાલ તો શકમંદોની અટકાયત કરી પોલીસ ઊંડાણપૂર્વક તપાસના કામે લાગી ગઈ છે.