લાંચ અને ભ્રષ્ટાચાર કેસમાં સંડોવાયેલા સુરેન્દ્રનગર ના પૂર્વ કલેક્ટર અને IAS અધિકારી કે. રાજેશની હવે EDએ પણ ધરપકડ કરી છે.
લાંચ અને ભ્રષ્ટાચારનાં આરોપી IAS કે રાજેશ વિરુદ્ધ વધુ એક કેન્દ્રીય એજન્સીનો ગાળિયો
CBI બાદ હવે ED એ કરી ધરપકડ
સાબરમતી જેલ માંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ
IAS અધિકારી કે. રાજેશની EDએ કરી ધરપકડ
લાંચ અને ભ્રષ્ટાચાર કેસમાં સંડોવાયેલા સુરેન્દ્રનગર ના પૂર્વ કલેક્ટર અને IAS અધિકારી કે. રાજેશની મુશ્કેલીમાં વધારો થતાં હવે EDએ તેઓની ધરપકડ કરી છે.
અગાઇ CBIએ તેમની ધરપકડ કરી હતી, ત્યારબાદ તેમને CBI કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે કે રાજેશના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારબાદ તેમને સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
EDએ સાબરમતી જેલ માંથી ટ્રાન્સફર વોરંટના આધારે કે. રાજેશની ધરપકડ કરી છે. હવે કે.રાજેશને અમદાવાદમાં આવેલી મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, CBI તપાસના ધમધમાટ ધીરે-ધીરે વધતા કે.રાજેશની મુશ્કેલી દિવસે ને દિવસે સતત વધતી જાય છે. કે. રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર હતાં તે સમયે સરકારી જમીનનો ખેલ પાડવાના વિવાદમાં તેઓ ફસાયા હતા. સૌરાષ્ટ્રમાં એરપોર્ટ નજીક 1 હજાર 47 એકર જમીનમાં કે. રાજેશ ફસાયા હતા. આ કેસમાં કે.રાજેશને સજા નહોતી મળી. જ્યારે અન્ય 2 GAS કેડરના અધિકારીને જેલની સજા ફટકારવામાં આવી હતી. આ બોગસ સરકારી દસ્તાવેજથી ચોટીલા, બામણબોર, મેવાસા અને શેખલીયામાં કૌભાંડ થયું હતું હતું. જેથી બામણબોરની જમીન મુદ્દે તપાસ થવા પર રાજકોટ કનેક્શન ખુલવાની શક્યતા સેવાઇ રહી હતી.
કામ કરી આપવાની બદલામાં સુરતમાં 2 કરોડની દુકાનોના સોદા પાડ્યા
સુરતમાં અધિકારી નવા વિકસી રહેલા વિસ્તારમાં કે.રાજેશની 2 મિલકત સામે આવી હતી. શહેરના ઉત્રાણ સ્થિત સિલ્વર બિઝનેસ પોઈન્ટમાં કે.રાજેશની 2 દુકાનો આવેલી છે. જે બજાર ભાવની કિંમત કરતાં સસ્તા ભાવે ખરીદવામાં આવી હતી. અત્યારે આ બન્ને દુકાનો બેંક ઓફ બરોડાના ભાડા કરાર પર હતી. અહીં કે.રાજેશ વતી રફીક મેમણ રૂપિયાની હેરાફેરી કરતો હતો. જેના રૂપિયા કાપડની દુકાનના એકાઉન્ટમાં IASના નામે આવતા હતા. ઉલ્લેખનીય છે કે, કે. રાજેશ સુરતમાં DDO તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
અધિકારીને રાજકોટથી ટ્રાન્સફર થયેલા રૂપિયા CBIના રડારમાં હોવાના સંકેત
આ અગાઉ કેસની તપાસમાં અધિકારીને રાજકોટથી ટ્રાન્સફર થયેલા રૂપિયા CBIના રડારમાં હોવાના સંકેત સામે આવ્યા હતા. જેથી IAS ઓફિસરને રૂપિયા 60 કરોડ કોણે ટ્રાન્સફર કર્યા તે તપાસનો વિષય છે. ઉલ્લેખનીય છે કે, કે.રાજેશ મોરબી DDO હતા ત્યારથી જ રાજકોટના આગેવાનો અને ધંધાર્થીઓના સંપર્કમાં હતા.
તદુપરાંત સુત્રો પાસેથી જાણવા મળતી વિગત અનુસાર IAS અધિકારી કે.રાજેશે અનધિકૃત 100 આર્મ્સ લાયસન્સ ઈસ્યુ કર્યાનો પણ ખુલાસો થયો હતો. અધિકારી સુરેન્દ્રનગરના કલેક્ટર હતા, ત્યારે પોલીસની NOC ન હોવા છતાં લાયસન્સ ઈસ્યૂ કર્યાં હતા. આ કેસમાં કે. રાજેશ પર ભ્રષ્ટાચારનો આરોપ પણ લાગેલો હતો. જેથી CBI દરેક લાયસન્સનો તોડ મેળવી ભ્રષ્ટાચાર કેસમાં ગાળિયો કસી રહી છે. ઉપરોક્ત કાર્યવાહીના ભાગ રૂપે IAS અધિકારી કે.રાજેશની ધરપકડ કરી તેમણે ગાંધીનગર લઈ જવામાં આવ્યા હતા અને હવે વધુ એક કેન્દ્રીય એજન્સી ઇડીનાં રડારમાં પણ તેઓ આવી ગયા છે જેથી તેમની ED દ્વારા પણ ધરપકડ કરવામાં આવી છે.
જાણો કોણ છે IAS કે.રાજેશ?
કે.રાજેશ 2011 બેચના IAS અધિકારી છે. ધરપકડ પહેલા સામાન્ય વહીવટી વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. કે.રાજેશ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. સુરેન્દ્રનગર કલેક્ટર બાદ ગૃહ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે બદલી થઇ હતી. ગૃહ વિભાગમાં બદલીના ગણતરીના દિવસોમાં જ તેમને સાઈડ પોસ્ટ કરાયા હતા.