ગુજરાતમાં આતંકી હુમલાની ધમકીનો મામલે ગૃહ વિભાગના ACS રાજકુમારનું મોટું નિવેદન, કહ્યું અલકાયદાની ધમકી મળી છે.
ગૃહ વિભાગના ACS રાજકુમારનું મોટું નિવેદન
ગુજરાતમાં આંતકી હુમલાની વ્યક્ત કરી આશંકા
અલકાયદાની ધમકી મળી છેઃ ACS
પયગંબર વિરુદ્ધ કરાયેલ ટીપ્પણી મામલે દુનિયાના ટોચના આતંકી સંગઠન અલ કાયદાએ ગુજરાત સહિત અનેક પ્રાંતમાં આત્મઘાતી હુમલાની ચીમકી આપી છે. જેને પગલે ગુજરાત પોલીસ તંત્ર સાબદું બન્યું છે. ત્યારે આ મામલે ગૃહ વિભાગના ACS રાજકુમારે મોટું નિવેદન આપતા જણાવ્યું કે ગુજરાતમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેઓએ સ્પષ્ટતા કરી છે અલકાયદાની ધમકી મળી છે. સાથે જ પ્રજાને પણ વિનંતી છે કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસને જાણ કરે.
તમામ તંત્રને એલર્ટ કર્યા- ACS
અલકાયદા દ્વારા આતંકી હુમલાના મેસેજ બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી તરફ રાજ્યમાં શાંતિ ન ડહોળાઇ તે માટે પોલીસ સતર્ક બની છે. ACSએ નિવેદન આપતા જણાવ્યું કે પોલીસ વિભાગને એલર્ટ કરવામાં આવ્યા છે. એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડની મદદથી સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તમામ પ્રકારના સાવચેતીના પગલા ગુજરાત પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે, અલકાયદા દ્વારા ગઇકાલે એક લેટર લખીને ગુજરાત, યુપી, મુંબઈ અને દિલ્હીમા મોટાપાયે આત્મઘાતી હુમલા કરવાની ધમકી આપવામાં આવી છે.
બોર્ડર પર પણ ચાંપતો બંદોબસ્ત
ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર પર અરવલ્લી પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અરવલ્લી SP દ્વારા SOG સહિતના પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ વધારવા પણ સૂચના આપી દેવામાં આવી છે. એટલું જ નહિ ગેસ્ટ હાઉસ સહિતની જગ્યાઓ પર તપાસ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે. વધુમાં SP એ સબંધિત પોલીસ અધિકારીઓને પેટ્રોલિંગ વધારવા અને શંકાસ્પદ લોકો પર નજર રાખવા સહિતની સૂચના જારી કરી છે.