બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / A woman journalist of VTV complained about violent riots in Shahalam Ahmedabad
19 ડિસેમ્બર 2019 ને ગુરૂવાર. મારું શાહઆલમ...હા મારું, કારણ હું આ વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી રહું છું. આ મારું શાંત શાહઆલમ કાશ્મીર જેટલું હિંસક બની જશે તેની મને કલ્પના પણ ન હતી... સવારથી ઊઠી ત્યારથી સમાચારમાં જોયું કે આજે ગુજરાત બંધનું એલાન છે. શક્ય છે કે આજે કંઈક નવા જુની થઈ શકે છે. અનેક લોકોએ મને બહાર જતી વખતે ચેતવણી આપી કે આજે સાચવજે, પરંતુ મને એમ કે આ તો મારો રોજનો રસ્તો અને મારો શાંત વિસ્તાર છે મને શું થશે. જે પછી હું તો મારા રૂટિનમાં ખોવાઈ ગઈ અને હિંમતભેર ઓફિસ જવા નીકળી ગઈ. સવારે જતી વખતે તો કોઈ જ હિંસા જોવા મળી નહીં પણ બપોર થતાં મને ઓફિસમાં સમાચાર મળ્યા કે મારા વિસ્તારમાં દુકાનો બંધ થઈ ગઈ છે અને રસ્તાઓ પર રેલીઓ નીકળી છે અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે પણ મને વિશ્વાસ હતો કે મારા શાહઆલમમાં તો કંઈ નહીં થાય.
ADVERTISEMENT
પણ સાંજ થતાં જ્યારે મેં ટીવીમાં જોયું તો હું ચોંકી ગઈ. મારા વિસ્તારના રસ્તાઓ ટોળાથી ઘેરાઈ ગયા હતા. જે પોલીસ લોકોની સુરક્ષા માટે આવી હતી પોલીસ પર ટોળાઓએ પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધું. અનેક પોલીસવાળાઓને આ હિંસામાં ઈજા થઈ અને ટોળાઓએ રસ્તાઓ પર ખૂબ હલ્લો મચાવ્યો. મને એ હજુય આ હિંસક ઘટના પછી સમજાતું નથી કે શાહઆલમના ડામરવાળા સ્વચ્છ રસ્તાઓ પર આટલાં મોટી પ્રમાણમાં પથ્થરો આવ્યા ક્યાંથી. મેં તો ક્યારેય રસ્તાઓ પર પથ્થરો જોયા જ નથી. હા ક્યારેક, નાના પથ્થરો આવ્યા હોય તે તો ઈન્ડિયન રસ્તાઓ પર સ્વાભાવિક છે. હું અચંબિત છું દેખાતા ન હતા ત્યાં અચાનક આટલા બધાં પથ્થર આવ્યા ક્યાંથી? શું હિંસા ફેલાવવા અમુક અસામાજિક તત્વોએ પહેલાથી જ તૈયારીઓ કરી રાખી હતી? અચાનક આ હદે હિંસા ફેલાઈ અને તેણે આટલું ભયાનક સ્વરૂપ લઈ લીધું. એવું તો કેવી રીતે બની શકે. આ પ્રશ્ન મારા મનમાં આવવા લાગ્યો.
પછી જેમ જેમ સાંજ પડતી ગઈ તેમ તેમ ટીવી પરના દ્રશ્યો જોઈને મારું મન ગભરાવવા લાગ્યું, હું એક પત્રકાર હોવા છતાં આજે મને મારા આ રોજના રસ્તે જવામાં ડર લાગી રહ્યો હતો. આજે મારો રસ્તો મને ઘરે પહોંચાડશે કે નહીં તે મને પ્રશ્નાર્થ હતો. તો પણ મારો રસ્તો, મારા શહેરના એક વિશ્વાસ સાથે હું રાતે 8 વાગ્યે આ રસ્તેથી એક્ટિવા લઈને એકલી નીકળી. મનમાં ડર તો હતો પણ વિશ્વાસે મને ધીમે ધીમે મારા ઘર સુધી પહોંચાડી દીધી. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મારા જીવમાં જીવ આવ્યો અને મને અલગ જ રાહત થઈ. ઘરે પહોંચતા જ ઘરના લોકોનો થોડો ઠપકો પણ મળ્યો હતો. જોકે, આજે સવારે મને મારો રસ્તો મને પાછો મળ્યો ત્યારે મને રાહત થઈ અને શાંત વાતાવરણે મને શાંતિ આપી. પણ તેમ છતાં ગઈકાલ સાંજના દ્રશ્યો મારા માનસપટ પરથી જતાં નથી. આ સમગ્ર હિંસાથી કોને ફાયદો મળશે અને કેમ આ હિંસા આટલી હદે વધી ગઈ એ સવાલ આજે પણ મારા મનને પરેશાન કરી રહ્યો છે.
ADVERTISEMENT
આ હિંસા કરવાથી કોને ફાયદો થયો. શું તમે એમ માનો છો કે કાલે પ્રોટેસ્ટ કરનારા બધાં છૂટી જશે. ના, દરેકને સજા તો થશે જ પણ સાથે દેશ અને દેશવાસીઓનું જે નુકસાન થયું છે તે કોણ ભરશે. લોકોના મનમાં આ હિંસાને ફેલાવવાથી શું મળશે. નાગરિકતા કાયદા અંગે ઘણા લોકોને તો સંપૂર્ણ જાણકારી પણ નથી, તેમ છતાં ટોળાઓમાં લોકો ભેગા થાય છે અને વિરોધ કરે છે. કોણ લોકોને ઉશ્કેરી રહ્યું છે એ પ્રશ્નનો જવાબ શોધવાનો રહ્યો.
આલેખનઃ નૂર રંગરેજ, સબ એડિટર VTV Gujarati.com
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.