ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસ તૂટશે તેવા આસાર જોવા મળી રહ્યા છે.
ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર
કોંગ્રેસના 6 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ તેવી શક્યતા
તમામ ધારાસભ્યો ગમે તે સમયે કરી શકે છે કેસરિયા
સૌથી જુની ગણાતી કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા કેટલાક સમયથી ઘણી નવાજૂની થઈ રહી છે. પાર્ટી જેટલી જુની છે તેટલો જ તેનો અનુભવ અને અનુમાન પણ ઘણીવાર સચોટ રહે છે. પરંતુ લાલચ, અપેક્ષા અને મહત્વકાંક્ષાને લઈને કેટલાક કર્મનિષ્ઠ કહેવાતા કાર્યકરો અને નેતાઓ પણ સમય આવે દલબદલું થઈ રહ્યા છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ નેતાઓની પાર્ટી બદલવાની મૌસમ પણ પુરબહારમાં ખિલી છે. સૌરાષ્ટ્ર ઝોનના 6થી વધુ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાવાની તૈયારીઓ કરી રહ્યા હોવાની ચર્ચાએ ફરી એકવાર જોર પકડ્યુ છે.
કોંગ્રેસના 6 MLAએ ભાજપ પ્રમુખ પાટીલ સાથે કરી બેઠક
વિધાનસભા ચૂંટણી પહેલા સી.આર.પાટીલે ઓપરેશન કર્યું છે. જેમાં કોંગ્રેસના 6 MLAએ ભાજપ પ્રમુખ પાટીલ સાથે બેઠક કરી છે. તો કોંગ્રેસના આ 6માંથી 3 ધારાસભ્યો સૌરાષ્ટ્રના છે. લલિત વસોયા, ચિરાગ કાલરિયા, હર્ષદ રિબડિયા, મહેશ પટેલ, સંજય સોલંકી અને ભાવેશ કટારાએ પાટીલ સાથે બેઠક કરી છે. તમામ ધારાસભ્યો ગમે તે સમયે કેસરિયા કરી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ભાજપ હાઇકમાન્ડમાંથી લીલીઝંડી મળ્યા બાદ કેસરિયા કરશે. આ 6 ધારાસભ્યો પ્રદેશ કોંગ્રેસ નેતાગીરીથી નારાજ હોવાનું જણાઇ રહ્યું છે.
લલિત વસોયાએ કહ્યું અત્યારે કહું તો હાર્દિક પટેલ જેવું થાય
હાલ આ 6 ભાજપમાં જોડાવાની શક્યતાઓ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, હાલ હું કોંગ્રેસમાં છું, આજની તારીખ સુધી કોંગ્રેસમાં છું. હાર્દિક પટેલ, જવાહર ચાવડા અને રાઘવજી પટેલનું ઉદાહરણ આપતા લલિત વસોયાએ કહ્યું હતું કે હું હાલ કોઈ નિવેદન આપીશ તો આવનારા સમયમાં પડકાર ઉભો થઇ શકે છે. સોશિયલ મીડિયામાં જૂની ક્લિપ વાયરલ થાય છે. અત્યારે કંઇ કહું તો હાર્દિક પટેલ જેવું થાય...
આ 6 ધારાસભ્યો ભાજપમાં જોડાઇ શકે છે
ચિરાગ કાલરીયા - જામજોધપુર
હર્ષદ રીબડીયા - વિસાવદર
સંજયભાઈ સોલંકી - જંબુસર
મહેશ પટેલ - પાલનપુર
ભાવેશ કટારા - જાલોદ
લલિત વસોયા - ધોરાજી
2 પૂર્વ નેતા પણ ભાજપમાં જોડાશે
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ કોંગ્રેસના બે પૂર્વ નેતા રાજુ પરમાર અને નરેશ રાવલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બન્ને નેતાઓ ભાજપમાં જોડાય તે પહેલા PMને મળ્યા છે. બંને નેતાઓ 17 ઓગસ્ટે ભાજપમાં જોડાશે.
વર્ષ 2017 બાદ કોંગ્રેસના કયા MLA ભાજપમાં જોડાયા?
ધારાસભ્ય
બેઠક
કુંવરજી બાવળિયા
જસદણ
જે.વી કાકડિયા
ધારી
જવાહર ચાવડા
માણાવદર
મંગળ ગાવિત
ડાંગ
જીતુ ચૌધરી
કપરડા
પરસોત્તમ સાબરિયા
ધ્રાંગધ્રા
અલ્પેશ ઠાકોર
રાધનપુર
પ્રવિણ મારુ
ગઢડા
બ્રિજેશ મેરજા
મોરબી
સોમાભાઈ પટેલ
લીંબડી
આશાબેન પટેલ
ઊંઝા
પદ્યુમનસિંહ જાડેજા
અબડાસા
અક્ષય પટેલ
કરજણ
અશ્વિન કોટવાલ
ખેડબ્રહ્મા
ધવલસિંહ ઝાલા
બાયડ
ગુજરાતના રાજકારણની વાત કરીએ તો છેલ્લી એક આખી પેઢી એવી આવી છે જેણે માત્ર તેમના જીવન દરમિયાન માત્ર એક જ પક્ષનું શાસન ગુજરાતમાં જોયું છે. કારણકે ૨૫ થી પણ વધુનો સમય પસાર થઇ ગયો જેમાં ગુજરાતમાં ભાજપનું એેકહથ્થુ શાસન છે. ગુજરાતમાં ઘણાં વર્ષોથી દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસની કારી ફાવી નથી. કોંગ્રેસે પ્રયાસો કર્યા હશે પણ જનતાની વચ્ચે વિશ્વસનીયતા પ્રસ્થાપિત કરવામાં સફળતા હાથ લાગતી નથી.
વાત વિધાનસભાની હોય, લોકસભાની હોય, નગરપાલિકાઓની કે તાલુકા જિલ્લા પંચાયતોની. ભાજપે જીતનો સપાટો બોલાવ્યો છે અને કોંગ્રેસને મોટેભાગે કારમી હાર પ્રાપ્ત થઇ છે. છેલ્લી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એટલે કે ૨૦૧૭માં કોંગ્રેસે ફાઇટ આપી હતી ભાજપને અને ભાજપના પરિણામોને બે આંકડામાં લાવી દીધા હતા. પણ બેશક જીત તો જીત છે, ભાજપ ૯૯માં સમેટાયું પણ જીત મેળવી હતી. પણ ત્યારથી જનતાએ સતત પક્ષપલટાની મોસમ જ જોઇ છે.
કોંગ્રેસના નેતાઓ વાર તહેવારે નારાજ થયા કરે છે અને ભાજપમાં રાજી રાજી જોડાતા રહે છે. આ તરફ આ પક્ષપલટાથી કોંગ્રેસનું પેટનું પાણી પણ હલતું નથી અને જાહેર મંચ પરથી એમ કહ્યા કરે છે કે જેને જવુ હોય એ જાય, એવા પાંચ પચ્ચીસ જવાથી અમને ફરક પડતો નથી.
હાલ ધારાસભ્યો તૂટવાની વાતથી ખુદ કોંગ્રેસ પણ અજાણ છે તેવું પણ નથી. કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારીને પણ એ વાતનો સ્પષ્ટ ખ્યાલ આવી ગયો છે કે, સૌરાષ્ટ્રના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ છોડી શકે છે અને તેની પાછળના કારણો પણ છે. હવે સવાલ એ છે કે કોંગ્રેસના ક્યા ધારાસભ્યો છે, જે પાર્ટી છોડવાની ફિરાકમાં છે ? કેમ કોંગ્રેસના નેતાઓ ભાજપ પ્રત્યે આકર્ષાઈ રહ્યા છે? શું કોંગ્રેસ પાર્ટી તેમના ધારાસભ્યોની સાચવી શકતી નથી?