બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 250 years old right sunda Ganpati in aravalli modasa
ADVERTISEMENT
Aravali : અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ધુણાઈ રોડ પર પૌરાણિક સ્વયંભૂ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર આવેલું છે. ગણપતિનું સ્વરૂપ 250 થી વધુ વર્ષ જૂનું છે. હાલ જ્યાં મંદિર છે ત્યાં વર્ષો પહેલા જંગલ હતું. મોડાસા શહેરના નગરશેઠને માજુમ નદીના કિનારે એક ખેતરમાંથી જમણી સૂંઢના ગણપતિ ભગવાનનું આ સ્વરૂપ મળ્યું હતું. નગરશેઠે ગણપતિ સ્વરૂપને મોડાસાના ધુણાઈ રોડ પર નાની ડેરી બનાવી બિરાજમાન કર્યા હતા.

ADVERTISEMENT
ઉત્તર ગુજરાતમાં એકમાત્ર મંદિર
જમણી સૂંઢના ગણપતિનું ઉત્તર ગુજરાતમાં આ એકમાત્ર મંદિર હોવાથી દિવસે દિવસે ભક્તોની સંખ્યા વધી રહી છે. અને ભગવાન ગણપતિના અનેક પરચાઓ ભક્તોને થઈ રહ્યાં છે તેથી મંદિરનું ટ્રસ્ટ બનાવી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ગણપતિનું આવું સ્વરૂપ મુંબઇનાં સિદ્ધિવિનાયક મંદિર જેવું જ અલૌકિક છે. મનોકામના સિદ્ધિ વિનાયક મંદિરે દર ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ ચૌદશ સુધી દસ દિવસ સુધી ભગવાન ગણપતિનો ભવ્ય મહોત્સવ ઉજવાય છે. શહેરીજનો પોતાના દરેક કામની શરૂઆત કરતા પહેલા સિદ્ધીવિનાયકના દર્શન અવશ્ય કરે છે.
1008 લાડુની આહુતી
મોડાસાના સિદ્ધિ વિનાયક ગણપતી મંદિર યુવા ગણેશ મિત્ર મંડળ અને ટ્રસ્ટ મંડળ દ્વારા મહોત્સવ દરમિયાન ગણેશ યજ્ઞ યોજવામાં આવે છે. જેમાં 1008 લાડુની અથરવશેષના સ્તોત્ર વડે આહુતિ આપવામાં આવે છે.મહોત્સવ દરમ્યાન ભગવાન ગણપતિનો દૂધ પંચામૃત તેમજ શેરડીના રસ વડે અભિષેક કરવામાં આવે છે. અને મહોત્સવ દરમ્યાન ભકતોની ભારે ભીડ પણ જામે છે.
ADVERTISEMENT

અરવલ્લી જિલ્લામાં મોડાસાના સિદ્ધીવિનાયક મંદિર ટ્રસ્ટ મંડળ દ્વારા વર્ષ દરમિયાન આવતી અંગારકી ચોથના દિવસે મહાપૂજા કરવામાં આવે છે. મંદિરના મહંત દ્વારા અંગારકી ચોથના દિવસે રાત્રે સંકટ નાશક ગણપતિ સ્તોત્ર વડે પૂજન, અર્ચન અને અભિષેક કરવામાં આવે છે. અને ગણેશ મહાયોગ પણ કરવામાં આવે છે. સાથે વેદના મંત્રો વડે ભૂદેવો દ્વારા સહસ્ત્ર મોદકનો હોમ આપવામાં આવે છે.
ADVERTISEMENT

ભક્તો દાદાને શીશ ઝુકાવી પોતાની મનોકામના વ્યક્ત કરે છે
મંદિરે દર્શને આવતા ભક્તોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે. ગણપતિ મહોત્સવને ટ્રસ્ટ દ્વારા ભારે હર્ષ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. મનોકામના સિદ્ધિવિનાયક મંદિર મોડાસા ખાતે દરરોજ અનેક ભક્તો દાદાને શીશ ઝુકાવી પોતાની મનોકામના વ્યક્ત કરે છે અને ભગવાન ગણપતિ તમામની મનોકામનાઓ પૂર્ણ કરે છે. નવયુવાન અબાલ વૃદ્ધ સૌ કોઈ દૂર દૂરથી ભગવાન ગણપતિના દર્શને આવે છે અને જમણી સૂંઢના વિનાયકના દર્શન કરી ધન્ય બને છે. મંગળવાર ભગવાન ગણપતિનો વાર મનાય છે. એટલે મંગળવારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. ઘણા ભાવિકો મંગળવારે ચાલતા આવી પોતાની બાધા આખડી પૂર્ણ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.