ભાવનગરના સિહોર તાલુકાના સર ગામના ત્રણ વર્ષથી નવ વર્ષ સુધીના 25 બાળકો ઝેરી કમળો અને તાવના ભરડામાં આવી ગયા છે. જેનાથી સમગ્ર આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે.
ભાવનગરના સર ગામે ઝેરી કમળાએ કસ્યો સકંજો
સર ગામે 25 જેટલાં બાળકો ઝેરી કમળાની ઝપેટમાં
ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગ દોડતું થયું
સર ગામના અંદાજે 20થી 25 બાળકોને ઝેરી કમળો થયો હોવાનું સામે આવ્યું છે. જેના લીધે બાળકોના માતા-પિતા સહિત આખોય પરિવાર અને સમગ્ર ગ્રામજનો ચિંતામાં મૂકાઇ ગયા છે. જોકે આ અંગે ગામના સરપંચ અને જાગૃત નાગરિકોએ મઢડાના મેડિકલ ઑફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી. આથી રજૂઆતના પગલે મઢડા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ ગઇ હતી. બાદમાં આરોગ્ય ટીમ દ્વારા સર ગામના તમામ નાના બાળકોની તપાસણી કરવામાં આવી અને તેઓને તાત્કાલિક ધોરણે ઝેરી કમળો અને તાવ હટી જાય એ માટે આરોગ્યના અધિકારીઓએ બાળકોને દવા આપી હતી.
ભાવનગરમાં હાલ એક સાથે ત્રણ બીમારીઓએ માઝા મૂકી છે
અત્રે નોંધનીય છે કે, ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં એક સાથે ત્રણ વાયરલ બીમારીઓએ માઝા મૂકી છે. જેમાં કોરોના, સ્વાઈન ફ્લૂ અને કોંગો ફિવરનો સમાવેશ થાય છે. આજે ભાવનગરમાં કોરોના પોઝિટિવનો વધુ એક દર્દી નોંધાયો હતો જ્યારે ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવના આજે બે દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. હાલ ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવના 21 અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ મળીને કુલ 24 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.
તમને જણાવી દઇએ કે, ભાવનગરમાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 21એ પહોંચી ગઈ છે. જ્યારે ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં આજે બે દર્દીઓ કોરોનામુક્ત થતા હવે એક્ટિવ દર્દીની સંખ્યા ત્રણ રહી ગઈ છે. આ ત્રણેય દર્દીઓ હાલમાં ઘરે રહીને સારવાર લઈ રહ્યાં છે. જોકે, ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે સ્વાઈન ફ્લૂ કે કોમ્બો ફિવરના એક પણ દર્દી નોંધાયા ન હતા.