દરેક વ્યક્તિને ઇચ્છા હોય છે કે તે સારી રીતે સુઇ શકે. દરેક વ્યક્તિ માટે આ એક જરુરી પ્રક્રિયા છે. એક નવા અભ્યાસમાં એ વાત સામે આવી છે કે એક સામાન્ય પ્રક્રિયા દ્વારા તમે તમારી ઉંઘની ગુણવત્તા વધારી શકો છો.
શરીર થાકેલું હોય, કોઇ શારીરિક વ્યાધિ ન હોય છતાં પણ સ્વાભાવિક ઊંઘ ન આવે ત્યારે 'અનિદ્રા'ની તકલીફ છે એમ કહેવાય. અનિદ્રાના ઉપચારમાં સ્નાન, માલિશ, ઉબટન, વ્યાયામ, પછી કફવર્ધક આહાર લેવો જોઇએ. અનિદ્રાના મૂળભૂત શારીરિક કે માનસિક કારણો દૂર કરીને શીતળ અને શામક ઔષધોના વિધિવત માત્રા પ્રમાણેના સેવનથી ગાઢ નિદ્રા આવે છે. આ ઉપરાંત હુંફાળા પાણીથી સ્નાન કર્યા બાદ પણ તમને જલ્દીથી ઊંઘ આવે છે.
સાયન્સ મેગેઝિન સ્લીપ મેડિસિન રિવ્યુઝમાં પ્રકાશિત એક રિપોર્ટમા જણાવાયુ છે કે સુવાના લગભગ એકાદ બે કલાક પહેલા 40થી 42 ડિગ્રી સેલ્શિયસ તાપમાન વાળા હુંફાળા પાણીમાં સ્નાન કરવાથી ઉંઘની ગુણવત્તા સુધરે છે.
સંશોધકોએ લગભગ 5322 અભ્યાસોનું વિશ્લેષણ કર્યુ. જેમાં મુખ્ય રીતે એ વાત સામેલ રહી કે પાણી અને તાપમાનનો આપણી ઉંઘ સાથે શું સંબંધ છે. આ તમામ અભ્યાસનું વ્યાપક વિશ્લેષણ કરીને જાણવા મળ્યુ કે 104થી 109 ડિગ્રી ફેરેનહીટ તાપમાનવાળા પાણીથી નહાવાથી સારી ઉંઘ આવે છે. એટલું જ નહીં જો તમે સુવાના એક કે બે કલાક પહેલા સ્નાન કરો છો તો તમે પથારીમાં પડ્યા ભેગા સુઇ જાવ છો. માત્ર 10 મિનિટમાં તમને ઉંઘ આવી જાય છે.
શરીરનું તાપમાન ઉંઘના ચક્રને પ્રભાવિત કરે છે જે સર્કેડિયન ચક્રને પ્રદર્શિત કરે છે. સામાન્ય વ્યક્તિના સર્કેડિયન ચક્રને સુવાના એક કલાક પહેલા તેના સમગ્ર શરીરના તાપમાનમાં આવનાપી લગભગ અડધાથી એક ડિગ્રી ફેરેનહીટ સુધીની કમીના રુપમાં વ્યાખ્યાયિત કરાય છે. જ્યારે આપણે ઉંઘમાં હોઇએ છીએ ત્યારે શરીરનુ તાપમાન ઘટી જાય છે. તે સમયે આપણા શરીરનું તાપમાન ન્યુનતમ હોય છે. પછી તે વધવા લાગે છે જે એક પ્રકારના જૈવિક એલાર્મનું કામ કરે છે. જે આપણને જાગવાના સંકેત આપે છે. હુંફાળા પાણીથી સ્નાન કરવાથી શરીરમાં રક્ત સંચાર વધે છે અને શરીરમાંથી પર્યાપ્ત તાપ નીકળી જાય છે અને શરીરના તાપમાનમાં કમી આવે છે.