બોલિવૂડની અભિનેત્રી ઉર્મિલા માતોડકર વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ છે. લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ અને કોંગ્રેસમાં અભિનેતા-અભિનેત્રીઓ અને ક્રિકેટરો રાજકીય પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે. કોંગ્રેસમાં સામેલ થયાં બાદ તેમને કોંગ્રેસમાં કેમ જોડાયાં તેનું કારણ કહ્યું હતું અને ચર્ચા એ પણ છે કે તેઓ મુંબઈ ઉત્તરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉર્મિલાને કોંગ્રેસમાં જોડાવા બદલ અભિનંદન આપ્યાં હતાં. છેલ્લાં ઘણાં સમયથી મીડિયા પર આ ચર્ચા ચાલી રહી હતી કે ઉર્મિલા માતોડકર કોંગ્રેસમાં જોડાશે. આજે તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયાં છે અને તેમને મુંબઈ ઉત્તરની બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે.
ઉર્મીલાએ કોંગ્રેસમાં જોડાયાં બાદ કહ્યું કે, આજનાં યુગમાં દેશને એવા નેતાની જરૂર છે જે તમામ લોકોને સાથે રાખીને ચાલે. તમામ લોકોને ન્યાય આપે અને કોઈ નાતજાત કે ધર્મમાં ફરક ન રાખે અને મારી નજરમાં આજ નેતાની વ્યાખ્યા છે.
ઉર્મિલા માતોંડકર કોંગ્રેસમાં જોડાયાં ત્યારે મિલીંદ દેવડા, સંજય નિરુપમ સમેત મહારાષ્ટ્ર કોંગ્રેસનાં મોટા નેતા દિલ્લીમાં હાજર રહ્યાં હતાં અને તમામ નેતાઓએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. મુંબઈ ઉત્તરની બેઠક પર આ પહેલા કોંગ્રેસમાંથી ગોવિંદા લોકસભા લડી ચુક્યાં છે.
2004માં આ બેઠક કોંગ્રેસ પાસે હતી જો કે ગત લોકસભામાં આ બેઠક ભાજપનાં ફાળે ગઈ હતી. હવે આ બેઠક પર ઉર્મિલાને મેદાને ઉતારવાની વાત ચાલી રહી છે. ઉર્મીલાને કોંગ્રેસમાં સ્ટાર પ્રચારક બનાવવાની પણ શક્યતાઓ ચાલી રહી છે. આ પહેલાં સલમાન ખાન સહિત અનેક અભિનેતાઓને નેતા બનવાની ઓફર મળી હતી પરંતુ તેમને આ ઓફર સ્વીકારી ન હતી.