આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 શ્રેણી શરૂ થવા જઇ રહી છે ત્યારે વર્લ્ડ કપ પહેલા બંને ટીમો માટે આ શ્રેણી ખૂબ અગત્યની રહેશે. ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં ગુમાવેલી આબરૂ બચાવવા મેદાને ઉતરશે તો સામે ભારતીય ટીમ પણ પોતાના વિજયરથને દોડતો રાખવા એડીચોટીનું જોર લગાવશે.
આજે અમદાવાદમાં રમશે પ્રથમ ટી-20 મેચ
વર્લ્ડ કપ પહેલા અગત્યની શ્રેણી
ભારતીય ટીમ માટે પ્લેઇંગ ઇલેવન માથાનો દુખાવો
ટેસ્ટ બાડ ટી-20 માં ઇંગ્લિશ ટીમને પછાડવા ભારતીય ટીમ તૈયાર
ટીમ ઇન્ડિયા ક્રિકેટના સૌથી મોટા ટેસ્ટ ફોર્મેટમાં ઈંગ્લેન્ડને પછાડીને હવે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ ટી-૨૦માં ઊતરવા માટે તૈયાર છે. ટેસ્ટ શ્રેણી ૩-૧થી જીતી લીધા બાદ વિરાટ સેનાનો ઉત્સાહ સાતમા આસમાનમાં છે. ટીમ ઇન્ડિયા પોતાનો દબદબો ટી-૨૦ શ્રેણીમાં પણ જાળવી રાખવા ઇચ્છે છે. ભારતમાં આ વર્ષ ટી-૨૦ વર્લ્ડકપ રમાવાનો હોવાથી વિરાટ એન્ડ કંપની આજે સાંજ સાત વાગ્યાથી શરૂ થઈ રહેલી ટી-૨૦ શ્રેણીનો પૂરો ફાયદો ઉઠાવવા ઇચ્છશે અને બધા વિકલ્પો અજમાવવા ઇચ્છશે. ટી-૨૦ વર્લ્ડકપ માટે આજથી 'બેસ્ટ'નો 'ટેસ્ટ' શરૂ થશે.
ભારતમાં રમાનાર ટી-૨૦ વર્લ્ડકપ પહેલાં મહત્વની શ્રેણી
વિરાટ અને ટીમ મેનેજમેન્ટ એ વાત પર ભાર મૂકી રહ્યું છે કે તેઓ આ શ્રેણી દ્વારા પોતાના 'કોર ગ્રૂપ'ને તૈયાર કરવાની કોશિશ કરે, જ્યારે આવી જ કંઈક યોજના ટી-૨૦ ક્રિકેટમાં દુનિયાની નંબર વન ટીમ ઈંગ્લેન્ડની પણ છે. ઈંગ્લેન્ડના ખેલાડી પણ કહી ચૂક્યા છે કે ભારતમાં રમાનારા ટી-૨૦ વર્લ્ડકપ પહેલાં આ શ્રેણી ઘણી મદદરૂપ સાબિત થશે. ટી-૨૦ ક્રિકેટમાં દુનિયાની બે સૌથી મજબૂત ટીમ વચ્ચે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોરદાર મુકાબલો થશે એમાં કોઈ શંકા નથી.
પ્લેઇંગ ઇલેવન છે માથાનો દુખાવો
ટીમ ઇન્ડિયાની વાત કરવામાં આવે તો ભારત પાસે દરેક સ્થાન માટે ઘણા વિકલ્પ હાજર છે. કેપ્ટન માટે આ સારા સમાચાર તો છે જ, પરંતુ સાથે-સાથે માથાનો દુખાવો પણ છે કે અંતિમ ઈલેવનમાં કયા ખેલાડીને સામેલ કરવા. ભારતીય ટીમ મેનેજમેન્ટ શરૂઆતની બે-ત્રણ મેચમાં વધુ અખતરા કરવાનું ટાળશે. ભૂતકાળના અનુભવને જોતાં કેપ્ટન કોહલી અને કોચ રવિ શાસ્ત્રી ટી-૨૦ વિશ્વકપમાં ભારતીય ઇનિંગ્સની શરૂઆત કોણ કરશે તે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી નક્કી કરી લે. ભારત પાસે રોહિત શર્માના જોડીદાર તરીકે લોકેશ રાહુલ અને શિખર ધવનના રૂપમાં બે વિકલ્પ હાજર છે. કોહલીએ પણ કહી દીધું છે કે રોહિત સાથે રાહુલ ઇનિંગ્સની શરૂઆત કરશે.
કેપ્ટન મોર્ગનનો આત્મવિશ્વાસ
અંગ્રેજોના મનમાંથી પીચનું ભૂત નીકળ્યું નથીઃ ટેસ્ટ શ્રેણીમાં કારમા પરાજય બાદ અંગ્રેજોના મનમાંથી પીચનું ભૂત હજુ પણ નીકળ્યું નથી. ઈંગ્લેન્ડના કેપ્ટન મોર્ગને ગઈ કાલે કહ્યું કે, ''ટી-૨૦ શ્રેણીમાં પીચ ટેસ્ટ મેચ જેવી નહીં હોય, પરંતુ આ પીચ સ્પિનર્સ માટે અનુકૂળ હશે. ટી-૨૦માં અમે બહુ જ શાનદાર ફોર્મમાં રમીએ છીએ. છેલ્લાં બે વર્ષમાં અમે ઘણી શાનદાર જીત મેળવી છે, પરંતુ આ વર્ષે વિશ્વકપ રમતાં પહેલાં અમારે અમારી રમત સુધારવા પર કામ કરવાનું છે અને કેટલીક નબળાઈઓ સુધારવાની છે. હું એવું નથી કહી રહ્યો કે અમે ટેસ્ટ મેચ જેવી જ પીચની આશા રાખીએ છીએ, પરંતુ અમે ટર્નિંગ ટ્રેકની આશા રાખી રહ્યા છીએ.''