બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:45 AM, 18 June 2026
સુરત શહેરના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં આજે 18 જૂનની સવારે ભીષણ આગની ઘટના સામે આવી હતી. અડાજણ ચાર રસ્તા નજીક આવેલી BAPS હોસ્પિટલ પાસે અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળતા હતા અને આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
પ્રાથમિક માહિતી અનુસાર, આગની શરૂઆત એક ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) શો-રૂમમાંથી થઈ હોવાનું સામે આવ્યું છે. શો-રૂમમાં રહેલી ઇલેક્ટ્રિક વાહનોની બેટરી અને અન્ય સામગ્રીને કારણે આગે ઝડપથી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં આગ બાજુમાં આવેલી એપોલો ફાર્મસી તેમજ એક પ્રખ્યાત રેસ્ટોરન્ટ સુધી પ્રસરી ગઈ હતી. આગની જ્વાળાઓએ આસપાસ પાર્ક કરાયેલા કેટલાક વાહનોને પણ ઝપેટમાં લઈ લીધા હતા, જેના કારણે નુકસાનનું પ્રમાણ વધુ વધી ગયું હતું.
ADVERTISEMENT
આગની તીવ્રતા એટલી વધુ હતી કે દુકાનો પર બનાવવામાં આવેલા પતરાના શેડનું મજબૂત લોખંડનું સ્ટ્રક્ચર પણ અસહ્ય ગરમીના કારણે ઓગળી ગયું હતું. થોડા જ સમયમાં આખું માળખું નમી પડતાં આસપાસના લોકોમાં વધુ ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને આગના દૃશ્યો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. શરૂઆતમાં ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યારે આગની ગંભીરતા વધતા સુરત ફાયર વિભાગના પાંચ અલગ-અલગ સ્ટેશનોની 10થી વધુ ફાયર ફાઇટર ગાડીઓ અને ટીમોને સ્થળ પર બોલાવવામાં આવી હતી. ફાયર ફાઇટરોએ આગ વધુ ન પ્રસરે તે માટે ચારેય બાજુથી પાણીનો સતત મારો ચલાવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી.
ADVERTISEMENT
આ બનાવ અંગે માહિતી આપતા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.ડી. ધોબીએ જણાવ્યું હતું કે આગ લાગ્યાનો કોલ મળતા જ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અધિકારીઓ પહોંચે તે પહેલા આગ આજુબાજુની અન્ય દુકાનોમાં પણ પ્રસરી ગઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પાલનપુર, જહાંગીરપુરા, મોરાભાગળ અને મુગલીસરા ફાયર સ્ટેશનની ટીમોની પણ મદદ લેવામાં આવી હતી.

ADVERTISEMENT
સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે, EV શો-રૂમ, એપોલો ફાર્મસી, રેસ્ટોરન્ટ તેમજ આગની ઝપેટમાં આવેલા વાહનોને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. હાલમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
આ પણ વાંચો : '50 લાખ આપો નહીં તો લાશ મળશે' પરંતુ 3 દિવસ બાદ ખુલ્યું એવું રહસ્ય કે સૌ ચોંકી ગયા
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને ફાયર વિભાગ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે. ફાયર વિભાગની સમયસર અને ત્વરિત કામગીરીના કારણે મોટી જાનહાનિ ટળી હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. હોસ્પિટલ અને ભીડભાડવાળા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચિંતા અને ચર્ચાનો વિષય ઉભો કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.