સરકાર પોતાના અધિકારીઓના કૌશલ સંવર્ધન અને ફરજનિષ્ઠામાં વર્ધન માટે કર્મયોગીના તાલીમ વર્ગો સમયાંતરે યોજે છે. કર્મચારી અને અધિકારીઓને કર્મયોગી બનાવવા પાછળનો ઉદેશ્ય નાગરિકોને સરકારી સેવા સુગમતાથી મળી રહે તે છે. પરંતુ સરકારના આવા અનેક કાર્યક્રમો કરાયા હોવાં છતાં કેટલાંક અધિકારીઓ નિરંકુશ અમલદારનાં વેશમાં જ અરજદાર સામે રજૂ થતાં હોય છે.
શું સામાન્ય નાગરિકોને અધિકારીઓ સામે ખુરશી પર બેસવાનો અધિકાર નથી?
લાચારી અને અરજદારી સામે અંગ્રેજ માનસિકતા અમલદારી કેટલી યોગ્ય
આવાં જ એક અમલદારે પાટનગરનાં સચિવાલય (Sachivalay) માં જ અરજદારને પોતાના મિજાજનો પરિચય આપ્યો. અરજદાર નાગરિક અધિકારી સામે ખુરશી પર બેઠો તો અધિકારીનો મિજાજ સાતમાં આસમાને પહોંચી ગયો. ત્યારે પછી શું થયું? તે જોઈએ આ અહેવાલમાં.
રાજ્યનું પાટનગર ગાંધીનગર કે જ્યાં અહીંથી આખા રાજ્યનો વહીવટ થાય છે. સામાન્ય નાગરિકોને સરકાર સાથે સ્પર્શતી તમામ બાબતોનો વહીવટ અહીંથી થાય છે. કેમ કે જનતાએ ચૂંટેલા નેતાઓનો અહીં સદાકાળ વાસ હોય છે. આમ તો સામાન્ય નાગરિકોનાં વહીવટી પ્રશ્નોનાં ઉકેલ માટે અહીં સચિવાલયમાં કર્મચારીઓ અને અધિકારીઓથી ઓફિસો ધમધમતી હોય છે. ત્યારે આ અધિકારીઓનાં નામ અને હોદ્દો ધરાવતા બોર્ડમાં સૌથી નીચે સ્પષ્ટ લખ્યું છે કે અરજદારે જે તે શાખામાં જતાં પહેલા નાયબ સચિવ શ્રીને મળવું.
જો કે, સામાન્ય નાગરિકો પોતાના સ્થાનિક પ્રશ્નોને લઈને ત્યારે જ અહીં આવે છે જ્યારે સ્થાનિક કક્ષાએથી પ્રશ્નોનો કોઈ ઉકેલ તેમને મળ્યો ન હોય. એ રીતે સામાન્ય નાગરિકોના વહીવટી નિરાકરણ માટે સચિવાલય એ સુપ્રીમ કોર્ટની ગરજ સારે છે. કેમ કે નાગરિકોને એવું માનતા હોય છે કે, ગાંધીનગરમાં બેઠેલો સાહેબ મને સાંભળશે અને મારા પ્રશ્નનું નિરાકરણ આવશે. જો તમે પણ મનમાં આવી જ ધારણા રાખીને બેઠા હોવ તો પહેલા વીડિયો જોઇ લેજો અને તેમાં ચાલતા સંવાદને સાંભળશો તો ખ્યાલ આવી જશે. કદાચ એ જોઈને તમારો મત બદલાઈ જશે. કેમ કે વીડિયો જોશો તો તમને ખ્યાલ આવશે કે તમારી લાચારી અને અરજદારી સામે અંગ્રેજ માનસિકતા ધરાવતી અમલદારી કંઈ હદે વર્તતી હોય છે.
વીડિયોમાં ફરિયાદનાં સૂરમાં સંભળાતો અવાજ અરજદારનો છે. એ અરજદારનું નામ કાનજીભાઈ વાઘેલા છે. અરજદાર કાનજીભાઈ મહેસૂલ વિભાગના નાયબ સચિવ આર.વી. ભટ્ટ સમક્ષ પોતાની રજૂઆત લઈને ગયા હતા. અરજદાર નાયબ સચિવની પરમિશન લઈને તેમની ઓફિસમાં પ્રવેશ્યા અને સાહેબ સામે પડેલી ખુરશી પર બેઠા. અરજદાર જેવા ખુરશી પર બેઠા કે નાયબ સચિવ આર.વી. ભટ્ટનો મિજાજ સાતમા આસમાને પહોંચી ગયો. કેમ કે કોઈ સામાન્ય અરજદાર તેમની સામે ખુરશી પર બેસે તે વાત એ અધિકારીને રુચિ નહીં.
એક સામાન્ય નાગરિક તેમની સામે ખુરશી પર બેઠો તો નાયબ સચિવ આર.વી. ભટ્ટનો જાણે અહમ્ ઘવાઈ ગયો. તેમણે અરજદારને સાંભળ્યાં વગર જ ખુરશી પરથી ઊભો કરી મૂક્યો અને ધમકાવીને ઓફિસ બહાર કાઢી મૂક્યો. જો કે સાહેબ સત્તાના નશામાં એ વાત ભૂલી ગયા હતા કે હવે સાહેબ લોકોનો નહીં સોશિયલ મીડિયાનો જમાનો છે. અરજદારે એક અધિકારી દ્વારા થતા પોતાના અપમાનનો અને અધિકારીને તે અંગે સવાલ કરતો વીડિયો બનાવી લીધો અને ઢોંગી કર્મયોગીની જાહેરમાં ફજેતી કરી નાખી.
આ વીડિયોમાં સભળાતા સંવાદ પરથી એ સ્પષ્ટ જણાઇ આવે છે કે, નાયબ સચિવ પોતાના બચાવ માટે વાત આડા પાટે લઈ જઈ રહ્યાં છે. એટલું જ નહીં તે અરજદારને મોઘમ રીતે ધમકી આપી રહ્યાં છે કે, ફરી વાર આવો ત્યારે પરમિશન લઈને આવજો. એનો અર્થ એ થયો કે હું મળવાની પરમિશન આપું તો આવી શકશો ને? ત્યારે સવાલ એ થયાં છે કે, આર.વી. ભટ્ટે કયા નિયમને આધારે અરજદારે ખુરશી પર બેસતા રોક્યા?
કર્મયોગીની તાલીમમાં તેઓ અરજદારને હડધૂત કરવાના પાઠ શીખ્યા છે? તેઓ માત્ર સરકારને જ જવાબદાર છે નાગરિકોને નહીં? એક અધિકારી તરીકે તેમનો આ વ્યવહાર સરકાર ઉચિત સમજે છે? શું સામાન્ય નાગરિકોને અધિકારીઓ સામે ખુરશી પર બેસવાનો અધિકાર નથી? શું આવા અધિકારીઓ હજુ પણ અંગ્રેજ જમાનામાં જીવે છે? શું આવા અધિકારી હશે ત્યાં સુધી પારદર્શી વહીવટ થશે? આવાં ઘણા સવાલનાં જવાબ સરકારે અને ખુદ આર.વી. ભટ્ટે આપવાનાં છે.