ગુજરાતમાં આ વર્ષે 145 ટકા વરસાદ ખાબકતાં 20થી વધુ જિલ્લામાં અતિવૃષ્ટી સર્જાઈ હતી. ત્યારે ચોમાસાની વિદાય બાદ પણ સાયક્લોનની અસર વચ્ચે વધુ એક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક હિસ્સામાં ધોધમાર વરસાદ વરસી ગયો. ખેડૂતોને હવે પાક લેવાનો સમય થયો છે બરાબર તેવા સમયે જ આવેલા વરસાદે ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન કર્યું છે. ઉજળી આશા રાખીને બેઠેલા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. જાણો રાજ્યમાં ક્યાં ક્યાં અને કયા પાકને નુકસાન થયું.
કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકમાં કરોડો રૂપિયાનું નુકસાન
કૃષિ વિભાગે વીમા કંપનીઓનો સંપર્ક કર્યો
સૌરાષ્ટ્ર, મધ્યગુજરાત અને અમદાવાદ જિલ્લાના આસપાસના ગામના ખેડુતોને નુકસાન
રાજ્યના આકાશ પર ક્યાર વાવાઝોડાની અસરથી લોપ્રેશર સર્જાતા અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. મંગળવાર સાંજથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર, મધ્યગુજરાત અને અમદાવાદ જિલ્લાના આસપાસના ગામના ખેડુતોના મગફળી, કપાસ અને તલના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટમાં એક જ કલાકમાં અઢી ઈંચ અને મોરબીમાં 2 ઈંચ વરસાદ વરસાદ પડતાં મોરબી, હળવદ, ટંકારા, વાંકાનેર, માળિયા, મિયાણાં પંથકના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. રાજકોટના પડધરી અને આસપાસના 60 જેટલા ગામમાં માવઠાને કારણે મગફળીના પાકને ભારે નુકસાન થયું છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કથગરાએ સરકાર પાસે નુકસાનીનો સર્વે કરવા અને ટેકાના ભાવે ખરીદીના નિયમોમાં ફેરફાર કરવા માગણી કરી છે.
તો આ તરફ સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદની ભારે અસર જોવા મળી છે. કમોસમી વરસાદ પડતા અનેક તાલુકામાં પાકને મોટા પાયે નુકસાન થયું થયું છે. કપાસ, મગફળીના પાકનું હજારો હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મોટું નુકસાન થયું છે. સુરેન્દ્રનગરના વઢવાણ, લીંબડી, સાયલા, મુળી, લખતર, પાટડી અને ધ્રાંગધ્રા તાલુકાઓમાં કમોસમી વરસાદ થતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે અને તૈયાર પાક નિષ્ફળ ગયો છે. ત્યારે ખેડૂતોની માગ છે કે સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરી અને સહાય કરવામાં આવે.
તો આ તરફ અમદાવાદના માંડલ તાલુકામાં પાકને મોટા પાયે નુકસાન થયું છે. કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. માંડલ અને આસપાસના ગામોમાં ખેતરમાં પાણી ભરાઇ જવાથી કપાસનો પાક નિષ્ફળ ગયો છે. શિયાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ખેડૂતો નુકસાનીનો સર્વે કરવાની માગણી કરી રહ્યા છે.
અમદાવાદ નજીકના ચાંગોદર આસપાસના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદને કારણ ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. અચાનક પડેલા વરસાદને કારણે કાપણી કરીને મૂકેલી ડાંગર પલળી ગઈ હતી. હવે તેને કોહવાતી બચાવવા માટે ખેડૂતો પ્રયાસ કરી રહ્યા છે.
માવઠું કેવી રીતે નુકસાનદાયક?
હાલ ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. કમોસમી વરસાદ કેવી રીતે નુકસાનકારી છે તેને સમજીએ તો લણણીના સમયે જ પલળી જવાથી પાક નિષ્ફળ ગયો છે. ખેતરમાં પાક ઢળી જવાથી તે કોઇ કામનો નથી રહેતો. અને પલળી ગયેલા પાકને કોઇ વેપારી ખરીદતો નથી. પાકની સાથે-સાથે પશુઓ પશુઓનો ઘાસચારો પણ બરબાદ થઇ ગયો છે. ખેતરમાં પાણી ભરાઇ જવાથી શિયાળુ વાવેતર માટે મોડું થશે. શિયાળુ પાકનું વાવેતર મોડું થતાં ઉત્પાદન ઓછું થશે. કેરીના આંબા પર મોરનું આવરણ ઘટશે જેથી ઉનાળામાં કેરીનો સ્વાદ મોંઘો પડશે. હાલ તો ખેડૂતો સરકાર સામે નુકસાનીનો સર્વે કરી સહાયની માગણી કરી રહ્યા છે.
કૃષિ વિભાગે વીમા કંપનીઓનો સંપર્ક કર્યો
ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. આથી કૃષિ વિભાગે વીમા કંપનીઓનો સંપર્ક કર્યો છે. લણવાની પ્રક્રિયામાં થયેલી નુકસાનીની અરજી લેવા અંગે વાતચીત કરી છે. તેમજ વહેલી તકે નુકસાનીની રકમ ભરપાઈ કરવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના અનેક જીલ્લાઓમાં કમોસમી વરસાદ થયો છે.
અતિવૃષ્ટીના કારણે મગફળી પકવતા ખેડૂતોને નુકશાન થતા ભારતીય કિશાન સંઘે CMને પત્ર લખીને રજૂઆત કરી હતી. કપાસ, મગફળી, સોયાબીનને નુકશાન થયાનો ઉલ્લેખ કર્યો હતો અને પાકનો ઝડપી સર્વે કરવા CM રૂપાણીને માગણી કરી હતી. ભીની મગફળીની ખરીદી થતી ન હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોટાભાગના ખેડૂતોની મગફળી વરસાદમાં પલળ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કિશાન સંઘે કહ્યું કે, ભીની મગફળીનો પાક વીમો ખેડૂતોને મળે.