PM મોદીને યુક્રેનને વધારાની માનવતાવાદી સહાય મોકલવા વિનંતી કરી
યુક્રેનના નાયબ વિદેશ મંત્રી એમિન જાપારોવા ભારતની ત્રણ દિવસની મુલાકાતે
એક વર્ષથી વધુ સમયથી રશિયા સાથે યુદ્ધ લડી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર મોકલ્યો છે. આ પત્રમાં તેણે પીએમ મોદીને યુક્રેનને વધારાની માનવતાવાદી સહાય મોકલવા વિનંતી કરી છે. આ વિનંતી એવા સમયે કરવામાં આવી છે જ્યારે યુક્રેનના નાયબ વિદેશ મંત્રી એમિન જાપારોવા ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે.
યુક્રેનના નાયબ વિદેશ મંત્રી જાપારોવાએ ગઈકાલે ભારતના નાયબ વિદેશ પ્રધાન મીનાક્ષી લેખી સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદીને સંબોધિત રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો આ પત્ર સોંપ્યો હતો. આ પત્રમાં યુક્રેને દવાઓ અને તબીબી સાધનો સહિત વધારાના માનવતાવાદી પુરવઠાની વિનંતી કરી છે.
શું કહ્યું વિદેશ મંત્રાલયે?
વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં આ માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, યુક્રેનના મંત્રીએ એવો પણ પ્રસ્તાવ મૂક્યો હતો કે, યુક્રેનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પુનર્નિર્માણ ભારતીય કંપનીઓ માટે એક તક બની શકે છે. નિવેદન અનુસાર બંને દેશો વચ્ચે આગામી આંતર-સરકારી આયોગ ભારતમાં પરસ્પર અનુકૂળ તારીખે યોજાશે તે અંગે સહમતિ સધાઈ છે.
ભારત સાથે સંબંધો વધારવાની ઈચ્છા
ભારત સાથે સંબંધો વધારવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું, ભારત મોટી ભૂમિકા ભજવી શકે છે. અમે સાર્વભૌમ દેશોના નિર્ણયોનું સન્માન કરીએ છીએ. ભારત અન્ય દેશો સાથે પણ સંબંધો બનાવી રહ્યું છે. તે તમારે નક્કી કરવાનું છે, તે તમારા ફાયદા માટે છે. તેમણે કહ્યું કે, યુક્રેન ભારત સાથે મહત્વપૂર્ણ સૈન્ય તકનીક અને કુશળતા શેર કરવા માટે તૈયાર છે.