શુક્રવારે કેન્દ્રએ તમામ રાજ્યોને તેમના સંબંધિત અધિકારક્ષેત્રોમાં આવતા ઓક્સિજન પ્લાન્ટની સૂચિ તૈયાર કરવા અને બંધ એકમો ફરીથી શરૂ કરવા આદેશ આપ્યો છે
કોરોનાના વધી રહેલા કેસોની વચ્ચે અમિત શાહ થયા સક્રિય
રાજ્યોને પત્ર લખીને ઓક્સિજન પ્લાન્ટની સૂચિ તૈયાર કરવા કહ્યું
બંધ એકમોને પણ ફરીથી શરૂ કરી દેવા માટે કર્યા નિર્દેશ
શુક્રવારે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને તેમના સંબંધિત અધિકારક્ષેત્રોમાં આવતા ઓક્સિજન પ્લાન્ટની સૂચિ તૈયાર કરવા અને બંધ એકમોને પુરવઠો વધારવા માટે ફરીથી શરૂ કરવા આદેશ આપ્યો છે જેથી કોરોના સંક્રમણના વધી રહેલા કેસો સામે ઓક્સિજનની વધી રહેલી માંગણીને સંતોષી શકાય.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લખ્યો પત્ર
કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ઓક્સિજન વહન કરતા વાહનોના સ્ટોપેજ બંધ થવાની ઘટનાઓ હજી સામે આવી રહી છે. તેમણે રાજ્યોને નિર્દેશ કર્યો કે મેડિકલ સપ્લાયને રોકવામાં કે અવરોધિત ન કરાય તે સુનિશ્ચિત કરવામાં આવે. એક સત્તાવાર નિવેદન અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે દેશમાં કોરોના રોગચાળા સ્થિતિની સમીક્ષા કરી અને મેડિકલ હેતુઓ માટે ઓક્સિજનની સપ્લાય વધારવાના સૂચનો આપ્યા હતા.
વાયુસેનાએ વિવિધ ફિલિંગ સ્ટેશનોમાં ઓક્સિજન 'કન્ટેનર' વિમાનો તૈયાર કર્યા
કોરોના દર્દીઓ વહેલી તકે ઓક્સિજન પહોંચે તે માટે ભારતીય વાયુસેનાએ (શુક્રવારે) દેશના વિવિધ ફિલિંગ સ્ટેશનો પરથી મેડિકલ ઓક્સિજનના ખાલી ટેન્કર અને કન્ટેનર લઇ જવાનું શરૂ કરી દીધું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એરફોર્સના વિમાનમાં કોચ્ચી, મુંબઇ, વિશાખાપટ્ટનમ અને બેંગાલુરુથી દિલ્હીની વિવિધ હોસ્પિટલોમાં ડોકટરો અને નર્સોને પણ લઈ જવામાં આવ્યા છે.
વાયુસેના સામગ્રી અને સ્ટાફને પહોંચાડી રહી છે
તેમણે કહ્યું કે આ સિવાય એરફોર્સ દેશની વિવિધ કોરોના હોસ્પિટલોમાં દવાઓ અને ઉપકરણો પણ પહોંચાડી રહ્યું છે. ભારત કોરોના વાયરસના ચેપની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે અને કોરોનાના વધતા જતા કેસોને લીધે ઘણી હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજન અને પથારીની ઘટ ઊભી થઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચિનૂક અને એમઆઈ -17 હેલિકોપ્ટરને તૈયાર કરાયા છે. સાથે જ વાયુસેનાએ સી -17, આઈએલ-76,એએન -32 અને જેવા કાર્ગો વિમાનો પણ ગોઠવ્યા છે.
વાયુસેનાના વિમાનો દ્વારા પરિવહન થઈ રહ્યું છે
મંત્રાલયે જણાવ્યું હતું કે, આ ઉપરાંત, સી -17 અને આઈએલ-76 એ કોવિડ -19 હોસ્પિટલની સ્થાપના માટે મોટા પ્રમાણમાં બાયો સેફ્ટી કેબિનેટ્સ અને ઓટોક્લેવ મશીનો લેહમાં પહોંચાડ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓક્સિજનથી ભરેલા કન્ટેનર લશ્કરી વિમાન દ્વારા પરિવહન થતું નથી, કેમ કે ગેસને જ્વલનશીલ માનવામાં આવે છે અને તે વિમાનને જોખમ પેદા કરી શકે છે. મંત્રાલયે કહ્યું કે વાયુસેનાના કાર્ગો વિમાનો અને હેલિકોપ્ટર તાત્કાલિક સૂચના મળવા પર રેડી થઈ શકે છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, વાયુસેના દેશના વિવિધ ભાગોમાં કોવિડ -19 હોસ્પિટલ સ્થાપવા માટે જરૂરી ઓક્સિજન કન્ટેનર, ઓક્સિજન સિલિન્ડર, આવશ્યક દવાઓ, સાધનો પહોંચાડી રહી છે.