આણંદ જિલ્લાના ખંભાતના અકબરપુર વિસ્તારમાં રવિવારે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં બે જૂથના ટોળાએ આમને સામને પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન કેટલીક દુકાનોમાં તોડફોડ કરાઇ હતી. તો કેટલીક દુકાનોને સળગાવી દેવામાં આવી હતી. તો ટોળાએ 30થી વધુ મકાનોને પણ આગચંપી હતી. મકાનોમાં લૂંટફાટ પણ કરી હતી. પેટ્રોલ-એસિડ બોટલો સામસામે ફેંકાઇ હતી. 50 જેટલા વાહનોને પણ આગ લગાવી દીધી હતી. આ હિંસક અથડામણમાં 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને એક આધેડનું મોત નિપજ્યું હતું. તો કેટલાક પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા.
ખંભાત શહેરમાં ઘર્ષણ મામલે પોલીસની કાર્યવાહી
98 આરોપીઓ સહિત ટોળા સામે નોંધી 4 ફરિયાદ
અથડામણ બાદ પોલીસ છાવણીમાં ફેરવાયુ ખંભાત
આણંદ જિલ્લાના ખંભાતમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અત્યાર સુધીમાં 48 શખ્સોની ધરપકડ કરી છે અને 98 આરોપીઓ સહિત ટોળા સામે 4 ફરિયાદ નોંધી છે. તેમજ નુકસાન થયેલી મિલ્કતોના પંચનામા બનાવવાની કાર્યવાહી હાથ ધરી છે. હાલ ખંભાત પોલીસ છાવણીમાં ફેરવાયું છે. અથડામણને પગલે પોલીસ અધિકારીઓ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે.
શું છે સમગ્ર ઘટના?
ખંભાતના અકબરપુરમાં છેલ્લા એક વર્ષથી તંગદિલીભર્યું વાતાવરણ હતું. ત્યારે રવિવારે 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઘટનાની ગંભીરતાને જોતા ક્લેક્ટર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે 30થી વધુ ટિયરગેસના સેલ છોડ્યા હતા. હાલ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ST બસ-રેલ્વેને થઇ હતી અસર
સાવચેતીના ભાગરૂપે ખંભાત જતી ST બસોના રૂટ બંધ કરાયા હતા. ડેમુ ટ્રેનનો રૂટ પણ કેન્સલ કરાઇ હતી. હાલ ખંભાતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાથી આજુબાજુના લોકોને પણ ખંભાત ન જવા સૂચના અપાઇ છે. ત્યારે હાલ ખંભાત પોલીસ છાવણીમાં ફેરવાયું છે.
ખંભાતના વિસ્તારમાં તંગ પરિસ્થિતિ
ખંભાતના અકબરપુર, પિરજપુર, લાલદરવાજા, ભોયબારી ત્રણદરવાજા, પીઠ બજાર, જુમ્મા મસ્જિદ, કોરીવાસ, ચોક, તીનબત્તી, રાજ દર્શન સહિતના વિસ્તારમાં બંને જૂથોએ દુકાનો-મકાનો-વાહનોમાં આગ ચાંપી વાતાવરણ ડહોળ્યું હતું. જેમાં 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસે પેટ્રોલિંગ કરી સંવેદનશીલ વિસ્તારમાંથી તોફાની તત્વોને ઝડપી પાડ્યા છે.
પોલીસનો કાફલો પહોંચ્યો હતો ઘટનાસ્થળે
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ખંભાતના રેપિડેક્શન ફોર્સ, કલેક્ટર રેન્જ, IG, LCB, SOC, ક્રાઇમ આણંદ-પેટલાદ DySP અને અન્ય પોલીસ સ્ટાફ સહિતનો કાફલો ઘટના સ્થળે ઉતરી આવી પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.
1નું મોત, 2ને ગોળી વાગી
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એસિડ બલ્બના કારણે આકાશ ચુનારા નામનો એક યુવક દાઝ્યો હતો. જ્યારે તંગદિલીભર્યું વાતાવરણ જોઇને એક આધેડનું હાર્ટએટેક આવી જતા મોત નીપજ્યું હતું. જ્યારે બન્ને જૂથના 1-1 વ્યક્તિને ગોળી વાગી હોવાની પણ માહિતી મળી છે.