નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે પૂર્વોત્તરના પ્રવાસ દરમિયાન અરૂણાચલ પ્રદેશ અને આસામમાં જનસભાઓને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસના શાસનકાળ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ભારતે પ્રથમ વખત આતંકવાદીઓને ઘરમાં ઘુસીને માર્યા છે અને કોંગ્રેસ હેરાન છે. તેની સાથે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નિશાને લેતા કહ્યું કે અરૂણાચલમાં જે પ્રજાના ખિસ્સામાંથી રૂપિયા ચોરી રહ્યા છે, તેમને દિલ્હીમાં બેઠેલા પોતાના નેતાઓથી પ્રેરણા મળે છે.
પોતાના પૂર્વોત્તર પ્રવાસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે સૌથી પહેલા અરૂણાચલ પ્રદેશ પહોંચ્યા અને અહીં અરૂણાચલ પશ્વિમ ક્ષેત્રના આલોમાં જનસભાને સંબોધતા કરતા તેમણે રાહુલ ગાંધીને નિશાને લીધા હતા. રાહુલ ગાંધીનું નામ લીધા વિના પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના હંમેશા ભ્રષ્ટાચાર સાથે સંબંધો રહ્યા છે. તેમણે કહ્યું કે અમે ભલુ કરવા માટે કામ કરીએ છીએ, અને તેઓ પોતાની મલાઇ માટે કામ કરે છે.
કોંગ્રેસની આંખોમાં આંસૂ
પીએમ મોદીએ કહ્યું કે ભારતે અંતરિક્ષમાં પોતાની ક્ષમતાઓને વધારી દીધી છે. અંતરિક્ષમાં જઇને જીવીત સેટેલાઇટને મારનાર ભારત આજે દુનિયાનો ચોથો દેશ બની ગયો છે. તમને આ વાતથી ખુશી થશે, પરંતુ કોંગ્રેસની આંખોમાં આંસૂ છે. પીએમ મોદીએ કહ્યું કે એ કોંગ્રેસે એવી સરકાર ચલાવી છે, જેનાથી ભારત જેવા વિરાટ દેશની ઓળખ એક પીડિત દેશ બનાવી દીધી હતી.