આસ્થા અને ઉપાસનાનું પર્વ નવલી નવરાત્રી પૂર્ણ થઈ છે. નવ નવ દિવસ સુધી માની આરાધના અને ગુણગાન ગાયા બાદ ભક્તોએ ભીની આંખે માને વિદાય આપી. ત્યારે આપણે વાત કરીએ દેશભરમાં પ્રખ્યાત રૂપાલની પલ્લી વિશે. નૌમના દિવસે એટલે કે આજે વાજતે ગાજતે માતા વરદાયીની પલ્લી ભરાશે. રૂપાલમાં ઘીની નદીઓ વહેશે. જેના દર્શન માટે લાખો ભક્તો ઉમટશે. ત્યારે તમે જાણો પલ્લીના મેળા અને તેના મહત્વ વિશે...
રૂપાલના પલ્લીના મેળામાં વહે છે ઘીની નદીઓ
કહેવાય છે કે સૃષ્ટિના નિર્માણથી અહીં બિરાજમાન છે માતાજી
ગુજરાત જ નહીં દેશ-વિદેશથી પણ આવે છે ભક્તો
ગાંધીનગરમાં રૂપાલ ખાતે આયોજિત પલ્લીના મેળામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. વરદાયિની માતાના પ્રાંગણમાં પલ્લીનો મેળો યોજાય છે. જેમાં 8 લાખ કરતા વધુ ભક્તો માતાના દર્શન કરશે. ગયા વર્ષે 4 લાખ કિલો ઘી માતાજીને ચડાવાયું હતું. શ્રદ્ધાળુઓને ધ્યાને રાખીને વિશેષ બસો ગોઠવવામાં આવી છે. અલગ-અલગ 50 જેટલા વધારાની બસો ફાળવવામાં આવી છે. ભક્તોના ઘોડાપુરને ધ્યાને રાખીને પોલીસ ખડેપગે રાખવામાં આવી છે. તેમજ સુરક્ષા માટે 800 જેટલા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ આ મેળામા ઈમરજન્સી સારવાર માટે 5 કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ વખતે પણ વરદાયીની માતાના પ્રાંગણમાં ઘીની નદી વહેશે.
આનંદ-ઉત્સાહના મહાસાગર સાથે વહે છે ઘીની નદીઓ...
જેની એક જ્યોતના દર્શનથી જીવન ધન્ય થઈ જાય છે. જેના દર્શન કરવા એ જીવનનો લ્હાવો છે. કહેવાય છે તેના દર્શન માત્રથી તમામ દુઃખ દર્દનો સંહાર થઈ જાય છે. જ્યાં વહે છે ઘીની નદીઓ પણ નથી થતો ઘીનો બગાડ. જે વિજ્ઞાન માટે પણ એક ચેલેન્જ છે. દર વર્ષે આસો સુદ નૌમના દિવસે ગાંધીનગરના રૂપાલ ગામમાં આનંદ અને ઉત્સાહનો મહાસાગર ઉમટે છે. ગામના તમામ કોમના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર ઉમંગથી માના કામમાં લાગી જાય છે. આ ઉત્સવ હોય છે માતાજીની પલ્લીનો. દેશભરમાં માતા વરદાયીનીની પલ્લી પ્રખ્યાત છે. આ પલ્લીમાં હજારો-લાખો લીટર ઘીનો અભિષેક કરવામાં આવે છે. ધાર્મિક મહત્વની સાથે આ પલ્લી કોમી એખલાસના પણ દ્રશ્યો પાડે છે.
કહેવાય છે કે સૃષ્ટિના નિર્માણથી અહીં બિરાજમાન છે માતાજી
કહેવાય છે કે માતા વરદાયીની તમામ દુઃખ દર્દ દૂર કરનારી અને ભક્તોની મનોકામના પૂર્ણ કરનારી દેવી છે. માતા વરદાયીના સ્મરણ માત્રથી ભક્તોના તમામ કષ્ટનો સંહાર થઈ જાય છે. ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં આવેલું માતા વરદાયીનું મંદિર અંતિ પ્રાચીન અને અલૌકિક છે. કહેવાય છે કે અહીં માતાજી સૃષ્ટીના નિર્માણ સમયથી જ બિરાજમાન છે. આદ્યશક્તિના નવ સ્વરૂપો પૈકી દ્રીવતિય સ્વરૂપ બ્રહ્મચારીણી હંસાવાહીની સ્વરૂપે રૂપાલમાં માતા વરદાયીની બિરાજમાન છે.
વણકર, સુથાર, વાણંદ, કુંભાર, મુસ્લિમ, પટેલ, ક્ષત્રિય પંચોલ સમાજ દ્વારા તૈયાર પલ્લી
પલ્લીની શરૂઆત વણકર ભાઈઓ દ્વારા થાય છે. પલ્લી બનાવવા માટે વણકર ભાઈઓ પલ્લી બનાવવા માટે ખીજડાનું લાકડું લાવે છે. ત્યારબાદ સુથાર ભાઈઓ પલ્લીનું નિર્માણ કરે છે. વાણંદ ભાઈઓ વરખડાના સોટા પલ્લીને બાંધે છે. કુંભાર ભાઈઓ કુંડા છાન્દે છે અને મુસ્લિમ સમાજના પિંજારા ભાઈઓ કુંડામાં કપાસ પુરી છે. જ્યારે પટેલ સમાજના લોકો પલ્લીની પૂજા આરતી કરી કૂંડામાં અગ્નિ પ્રગટાવે છે. પલ્લીની આગળ ક્ષત્રિય સમાજના ચાવડા ભાઈઓ ખુલ્લી તલવારે ઉપસ્થિત રહે છે. તો પંચોલ સમાજના લોકો માતાજીના નિવેદ માટે સવા મણનો ખીચડો તૈયાર કરે છે. ત્યારબાદ વાજતે ગાજતે પલ્લીની શરૂઆત થાય છે.
ગુજરાત જ નહીં દેશ-વિદેશથી પણ આવે છે ભક્તો
પલ્લી સમગ્ર યાત્રા દરમિયાન 27 ચકલાઓ આગળ ઉભી રાખવામાં આવે છે જ્યાં લાખો ભક્તો ઘીનો અભિષેક કરે છે. સમગ્ર ગામમાં ભર્યા બાદ આરતી અને પૂજા અર્ચના બાદ પલ્લી પૂર્ણ થાય છે. આ પલ્લીના દર્શન માટે ન માત્ર ગુજરાત પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દેશ બહાર અમેરિકા, લંડનથી પણ ભાવિક ભક્તો ઉમટે છે.