મહેન્દ્રસિંહ ધોનીને શ્રેષ્ઠ કેપટન માનવામાં આવે છે. તે મેદાનમાં સર્જાતી તમામ પરિસ્થિતીઓમાં હંમેશા શાંત રહેતા હતાં. અને તેના લીધે જ તેમને કેપ્ટન કૂલનાં નામે ઓળખવામાં આવે છે.
કેપ્ટન કૂલ રહેતાં હંમેશા કૂલ
મેદાન પર રહેતા હંમેશા શાંત
મહેન્દ્રસિંહ ધોનીએ કર્યો ખુલાસો
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાનાં પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીની ગણતરી દુનિયાના સર્વશ્રેષ્ઠ કેપટનોમાં કરવામાં આવે છે. તેમના નેતૃત્વમાં ભારતે વન-ડે અને ટી-20 બંનેમાં વિશ્વકપ જીત્યા છે. મેદાન પર કોઇપણ પરિસ્થિતી હોય કે ટીમની હાર-જીતનો સવાલ હોય ધોનીનો પ્રતિભાવ લગભગ સમાન જ રહેતો હતો. તેઓ મેદાન પર મોટાભાગે શાંત જ રહેતા હતાં. ને તેના લીધે જ તેમને કેપ્ટન કૂલનાં નામે ઓળખવામાં આવે છે. ગણતરીના જ એવા દિવસો હશે કે જેમાં ધોનીએ મેદાન પર ગુસ્સો બતાવ્યો હોય. આ બાબત અંગે પોતે ધોનીએ જ જાહેર કર્યું કે તે પોતાના પર કાબૂ રાખી અને શાંત રહેવાનો પ્રયાસ કઇ રીતે કરતાં હતાં.
ધોનીએ કહ્યું કે સામાન્ય લોકોની જેમ તેમને પણ ગુસ્સો આવતો હતો પણ તે પોતાની ભાવનાઓ પર કાબૂ મેળવવામાં સફળ થયાં. ધોનીએ એક ઇવેન્ટમાં લોકો સાથેના સંવાદમાં પોતાના ગુસ્સાને તે કાબૂ કરતાં એ વાત જાહેર કરી. ઘોનીએ લોકોને પૂછ્યું કે તમારામાંથી કોને લાગે છે કે તમારા બૉસ કૂલ કે શાંત છે? આ સવાલનાં જવાબમાં કેટલાક લોકોએ હાથ ઊંચ્ક્યો હતો. ત્યારે ધોનીએ ચપટી વગાડતાં કહ્યું કે 'કાં તો તમે બોસની નજરમાં તમારા પોઈન્ટ વધારવા માંગો છો અથવા તો તમે પોતે જ બોસ છો.'
હું કારણ જાણવાનો હંમેશા પ્રયત્ન કરતો
પૂર્વ ભારતીય કેપટન ધોનીએ કહ્યું કે ' ઇમાનદારીથી કહું તો જ્યારે આપણે મેદાનમાં રહેતા હોઇએ ત્યારે આપણે કોઇ ભૂલ કરવાં ન ઇચ્છતાં હોઇએ પછી તે મીસફિલ્ડીંગ હોય કે પછી કેચ છોડવું હોય. મેં હંમેશા એ જાણવાનો પ્રયાસ કરતો કે ખેલાડીએ ક્યાં કારણોસર કેચ છોડ્યો હશે? કોઇએ શા માટે મિસફિલ્ડીંગ કરી હશે? ગુસ્સો કરવાથી ભૂલ સુધરતી નથી. પહેલાથી જ સ્ટેડિયમમાં 40 હજાર લોકો સ્ટેડિયમમાં બેસીને તમને જોઇ રહ્યાં છે અને કરોડો લોકો તમને ટીવીમાં પણ જોઇ રહ્યાં છે. તેથી જ હું હંમેશા એ જોતો હતો કે આ ઘટના પાછળનું કારણ શું હશે?
ખેલાડીની નજરોથી જોવાનો પ્રયત્ન કરતો હતો...
ધોનીએ જણાવ્યું કે જો ખેલાડી મેદાન પર 100% એલર્ટ છે અને છતાં પણ કેચ છોડે છે તો મને કોઇ સમસ્યા નથી. સ્વાભાવિક છે કે હું એ જોવા માંગુ છું કે પ્રેક્ટિસ સેશનમાં તેણે કેટલા કેચ લીધા હતાં. જો તેને સમસ્યા છે અને તે પ્રેક્ટિસ કરીને વધુ સારાં પર્ફોરમન્સ માટે મહેનત કરી રહ્યો છે. હું કેચ છોડ્યાંની જગ્યાએ આ બાબતો પર વિચાર કરૂ છું. એવું શક્ય છે કે ખેલાડીની ભૂલને લીધે મેચ હારી પણ ગયાં હોઇએ પણ હું મોટાભાગે ખેલાડીની નજરોથી સમજવાનો પ્રયત્ન કરું છું. અમે અમારા દેશનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. હાર બાદ અમને પણ ખૂબ હતાશા અનુભવાય છે પણ અંતે પોતાની લાગણીઓને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરીએ છીએ.