કોરોના સંકટમાં લૉકડાઉનને કારણે સમગ્ર દેશ અને અર્થતંત્ર ઠપ્પ થયું છે ત્યારે તેને વેગ આપવા માટે ગૃહમંત્રાલયે મોડી રાત્રે તમામ પ્રકારની દુકાનોને ખોલવાની મંજૂરી આપી દીધી છે. 50 ટકા સ્ટાફ અને ગાઈડલાઈનનું પાલન કરીને દુકાનો ખોલી શકાશે તેમ ગૃહમંત્રાલયના ઓર્ડરમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે દુકાનો ખોલવા અંગેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકારનો રહેશે.
UPDATE : જો કે પ્રવર્તમાન કોરોના વાયરસના વધતા સંદર્ભમાં ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચાર મહાનગરોના મ્યુનિસીપલ કમિશનર અને કલેકટરોએ સંયુકત રીતે નિર્ણય કર્યો છે કે આ ચારેય મહાનગરોમાં તા.૩ જી મે સુધી દુકાનો-વ્યવસાયો ચાલુ કરવા દેવાશે નહી અને બંધ રાખવામાં આવશે.
કેન્દ્ર સરકારે દેશવ્યાપી લૉકડાઉન લાગુ રાખીને 3 મે સુધી લંબાવ્યું છે. આ વચ્ચે ગૃહમંત્રાલયે એક મોટો આદેશ જાહેર કર્યો છે. જાણકારી મળ્યા મુજબ દેશમાં આજથી તમામ દુકાનો શરતોની સાથે ખોલવાની મંજૂરી આપી દેવાઈ છે. દુકાનોમાં માત્ર 50 ટકા જ સ્ટાફ કામ કરી શકશે.
જો કે હજુ શૉપિંગ કૉમ્પ્લેક્સ અને મૉલ વગેરે ખોલવાની મંજૂરી અપાઈ નથી. આશા રખાય છે કે દેશમાં આજથી વ્યવસાયિક ગતિવિધિઓ થોડી ઝડપી બનશે. ઉલ્લેખનીય છે કે લૉકડાઉનને કારણે તમામ પ્રકારની સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી હતી માત્ર જીવન જરૂરિયાત વસ્તુઓ જેમ કે શાકભાજી, ફળ, દવા અને કરિયાણાની દુકાનો જ ખોલવાની મંજૂરી હતી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 24, 2020
મૉલ અને શૉપિંગ કૉમ્પ્લેક્સ નહીં ખૂલે
કેન્દ્ર સરકારના ઓર્ડર મુજબ મહાનગરપાલિકાની હદમાં આવેલા માર્કેટ કોમ્પ્લેક્સ, મોલ, સિંગલ બ્રાંડ અને મલ્ટી બ્રાંડ મોલ્સમાં આવેલી દુકાનો માટે આ નિયમ લાગુ પડશે નહી એટલે કે આ દુકાનો ખોલવા માટે મંજુરી આપવામાં આવી નથી.
આ વિસ્તારોમાં દુકાનો નહીં ખોલી શકાય
સરકારે જણાવ્યું હતું કે, હોટસ્પોટ અને કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા હોય તેવા વિસ્તારોમાં કોઈ પણ દુકાનો કે ધંધા રોજગારને શરૂ કરવામાં નહીં આવે. હાલની પરિસ્થિતિએ આવા તમામ સ્થળોએ દુકાનો બંધ જ રહેશે.
આ નિયમોનું પાલન કરવું પડશે
સરકારના આદેશ મુજબ આવાસ કોલોનીઓની બાજુની દુકાનો અને સ્ટેન્ડ અલોન દુકાનો ખોલવાની મંજૂરી અપાઈ છે જે નગરપાલિક અને મહાનગરપાલિકાની હદમાં આવતી હોય. શરતો મુજબ તમામ દુકાનો શૉપ એસ્ટાબ્લીશમેન્ટ હેઠળ રજિસ્ટર્ડ હોવી જોઈએ. દુકાનોમાં 50 ટકા જ સ્ટાફ હોવો જોઈએ. ઓર્ડર મુજબ જે લોકો પોતાની દુકાનો ખોલે છે તેઓએ પોતાના સ્ટાફ માટે માસ્ક અને ગ્લવ્ઝ સહિત તમામ વ્યવસ્થા કરવાની રહેશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ કડક રીતે પાલન કરવાનું રહેશે.