વૃદ્ધાશ્રમોની વાતો અનેક વખત થાય છે, ત્યાં તો વેઇટીંગ ચાલી રહ્યું છે તેવુ ક્યારેક નિશાસા સાથે તો ક્યારેક ચીંતા સાથે સંભળાય છે. જો કે માતા-પિતાને આ સ્થિતીમાં પહોંચાડનારા સંતાનો સામે તંત્રએ તો ક્યારનીય બાંયો ચઢાવી છે. પરંતુ આટલા વર્ષો પછી પણ વૃદ્ધોને એ જાણ નથી હોતી કે તેમની ખરાબ સ્થિતી દૂર કરવાનો રામબાણ ઇલાજ છે.
સરકારે ૨૦૦૭માં માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકનો કાયદો અમલી બનાવ્યો
સંતાનો સામે માતા-પિતાનું બ્રહ્માસ્ત્ર ‘વરિષ્ઠ નાગરિક કાયદો’
વૃદ્ધો માટે આ કાયદો આર્શીવાદ સમાન છેઃ સીટી ડે.કલેક્ટર અન્સુયા ઝા
કાયદાની જાણકારી
માતા-પિતાનું ભરણપોષણ ના કરીને જવાબદારીમાંથી છટકી જતાં સંતાનો સામે સરકારે ૨૦૦૭માં માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકનો કાયદો અમલી બનાવ્યો છે. આ કાયદા હેઠળ માતાપિતા સંતાનો સામે પ્રાંત અધિકારી સમક્ષ ભરણપોષણની અરજી કરી શકે છે. જેમાં કોઇ વકીલની જરૂર નથી હોતી. જો સંતાનો માતાપિતાને શારિરીક કે માનસિક યાતનાઓ આપતા હોય અને ભરણપોષણના કરતાં હોય ઉપરાંત માલમિલ્કત પચાવી પાડી હોય. તો તેનો ઉલ્લેખ અરજીમાં કરીને કલેક્ટર ઓફિસમાં અરજી આપવાની હોય છે. અરજી અંતર્ગત પ્રાંત અધિકારી અરજદારને જેની સામે ફરિયાદ કરી હોય તેવા તમામ સામાપક્ષને નોટિસ બજાવીને હાજર રહેવાની તાકીદ કરે છે. ત્રણ મહિના, છ મહિના કે વધુમાં વધુ પાંચ મહિનામાં અરજદારની અરજીનો નિકાલ થઇ જાય છે.
સંતાનોને યોગ્ય દિશા બતાવવા કાયદાનો સહારો
૮૦ ટકા સંતાનોને લગ્ન પછી માતા-પિતા બોજ કે તેમની પ્રાઇવેસીમાં દખલ કરતા હોય તેમ લાગે છે જેના કારણે તે પોતાનું અલગ પરીવાર બનાવે છે જેમાં માતા-પિતા ક્યાંય હોતા નથી. અંતે તેમનું સ્થાન વૃદ્ધાશ્રમ બની જાય છે. પરંતુ આજે માતા-પિતા સમજતા થયા છે કે સંતાનને યોગ્ય દિશા બતાવવા અને પોતાનો હક મેળવવા માટે કાયદાના સહારે જવાથી કોઇ નુકસાન નહી થાય.
શું કહે છે આંકડા?
અમદાવાદ પૂર્વઝોન અને પશ્વિમ ઝોન ઓફિસમાં વહેંચાયેલુ છે. બન્ને ઝોનના છેલ્લા પાંચ વર્ષ અને ચાલુ માસના આંકડા પર નજર નાંખીએ તો ૨૦૧૪માં ૧૪૪, ૨૦૧૫માં ૧૬૮, ૨૦૧૬માં ૧૨૨, ૨૦૧૭-૧૪૧, ૨૦૧૮માં ૯૨ અને ૨૦૧૯ ચાલુ માસ સુધીમાં ૩૪ કેસો ઓવરઓલ નોંધાયા છે.
વૃદ્ધો માટે આ કાયદો આર્શીવાદ સમાન છેઃ સીટી ડે.કલેક્ટર અન્સુયા ઝા
પૂર્વ વિભાગના સીટી ડે.કલેક્ટર અન્સુયા ઝા આ વીશે વાત કરતા કહે છે કે, “દુઃખ થાય છે જ્યારે માતા-પિતાએ પોતાના હક માટે કે ભરપોષણ માટે કાયદાનો સહારો લેવો પડે છે. આપણો દેશ વસુદેવ કુટુંબની ભાવના ધરાવતો દેશ છે. ત્યારે માતા-પિતાએ સંતાનો સામે ના છુટકે કાયદાનું હથીયાર ઉઠાવવુ પડે તે શરમજનક વાત છે. વૃદ્ધો માટે આ કાયદો આર્શીવાદ સમાન છે. અહીં ઘણી અરજીઓ આવે છે અને અમે તેનો ત્વરીત નિકાલ કરવાના પ્રયત્નમાં રહીએ છીએ. માતા-પિતાને તેમનો હક મળે તે માટે સતત કામ કરીએ છીએ.”
કાયદાનો પ્રચાર પણ સારી રીતે થયો છેઃ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ જે.બી. દેસાઇ
જ્યારે પશ્વિમ વિભાગના સીટી ડે. ક્લેક્ટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ જે.બી. દેસાઇ કહે છે કે, “ભરણપોષણના ઘણા બધા કેસો એવા છે જે સમાજમાં છતા થયા છે. જેના કારણે સંતાનો તરફથી તકલીફ ભોગવી રહેલા માતા-પિતા જાગૃત બન્યા છે અને અરજી કરતા થયા છે. કાયદાનો પ્રચાર પણ સારી રીતે થયો છે. જેના કારણે પણ સીનયરસીટીજનને માર્ગદર્શન મળી જ રહે છે. વધુમાં વધુ બે-ત્રણ મહિનામાં કેસનો નિકાલ થઇ જાય છે. ટુંકમાં આ કાયદો વરિષ્ઠ નાગરિકો માટે ઉત્તમ બની રહ્યો છે.”