જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તીએ કલમ 370 વિશે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો કલમ 370 નાબૂદ કરવામાં આવે તો જમ્મુ-કાશ્મીર સાથે ભારતનો સંબંધ સમાપ્ત થઇ જશે. તમને જણાવીએ કે, કલમ 370 જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપે છે.
મહત્વનું છે કે, કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ જમ્મુ-કાશ્મીર અંગે આપેલા નિવેદન બાદ પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ પ્રતિક્રિયા આપી છે. મહેબુબા મુફ્તીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર આર્ટિકલ 370ને ખતમ કરવાનું કામ કરશે તો તેના ખરાબ પરિણામ ભોગાવવા પડશે. આમ કરવાથી ભારતનો જમ્મુ કાશ્મીર સાથે સંબંધ હંમેશા માટે તુટી જશે.
વધુમાં તેમણે કહ્યુ કે, આર્ટિકલ 370 જમ્મુ કાશ્મીરના તમામ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. મહેબૂબા મુફ્તીનું આ પ્રકારનું નિવેદન ત્યારે આવ્યુ જ્યારે અરૂણ જેટલીએ એક બ્લોગ લખીને જણાવ્યુ હતુ કે, પૂર્વ પીએમ જવાહર લાલ નહેરૂનુ વલણ સ્પષ્ટ ન હોતુ જેથી જમ્મુ કાશ્મીરની સમસ્યા વધુ વિકટ બની છે.
કોંગ્રેસે છુપી રીતે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 35-એ લાગુ કરી. જેના કારણે આજે જમ્મુ કાશ્મીરમાં રોજગારી પેદા કરવામાં મુશ્કેલી ઉદભવી છે. નહેરૂની નીતિના પરિણામ જમ્મુ કાશ્મીરની જનતાને ભોગાવવાનો વારો આવ્યો છે.
તમને જણાવી દઇએ કે, મહેબૂબા મુફ્તી વારે વારે બંધારણની કલમ 35A સાથે કલમ 370ના મુદ્દા પર નિવેદન આપે છે. તાજેતરમાં જ મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે, કલમ 35A પર હુમલો કરવામાં આવ્યો તો તેને નથી ખબર કે, કાશ્મીરના લોકો તિરંગાની જગ્યાએ કયો ઝંડો લહેરાવે છે.