ટીમ ઇન્ડિયા માટે છેલ્લા ત્રણ મહિના શાનદાર રહ્યા છે. પહેલાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેમના જ ઘરમાં માત આપી ને પછી ટીમ ઇન્ડિયાએ શાનદાર ફોર્મ જાળવી રાખીને ઈંગ્લેન્ડને ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં ૩-૧થી પરાજય આપ્યો હતો. પરંતુ અમુક ભારતીય બેટ્સમેનોનું ફોર્મ ચિંતાનો વિષય બન્યું હતું.
સતત બે શ્રેણીમાં ટીમ ઇન્ડિયાની યાદગાર જીત
ઓસ્ટ્રેલીયા સામે ઐતિહાસિક વિજય બાદ ઘરઆંગણે ઈંગ્લેન્ડને પછાડ્યું
ટીમના અમુક બેટ્સમેનોનું ફોર્મ ચિંતાજનક
ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ભવ્ય વિજય સાથે જ ટીમ ઇન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ ઉપરાંત ભારતીય ટીમ આઇસીસીની ટેસ્ટ રેન્કિંગમાં પણ ટોચના સ્થાને પહોંચી ગઈ છે. ટીમ ઇન્ડિયાની આ જીતનો જશ્ન દેશભરમાં મનાવાઈ રહ્યો છે, પરંતુ જીતના આ શોરમાં ભારતીય બેટની 'ખામોશી' છુપાઈ ગઈ છે.
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં બોલર્સે જોરદાર પ્રદર્શન કર્યું. ઓસ્ટ્રેલિયામાં ફાસ્ટ બોલર્સે કમાલની બોલિંગ કરી તો ભારતીય ધરતી પર સ્પિનર્સે પોતાનો દમ દેખાડ્યો. બોલર્સના દમ પર જ હાલ ટીમ ઇન્ડિયા જીતી તો રહી છે, પરંતુ બેટ્સમેનોના ખરાબ પ્રદર્શને થોડી ચિંતા જરૂર ઊભી કરી છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં રોહિત શર્મા અને રોહિત શર્મા અને ઋષભ પંત સિવાય કોઈ અન્ય બેટ્સમેન ક્રીઝ પર ટકી રહીને મોટી ઇનિંગ્સ રમી શક્યો નહીં. શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે શ્રેણીમાં ફ્લોપ સાબિત થયા.
શુભમન ગિલઃ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પોતાની ટેસ્ટ કરિયર શરૂ કરનારા શુભમન ગિલ માટે ઈંગ્લેન્ડ સામેની શ્રેણી બહુ જ ખરાબ રહી. શ્રેણીમાં તેણે ફક્ત એક અર્ધસદી નોંધાવી. પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં તેણે ૫૦ રન બનાવ્યા હતા. એ સિવાય શુભમનનું બેટ શાંત જ રહ્યું. ઓસ્ટ્રેલિયા પ્રવાસનો હીરો સાબિત થયેલા ગિલે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં માત્ર ૧૧૯ રન બનાવ્યા. બે વાર તો તે ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ગિલનું આ કંગાળ પ્રદર્શન ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય છે.
ચેતેશ્વર પૂજારાઃ આ એ બેટ્સમેન છે, જેની આજુબાજુ ટીમ ઇન્ડિયાની ટેસ્ટ બેટિંગ નિર્ભર કરે છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેણે એ સાબિત પણ કરી આપ્યું હતું, પરંતુ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પૂજારાનું બેટ ખામોશ જ રહ્યું, જે સામાન્ય રીતે જોવા મળતું નથી. પૂજારાએ શ્રેણીની શરૂઆત તો અર્ધસદી ફટકારીને કરી હતી, પરંતુ ત્યાર બાદ તે પીચ પર સંઘર્ષ કરતો જોવા મળ્યો. તેણે શ્રેણીમાં કુલ ૧૩૩ રન બનાવ્યા. એક વાર તે ખાતું પણ ખોલાવી શક્યો નહીં. પૂજારાના બેટમાંથી સદી નીકળ્યાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેણે જાન્યુઆરી-૨૦૧૯માં ઓસી. સામે સિડની ટેસ્ટમાં ૧૯૩ રન બનાવ્યા હતા.
વિરાટ કોહલીઃ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી જ્યારે પણ બેટિંગ કરવા ઊતરે છે ત્યારે ચાહકો તેની પાસેથી સદીની અપેક્ષા રાખતા હોય છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં તો કોહલી માત્ર એક જ ટેસ્ટ રમ્યો હતો. તેણે એડિલેડમાં અર્ધસદી નોંધાવી હતી. ત્યાર બાદ ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં તેણે બે અર્ધસદી નોંધાવી અને બે વાર તે શૂન્ય રને આઉટ થઈ ગયો. ઈંગ્લેન્ડ સામેની છ ઇનિંગ્સમાં તેણે કુલ ૧૭૨ રન બનાવ્યા. તેનો સર્વોચ્ચ સ્કોર ૭૨ રનનો રહ્યો. કોહલીએ ૨૦૧૯માં બાંગ્લાદેશ સામે પોતાની છેલ્લી સદી ફટકારી હતી. એ સદી બાદ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કુલ ૩૬ ઇનિંગ્સમાં ૧૨૮૬ રન બનાવ્યા, જેમાં ૧૨ અર્ધસદી સામેલ છે. કોહલી છેલ્લી ૧૨ ટેસ્ટ ઇનિંગ્સમાં સદી ફટકારી શક્યો નથી.
અજિંક્ય રહાણેઃ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં અજિંક્ય રહાણેએ પોતાની કેપ્ટનશિપથી બધાને પ્રભાવિત કરી દીધા હતા. એડિલેડમાં ૩૬ રનમાં ઓલઆઉટ થયા બાદ ટીમ ઇન્ડિયા તૂટી ચૂકી હતી. મેલબર્નમાં રહાણેએ સદી ફટકારીને ટીમ ઇન્ડિયામાં ફરી એક વાર જોશ ભરી દીધું હતું. ત્યાર બાદ ટીમ ઇન્ડિયાએ તો પાછા વળીને જોયું નથી અને પરિણામ બધાની સામે છે, પરંતુ એ ઇનિંગ્સ બાદ રહાણેનું બેટ ખામોશ થઈ ગયું છે. ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં તે માત્ર એક અર્ધસદી ફટકારી શક્યો છે. તેણે શ્રેણીમાં માત્ર ૧૧૨ રન બનાવ્યા. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર ૬૭ રનનો રહ્યો. રહાણેના ફોર્મને લઈને પણ સવાલો ઊઠી રહ્યા છે.
આમ તો આ ભારતીય બેટ્સમેનો પોતાની બેટિંગ માટે ખૂબ જાણીતા છે પરંતુ હાલના ફોર્મને ધ્યાનમાં લેતા આગામી સમયમાં તેમના પ્રદર્શન પર સૌની નજર રહેશે.