એકવાર ફરી માયાનગરી મુંબઇમાં આકાશમાંથી આફતનો વરસાદ શરૂ થઇ ગયો છે. મોડી રાત્રે થયેલા ભારે વરસાદના કારણે મુંબઇના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. હવામાન વિભાગે અગાઉથી જ ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે.
જો આજે દિવસભર પણ વરસાદ યથાવત્ જોવા મળશે તો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. મુંબઇ નગરપાલિકા કોર્પોરેશન (બીએમસી)એ પહેલેથી જ કર્મચારીઓને સાવચેત રહેવા જણાવ્યું છે. આવા સમયે બીએમસી ભયજનકવાળી1 જગ્યા પર ખાસ સતર્કતા રાખી રહી છે.
મુંબઇમાં ફરી એકવાર ભારે વરસાદથી હાલાકી જોવા મળી છે ત્યારે શાયન વિસ્તારમાં માર્ગો પર ત્રણ ફૂટ પાણી ભરાયાં છે. જેના કારણે સ્થાનિક લોકોને બહાર નીકળવું મુશ્કેલ થયું છે. મુંબઈમાં ગઈ મોડી રાતે થયેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યું છે.
દાદરના હિંદમાતા વિસ્તારમાં પણ વરસાદી પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. હિંદમાતા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતાં સ્થાનિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે બીજી તરફ, હવામાન વિભાગે પણ 2 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે.
એટલું જ નહીં હવામાન વિભાગની આગાહી છે કે, મુંબઈમાં ચક્રવાતની સ્થિતિ સર્જાઈ શકે છે. જેના કારણે ભારે વરસાદ પડી શકે છે. ચાલુ વર્ષે જુલાઈમાં મુંબઈમાં 84 ટકા વરાદ નોંધાયો છે. મુંબઈમાં જુલાઈના પહેલા જ સપ્તાહમાં 84 ટકા વરસાદ ખાબક્યો છે.
મુંબઇ સિવાય ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઇને પ્રશાસને યેલો અલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઉત્તરકાશી, રૂદ્રપ્રયાગ, અલ્મોઢા, પિથૌરાગઢ અને બાગેશ્વરમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
આમ હવામાન વિભાગે ઉત્તર ભારતના દિલ્લી-એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. જ્યારે દેશમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 174 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં બિહારમાં 106 જ્યારે આસામમાં 68 લોકોના મોત થયાં છે.