ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચારઃ આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે, જેમાં રાજ્ય સરકારે આયોજિત કરેલી ચિંતન શિબિરની તૈયારી પર ચર્ચા કરવામાં આવશે
અમદાવાદમાં ગરમીનાં કારણે હિટ ઈલનેસનાં કેસમાં વધારો થયો છે. ગરમીને લગતી બીમારીઓમાં ચાલુ માસ દરમિયાન વધારો થયો છે. ત્યારે એએમસી સંચાલિત હોસ્પિટલમાં પ્રતિદિન 100 ઝાડા ઉલ્ટીનાં કેસ નોંધાઈ રહ્યા છે. પ્રતિદિન ઝાડા ઉલ્ટીનાં 30 જેટલાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શહેરમાં 1 મે થી ઝાડા ઉલ્ટીનાં કેસમાં સતત વધારો થતો હોવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે. છેલ્લા 15 દિવસમાં 108 ઈમરજન્સી સેવાને 1000 પેટના દુખાવાનાં કોલ મળ્યા છે. ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગુજરાતમાં હજુ ગરમીમાં વધારો થશે. ગરમીને લઈને 2 દિવસ સુધી કોઈ પ્રકારનું એલર્ટ નથી. 18થી 20 મે સુધી યલો એલર્ટ રહેશે. હાલ કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળશે નહીં. વરસાદને લઈને તેઓએ જણાવ્યું કે, આગામી 5 દિવસ વરસાદની કોઈ સંભાવના નથી. આગામી 24 કલાક સુધી તાપમાનમાં યથાવત્ રહેશે. 24 કલાક બાદ ગરમીમાં સામાન્ય વધારો થાય તેવી શક્યતા છે.
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. જેમાં રાજ્ય સરકારે આયોજિત કરેલી ચિંતન શિબિરની તૈયારી પર ચર્ચા કરવામાં આવશે તેમજ રાજ્યમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની વ્યવસ્થા મુદ્દે પણ સમીક્ષા કરવામાં આવશે. કમોસમી વરસાદના સહાય પેકેજની જાહેરાત બાદની અરજીના મુદ્દા અને ખેડૂતો તરફથી મળેલી અરજીઓ અને ચુકવણી મુદ્દે પણ સમીક્ષા થશે. મિલેટ વર્ષ અંતર્ગત ચાલી રહેલી બાજરી, રાગી સહિતની ખરીદી પર ચર્ચા થશે તેમજ રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પર સમીક્ષા થશે
છોટાઉદેપુરનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. સંખેડાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી છે, તેમણે કહ્યું કે, સરકારે આદિવાસી વિસ્તારમાં સારી સકૂલો ફાળવી છે તેના સંતોષના ભાગ રૂપે હું ભાજપમાં જોડાઉ છું.ધીરુભાઈ ભીલએ ભાજપમાં જોડાવવાની જાહેરાત સાથે જણાવ્યું કે, પાર્ટીના કાર્યકરો સાથે બેઠક યોજીને તમામના અભિપ્રાય લીધા હતો અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો ભાજપ સાથે જોડાવા માટે સહમત છે તેમણે ઉમેર્યું કે, 18 મેએ કેસરપુરામાં ભાજપ સંમેલન અને શાળા ઉદ્ઘાટન કાર્યક્રમમાં હું ભાજપમાં જોડાઈશ. અત્રે તમને જણાવી દઈએ કે, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાવવાના છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 16, 2023
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સર્વાંગી વિકાસની તેજ ગતિને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની નેમ સાથે નાના ગામથી માંડીને મેટ્રો શહેર સુધી રાજ્યના માર્ગ-મકાન વિભાગ હસ્તકના 919 કિ.મીટર લંબાઇના 94 માર્ગોના વિકાસ કામો માટે 2213.60 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. રાજ્યમાં કૃષિ, ઉદ્યોગ-વેપાર વગેરેની પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ સાથે વાહન યાતાયાત પણ દિન-પ્રતિદિન મોટા પ્રમાણમાં વધ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આ વિકાસ યાત્રા સાથે સુદ્રઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનો નવતર અભિગમ અપનાવી બંદરો, ઔદ્યોગિક કેન્દ્રો, મહાનગરો તેમજ પ્રવાસન સ્થળોને જોડતા સ્ટેટ હાઇવેઝને ફોરલેન, 10 મીટર પહોળા અને માર્ગ મજબૂતીકરણ, પૂલો, બાયપાસ સહિતના 94 કામો માટે આ માતબર રકમ મંજૂર કરી છે. એટલું જ નહિ, આ વર્ષના બજેટમાં જાહેર કરવામાં આવેલી પરિક્રમા પથ યોજના અન્વયે 17 જિલ્લાઓમાંથી પસાર થતા 37 રસ્તાઓની 289.32 કિ.મીટર લંબાઇને 10 મીટર પહોળી કરવા માટે 467.09 કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા છે.
રાજ્યમાં હાર્ટ એટકેથી મોતની ઘટના વધી રહી છે, બનાસકાંઠામાં ફરી એકવાર હાર્ટ એટેકથી બે વ્યક્તિનું મોત થયાની ઘટના સામે આવી છે. ડીસામાં એક વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. ચાલુ નોકરી દરમિયાન કીર્તિકુમાર સોલંકીનું હાર્ટ એટેકથી મોત થયું છે, તો પાલનપુરના પૂર્વ મામલતદારનું હાર્ટએટેકથી નિધન થયું છે. ડીસા નગર પાલિકામાં બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કિર્તીકુમાર સોલંકીનું હાર્ટ એટેકથી અચાનક મોત થયું છે. તેઓ ચાલુ નોકરીએ હતાં ત્યારે તમને અચાનક હાર્ટ એટેક આવ્યું હતું જેનાથી તેનું મોત થયું છે. જો કે, આ ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરીવળ્યું છે.પાલનપુરના પૂર્વ મામલતદારનું હાર્ટએટેકથી નિધન થયું છે જેઓ ભુજ ડિઝાસ્ટર મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા તેમનું વડગામ તાલુકાના બસુ ગામના હૈદર નાગોરી ગામે હાર્ટ એટેકથી અવસાન થયું છે.
કે ડી હોસ્પિટલમાં રેન્સમવેર એટેકથી હોસ્પિટલનું સર્વર ખોરવાયું હતું. જેમાં હોસ્પિટલની ફાઇલ, દર્દીઓનો ડેટા અને સીસીટીવી સહિતના ડેટાઓ ગાયબ થઈ ગયા હતા. સાયબર એટેક કરી કોમ્પ્યુટર સર્વરને નિશાન બનાવામાં આવ્યું હતું તેમજ સાયબર એટેક કરી 70 હજાર ડોલરની માગણી કરાઈ હોવાનું પણ જામવા મળ્યું છે.70 હજાર ડોલર બીટકોઈનમાં ટ્રાન્ફર કર્યા બાદ ડેટા પરત આપવા જાણ કરી હોવાની પણ વિગતો છે, રેન્સમવેર સાયબર એટેકને લઈ પોલીસને જાણ કરાઈ છે. જો કે, સમગ્ર બાબતને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે જેમાં સાયબર એક્સપર્ટ ટીમ પણ સાથે છે. અત્રે તમને જણાવી દઈએ કે, સાયબર એટેકની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે સાયબર ક્રાઈમ પણ અવાર નવાર નાગરિકોને સાવચેત અને સચેત રહેવા જરૂરી માહિતી પણ પુરી પાડી રહી છે
રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આ વર્ષે શરૂઆતનું ચોમાસું નિયમિત રહેશે. તેમજ અત્યારે સવારે ઝાકરી વાદળો આવે છે. બપોરે ઝાકરી વાદળો ગાયબ થઈ જાય છે. એક મહિના સુધી આ રીતે વાદળોની પ્રક્રિયા જોવા મળશે. ઝાકરી વાદળોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચોમાસું બેસશે. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં વરસાદ સારો રહેશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 15 થી30 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થશે. તેમજ 22મી જૂન આસપાસ વિધિવત ચોમાસાનો ગુજરાતમાં પ્રારંભ થશે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહેશે. ચોમાસાના મધ્ય ભાગમાં થોડી ગડબડ થઈ શકે છે. ત્યારે હાલ તો ઝાકળી વાદળો જોવા મળી રહ્યા છે તે ચોમાસુ સમયસર થશે તેની નિશાની છે. તેમજ મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં થશે.
ભગવદગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે યથેચ્છસિ તથા કુરુ. જેનો અર્થ થાય છે કે તારી વિવેકબુદ્ધિ પ્રમાણે તું કર. કદાચ આટલા નાના વાક્યનો કેન્દ્રવર્તી વિચાર એટલો જ છે કે સનાતન ધર્મમાં જેટલા પણ ભગવાન છે કે જેટલા પણ સંતો-દાર્શનિકો છે તેનું કામ તમને જ્ઞાન આપવાનું છે જેમાથી તમારે નક્કી કરવાનુ છે કે સાચુ શું અને ખોટુ શું. જો સત્ય-અસત્યનો ભેદ પારખી જઈએ તો તેનાથી વધારે ઉત્તમ કશુ જ નથી. અને સત્ય-અસત્યના ભેદની ચર્ચા ફરી શરૂ થઈ જયારે ઘણાં સમયથી ચર્ચામાં રહેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી ચર્ચામાં આવ્યા. આ વખતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ગુજરાતમાં પણ યોજાવાનો છે જેમા તેને પડકાર ફેંકવામાં આવ્યો છે. રાજકોટના સહકારી અગ્રણી અને વકીલ એવા પુરુષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને સવાલ પૂછ્યો છે કે રાજકોટમાં ડ્રગ્સ કયાંથી આવે છે, કેવી રીતે આવે છે, કોણ તેના સૂત્રધાર છે તે તમામ માહિતી સચોટ રીતે કહી બતાવો. એક મુદ્દો ઉછળે એટલે સ્વભાવિક છે કે તેની પ્રતિક્રિયા આવવાની છે. કદાચ એવું બને કે ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રી આવે એ પહેલા અને પછી ક્રિયા-પ્રતિક્રિયાઓનો દોર ચાલુ રહે ત્યારે સવાલ એ છે કે આ પડકારને ઝીલવામાં કોણ સફળ થશે.
આર્થિક રીતે નબળા અને કમોજોર સામાન્ય વર્ગના લોકોને આપવામાં આવેલ 10 ટકા અનામતને યોગ્ય ઠેરવતા નિર્ણય પર પુનર્વિચાર કરવામાં આવશે નહીં. આ સંદર્ભમાં દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને 16 મેએ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ગયા વર્ષે 7 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે EWS આરક્ષણને બંધારણીય ગણાવ્યું હતું. તેમજ 9 મેના રોજ પાંચ જજોની બેન્ચે તેની સામે દાખલ કરાયેલી સમીક્ષા અરજીઓ પર વિચાર કર્યો હતો. 7 નવેમ્બર 2022ના રોજ આપવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયમાં 5 જજોની બેંચે બંધારણના 103મા સુધારાને 3:2ની બહુમતીથી સમર્થન આપ્યું હતું.
ટાટા ગ્રુપે મીઠું, સોઈ, પ્લેન વગેરે બાદ હવે બેંગલૂરુમાં એપલનાં Iphone બનાવવાની શરૂઆત કરી દીધી છે. હવે દેશમાં થોડા જ સમયમાં પહેલો મેક ઈન ઈન્ડિયાનો ફોન લોન્ચ થવા જઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર Appleએ ભારતમાં Iphone 15નું વર્ઝન ફોન બનાવવા માટે Tata Groupની સાથે પાર્ટનરશિપ કરી લીધી છે. એટલું જ નહીં એપલની આ નવી સીરીઝનાં મેક ઈન ઈન્ડિયા ફોનને આ વર્ષનાં અંતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ પહેલાં ફોક્સકોન, પેગાટ્રોન અને લક્સશેર જેવી કંપનીઓ ભારતમાં Iphone એસેમ્બલ કરતી હતી પરંતુ હવે ટાટા ગ્રુપ આ રેસમાં આગળ આવ્યું છે.ટાટા ગ્રુપ ઈન્ડિયામાં એપલનાં આઈફોન બનાવનારી ચોથી કંપની હશે. Tata Groupએ Wistronની ભારતીય પ્રોડક્શન લાઈનનું સંપાદન પૂરું કરી દીધું છે જ્યાં Iphone 15 વર્ઝનનાં ફોનને એસેમ્બલ કરવામાં આવશે.
iPhone 15, 15 Plus to reportedly be made in India by Tata Group.
Tata’s share of assembly orders for various iPhone models is 5% for now.
બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું ભારતીય નૌકાદળના ફ્રન્ટલાઈન ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર આઈએનએસ મોરમુગાઓથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. નેવી અધિકારીઓએ રવિવારે (14 મે) ના રોજ આ માહિતી આપી. તેમણે કહ્યું કે આ મિસાઈલનું પરીક્ષણ સમુદ્રમાં નૌકાદળની ફાયરપાવર અને તાકાત દર્શાવે છે.નૌકાદળના એક અધિકારીએ જણાવ્યું હતું કે, નવા ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર INS મોર્મુગાઓએ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલના તેના પ્રથમ પરિક્ષણ દરમિયાન સફળતાપૂર્વક લક્ષ્યને હિટ કર્યું હતું. INS મોર્મુગાઓ ભારતીય નૌકાદળનું વિશાખાપટ્ટનમ-ક્લાસ સ્ટીલ્થ ગાઈડેડ-મિસાઈલ ડિસ્ટ્રોયર છે. તે Mazagon Dock Limited ખાતે બનાવવામાં આવ્યું હતું અને 17 સપ્ટેમ્બર 2016ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ જહાજ 18 ડિસેમ્બર 2022ના રોજ કાર્યરત થયું હતું.
કર્ણાટકમાં મુખ્યમંત્રી પદના ચહેરાને લઇને પેચ ફસાયો છે જો કે, આજે મુખ્યમંત્રીના નામની જાહેરાત થઇ શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે સોનિયા ગાંધી સાથે ચર્ચા કરશે તેમજ મંગળવારે મલ્લિકાર્જૂન ખડગે સાથે સિદ્ધારમૈયા અને ડી.કે શિવકુમારે મુલાકાત કરી છે. બંને નેતાના નામની ચર્ચા મુખ્યમંત્રી પદ માટે થઇ રહી છે તેમજ મંગળવારે દિવસભરની મુલાકાત અને ચર્ચા બાદ પણ નામ પર મહોર લાગી નથી. સિદ્ધારમૈયા અને ડી.કે શિવકુમાર બંને હાલ દિલ્લીમાં છે તેમજ બંનેને અઢી-અઢી વર્ષના કાર્યકાળ માટે મુખ્યમંત્રી પદ સોંપાય તેવી પણ શકયતા છે. પહેલા અઢી વર્ષ ડી.કે શિવકુમારને આપવા જોઇએ તેમ સિદ્ધારમૈયા કહ્યું છે.