કોરોના મહામારીમાં શાળાઓ દ્વારા અપાતા ઓનલાઈન શિક્ષણ અને સ્વનિર્ભર શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી મામલે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. વાલીઓને રાજ્ય સરકાર તરફથી ફી મામલે મોટી રાહત અપાઈ છે. હાઈકોર્ટના સ્પષ્ટ આદેશ બાદ શિક્ષણ વિભાગે સૂચના આપી છે કે જ્યાં સુધી સ્કૂલો ન ખુલે ત્યાં સુધી કોઈ શાળા ફી ભરવા માટે દબાણ નહીં કરી શકે.
હાઈકોર્ટે વાલીઓને મોટી રાહત
શાળા સંચાલકોને ઝટકો
`ફી માટે નહીં કરી શકાય દબાણ'
આ સાથે જ વધુમાં જણાવ્યું હતું કે, જો સ્કૂલ સંચાલકો તરફથી ફી માટે દબાણ કરવામાં આવશે તો તેની સામે DEOએ કડક પગલા ભરવાના રહેશે...હાઈકોર્ટના આ આદેશથી વાલીઓમાં ખુશી જોવા મળી રહી છે.
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન
કોરોના મહામારીમાં સ્કૂલ ફીને લઈ વાલીઓને હાઈકોર્ટે મોટી રાહત આપી છે. ત્યારે શાળાઓની ફી બાબતે સરકારના પરિપત્રને લઈ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહારો કર્યા હતા.
દોશીએ કહ્યું કે કોરોના મહામારીમાં શિક્ષણ ક્ષેત્રને સૌથી વધારે અસર થઈ છે. શાળાઓ બંધ હતી તો ફી કેમ વસુલ કરે છે? શાળા સંચાલકો ફરજિયાત ફી ભરવા દબાણ કરે છે. સરકારની મિલીભાગતને કારણે સંચાલકોને ખુલ્લો દોર મળ્યો છે.
VTVનો વાલી મંડળે માન્યો આભાર
હાઇકોર્ટે આપેલા રાહતથી વાલીઓનો ફી ભરવાની ઝંઝટમાં રાહત મળી છે. વાલીઓના પક્ષમાં ચુકાદો આવતા વાલી મંડળે વીટીવીનો પણ આભાર માન્યો હતો. આપને જણાવી દઇએ કે, વીટીવી દ્વારા ફી માફીને લઇને રાજ્યવ્યાપી ઝુંબેશ ચલાવી હતી. આ ઝુંબેશમાં રાજ્યની કેટલીય શાળાઓ જોડાઇ હતી અને વિદ્યાર્થીઓની ફી માફ કરી હતી.
8મી જૂનથી શાળાઓનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું હતું
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં 8મી જૂનથી શાળાઓનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું હતું, પરંતુ ઉપરના નિર્દેશો મુજબ શાળાઓ વાસ્તવિક રીતે શરૂ થઈ શકી નથી. જોકે, વિદ્યાર્થીઓને ઘરે બેઠાં શિક્ષણ મળી રહે તે હેતુથી રૂપાણ સરકાર દ્વારા 5મી જૂનના ઠરાવથી હોમ લર્નિંગ અન્વયે શૈક્ષણિક કાર્ય હાથ ધરવા સૂચનાઓ બહાર પાડી છે. જે તમામ શાળાઓ માટે બંધનકર્તા છે.