બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / વીજ બચતથી ટકાઉ વિકાસ તરફ ગુજરાત સરકારનું મોટું પગલું, સરકારી કચેરીઓ માટે નવી ઊર્જા માર્ગદર્શિકા જાહેર
Last Updated: 11:15 AM, 26 June 2026
Energy Saving Campaign : રાજ્યમાં વધતી વીજળીની માંગ, ગ્લોબલ વોર્મિંગ અને ઊર્જા સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં વ્યાપક ઊર્જા બચત અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. “વીજ બચત એ જ વીજ ઉત્પાદન”ના સૂત્ર સાથે શરૂ થયેલી આ પહેલનો મુખ્ય હેતુ અનાવશ્યક વીજ વપરાશ ઘટાડીને કાર્યક્ષમ અને પર્યાવરણમૈત્રી શાસન વ્યવસ્થા ઉભી કરવાનો છે.
ADVERTISEMENT
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર હવે તમામ વિભાગો, બોર્ડ-કોર્પોરેશનો તેમજ જાહેર કચેરીઓએ વીજ બચત માટે ચોક્કસ પગલાં અમલમાં મૂકવાના રહેશે. આ અભિયાન અંતર્ગત કચેરીઓમાં આધુનિક ટેકનોલોજી આધારિત ઊર્જા વ્યવસ્થાપનને પ્રાથમિકતા આપવામાં આવશે.
માર્ગદર્શિકા મુજબ તમામ સરકારી કચેરીઓમાં એર કન્ડીશનરનું ડિફોલ્ટ તાપમાન ૨૪ ડિગ્રી સેલ્સિયસ રાખવાનું રહેશે. કચેરીઓના કોરિડોર, મીટિંગ રૂમ, પાર્કિંગ અને શૌચાલયોમાં ઓક્યુપન્સી સેન્સર અને ટાઈમર આધારિત ઓટોમેશન સિસ્ટમ લાગુ કરવામાં આવશે જેથી જરૂર મુજબ જ વીજળીનો ઉપયોગ થાય. આ ઉપરાંત જૂની અને વધુ વીજ વપરાશ કરતી લાઈટોને તબક્કાવાર દૂર કરીને ઊર્જા કાર્યક્ષમ LED લાઈટો સ્થાપિત કરવામાં આવશે. ભવિષ્યમાં ખરીદાતા સાધનોમાં પણ ઊર્જા બચતને ધ્યાનમાં રાખીને 5-સ્ટાર રેટિંગ ધરાવતા ઉપકરણોને અગ્રતા આપવામાં આવશે.
ADVERTISEMENT
સરકારી કચેરીઓમાં વીજ બચત ઝુંબેશ શરૂ, વીજ બચતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કચેરીને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત પણ કરવામાં આવશે#EnergySaving #ElectricitySaving #GujaratGovernment #GreenInitiative #GovernmentOffices #Sustainability #VTVDigital pic.twitter.com/wxZ3dPlRkT
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 26, 2026
સરકારે કચેરીઓમાં જવાબદાર વીજ વપરાશ માટે કર્મચારીઓ અને અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરી છે. ઓફિસ સમય પૂર્ણ થયા બાદ અથવા જાહેર રજાઓ દરમિયાન લાઈટ, પંખા, કમ્પ્યુટર અને એસી બંધ રાખવાની ફરજિયાત વ્યવસ્થા કરવામાં આવશે. ખાલી કેબિનમાં વીજ ઉપકરણો ચાલુ ન રહે તેની દેખરેખ માટે વિભાગીય જવાબદારી નક્કી કરવામાં આવશે.
ADVERTISEMENT
ગ્રીન એનર્જી દિશામાં આગળ વધવા માટે સરકારી ઇમારતોમાં સોલાર પેનલ સ્થાપનને પ્રોત્સાહન આપવામાં આવશે. જ્યાં પહેલેથી સોલાર સિસ્ટમ કાર્યરત છે ત્યાં તેની ક્ષમતા અને કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે. માત્ર માર્ગદર્શિકા પૂરતી નહીં પરંતુ તેની અસરકારક અમલવારી માટે દરેક વિભાગે આગામી ૪૫ દિવસમાં પોતાનો “ઓફિસ એનર્જી એફિશિયન્સી એક્શન પ્લાન” તૈયાર કરી સબમિટ કરવાનો રહેશે. નિયમિત અહેવાલો અને દર વર્ષે થર્ડ પાર્ટી એનર્જી ઓડિટ દ્વારા સમગ્ર પ્રક્રિયાની દેખરેખ રાખવામાં આવશે.
આ પણ વાંચો : દેશભરની શાળાઓમાં હવે મેનેજમેન્ટ કમિટી ફરજિયાત, વાલીઓ-શિક્ષકો સહિતના લોકો હશે સામેલ
ADVERTISEMENT
વીજ બચતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કચેરીને સન્માનિત કરાશે
રાજ્ય સરકારે એ પણ જાહેર કર્યું છે કે ઊર્જા બચતમાં શ્રેષ્ઠ કામગીરી દર્શાવતી કચેરીઓને વિશેષ માન્યતા અને સન્માન આપવામાં આવશે. આ પહેલ માત્ર વીજ બચત નહીં પરંતુ ભવિષ્યની ઊર્જા સુરક્ષા અને ટકાઉ વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.