ખેતી બેંકમાં લોન લેનારા ખેડૂતો માટે મહત્વની જાહેરાત. જે ખેડૂતોની લોન બાકી હોય તેમને 25 ટકા રકમ ભરવાની રહેશે
ખેતી બેંકમાં લોન લેનારા ખેડૂતોને રાહત
લોન બાકી હોય તેવા ખેડૂતોએ 25 ટકા રકમ જ ભરવી પડશે
ખેડૂતોને મળશે 150 કરોડની રાહત
કેન્દ્રીય બજેટમાં ખેડૂતો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે. જેનો સીધો જ લાભ રાજ્યના 50 હજાર જેટલા ખેડૂતોને મળશે.
ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત
રાજ્ય સરકારે તાજેતરમાં લીધેલ નિર્ણય પ્રમાણે, જે ખેડૂતોએ ખેતી બેંકમાંથી લોન લીધી હોય અને તેની ચુકવણી બાકી હોય તેવા ખેડૂતોએ માત્ર 25 ટકા રકમ ભરવાની રહેશે.
ખેડૂતોને લોનના 25 ટકા જ ભરપાઈ કરવાની રહેશે
કેન્દ્ર દ્વારા રજૂ કરાયેલા સામાન્ય બજેટના બીજા જ દિવસે ગુજરાતના ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. ખેતી બેંકમાંથી લોન લીધેલા ખેડૂતો તેમની બાકીની રકમના 25 ટકા જ ભરપાઈ કરવાની રહેશે. 25 ટકા રકમ ભરાશે તો બાકીની રકમ માફ કરવાની મંજૂરી આપી દેવાઈ છે. આ જાહેરાતથી 50 હજાર ખેડૂતોને સીધો લાભ થશે. આ સમગ્ર યોજનાથી 150 કરોડ રૂપિયાની ખેડૂતોને રાહત મળશે. આ યોજનાનો લાભ માત્ર ખેતીબેંકના ખેડૂતોને મળશે તેવું પણ જણાવાયું છે. આ યોજના પાકધીરાણ કે પાકવીમા સંબંધિત નથી.
કોંગ્રેસે કહ્યું સરકાર અમલીકરણ પહેલા જાહેરાતો કરીને ઉત્સવ ઊજવે છે
કોંગ્રેસે બીજી બાજુ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ભાજપ સરકાર જાહેરાતો તો કરે છે પરંતુ તેનું અમલીકરણ પારદર્શિતાથી થતી નથી. આવામાં આ જાહેરાત પણ ગ્રાઉન્ડ લેવલ પર કેટલી ખરી ઉતરે છે તે જોવાનું રહેશે. ખેડૂતોને તો સરકાર જેટલું આપે તેટલું ઓછું છે પરંતુ ખરેખરમાં ખેડૂતોને લાભ મળે તે થવું જરૂરી છે. ભૂતકાળમાં પણ ઘણી સબસિડી અને યોજનાઓની જાહેરાત કરાઈ છે પરંતુ તેમાં પણ કેટલી સમસ્યાઓ આવી છે.