1 જુલાઈથી ઘણાં બેંકિંગ નિયમો બદલાવાના છે. જેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. 1 જુલાઇથી એટીએમમાંથી રોકડ ઉપાડવાના નિયમો બદલાવા જઈ રહ્યા છે. સાથે જ લોન મોરેટોરિયમ, બચત ખાતામાં મિનિમમ બેલેન્સ જેવી બાબતો સામેલ છે. હવે બેંકો 30 જૂનથી આ તમામ નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. એવામાં તમામ બેંકિંગ ગ્રાહકોએ આ નિયમો જાણી લેવા જરૂરી છે.
જુલાઈથી બદલાઈ જશે બેંકના આ નિયમો
બેંકિંગ ગ્રાહકોએ આ નિયમો જાણી લેવા જરૂરી છે
સેવિંગ એકાઉન્ટ પર મળતું વ્યાજ ઘટશે
પંજાબ નેશનલ બેંક (પીએનબી)એ બચત ખાતા પરના વ્યાજ દરમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. 1 જુલાઈથી બેંકના બચત ખાતા પર વાર્ષિક મહત્તમ 3.25 ટકા વ્યાજ મળશે. પીએનબીના બચત ખાતામાં 50 લાખ સુધીના બેલેન્સ પર 3 ટકા વાર્ષિક અને 50 લાખથી વધુની રકમ પર 3.25 વાર્ષિક વ્યાજ મળશે. આ અગાઉ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ અને કોટક મહિન્દ્રા બેંકે પણ બચત ખાતા પર આપવામાં આવતા વ્યાજમાં ઘટાડો કર્યો હતો.
1 જુલાઈથી એટીએમમાંથી કેશ કાઢવાના નિયમમાં ફેરફાર
લોકડાઉન અને કોરોનાને કારણે એટીએમમાંથી રોકડ ઉપાડવાના નિયમો બદલવા જઈ રહ્યા છે, જે તમારા ખિસ્સા પરનો ભાર વધારશે. 1 જુલાઇથી તમારા માટે એટીએમ કેશ કાઢવા પર ચાર્જ ચૂકવવો પડશે. નાણાં મંત્રાલયે એટીએમમાંથી રોકડ ઉપાડવા માટેના તમામ ટ્રાન્ઝેક્શન પરના ચાર્જ હટાવી લીધા હતા. એટીએમ ટ્રાન્ઝેક્શન ફી ત્રણ મહિના માટે હટાવીને કોરોના સંકટમાં લોકોને રાહત આપી હતી. આ છૂટ ત્રણ મહિના માટે હતી, જે 30 જૂન 2020એ સમાપ્ત થઈ જશે.
મિનિમમ બેલેન્સ રાખવાની મર્યાદા
કોરોના સંકટ દરમિયાન નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જાહેરાત કરી હતી કે કોઈ પણ બેંકમાં બચત ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવું નહીં પડે. આ સુવિધા એપ્રિલથી જૂન માટે હતી. ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવા પર કોઈ ચાર્જ લેવામાં આવ્યો નહોતો. પણ હવે 30 જૂનથી આ છૂટ નહીં મળે અને ગ્રાહકોએ મિનિમમ બેલેન્સ રાખવું પડશે.