બોલિવુડની અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે હાલમાં જ કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. તેઓ ઉત્તરી મુંબઇ લોકસભા ચૂંટણી બેઠક પરથી ચૂંટણી લડવા જઇ રહ્યાં છે. ઉર્મિલા માતોંડકરે પોતાના બોલિવુડ મિત્રોને ચૂંટણી કેમ્પેઇનમાં સહાયતા કરવા આમંત્રિત કર્યાં છે. જો કે ઉર્મિલાએ એમ પણ જણાવ્યું છે કે હવે એ જોવાનું રહ્યું કે કોણ લોકો મને મદદ કરવા આવે છે.
કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલાએ કહ્યું કે જો કોઇ આવે તો ઘણું સારું છે, અને જો કોઇ નથી પહોંચી શકતું તો તે પણ ઠીક છે. બોલિવુડ અભિનેત્રી અને કોંગ્રેસ ઉમેદવાર ચૂંટણીને લઇને કેમ્પેઇન માટે મુંબઇમાં હતા. ઉર્મિલા માતોંડકરે કેટલાક ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી.
ઉર્મિલાએ પોતાના અત્યાર સુધીના રાજનૈતિક અનુભવ અંગે બોલી કે હું ઘણી જોશમાં છું અને મારે હજુ ઘણી સફર કાપવાનું છે. ઉર્મિલાએ કહ્યું કે ફિલ્મોમાં જીવન સરળ નથી અને એક રાજનેતા તરીકે પણ જીવનમાં અનેક પડકારો છે. હું જ્યાં પણ જાઉં છું ત્યાં મારી ઓળખ ઉભી કરવા માટે પૂરતા પ્રયાસ કરૂ છું. ઉલ્લેખનીય છે કે, ઉર્મિલા માતોંડકરને ઉત્તર મુંબઈ લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને ભાજપના ગોપાલ શેટ્ટી સામે તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું લોકો તમને મત આપશે ત્યારે તેના જવાબમાં કહ્યું કે મારી ઇમાનદારી જ મારી યૂએસપી છે. મને આશા છે કે લોકો મને જરૂરથી પસંદ કરશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓએ આ બેઠક પરથી ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો જેને લઇને ઉર્મિલા માતોંડકરને આ બેઠક પરથી ચૂંટણી લડવાની તક મળી ગઇ.