ભારતમાં ઘણા અદભૂત મંદિરો આવેલા છે. તેમાંથી એક હિમાચલ પ્રદેશના કુલ્લુ (Kullu)માં સ્થિત છે, જે વીજળી મહાદેવ(bijli mahadev) તરીકે ઓળખાય છે. કુલ્લુનો સંપૂર્ણ ઇતિહાસ મહાદેવ સાથે જોડાયેલો છે.
કુલ્લુ શહેરમાં બ્યાસ અને પાર્વતી નદીના સંગમ નજીક એક ઉચ્ચ પર્વત પર વીજળી મહાદેવનું પ્રાચીન મંદિર આવેલ છે. તે સમગ્ર કુલ્લુ ખીણમાં એવું માનવામાં આવે છે કે આ ખીણ એક વિશાળ સાપ જેવા આકારની છે. આ સાપનો વધ ભગવાન શિવ દ્વારા કરવામાં આવ્યો હોવાની માન્યતા છે.
દર 12 વર્ષે પડે છે વીજળી
આપને જણાવી દઇએ કે, મંદિર જ્યાં સ્થિત છે તે સ્થળે દર બાર વર્ષે વીજળી પડે છે. વીજળીનો પડવાથી મંદિરનું શિવલિંગ તૂટી જાય છે. અહીંના પૂજારી આ ખંડીત શિવલિંગના ટુકડાઓ ભેગા કરે છે અને તેને માખણની સાથે જોડે છે. જો કે, થોડા મહિના પછી, શિવલિંગ એક નક્કર સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય છે. આ શિવલિંગ પર દર બાર વર્ષમાં શા માટે વીજળી પડે છે અને આ સ્થળનું નામ કુલ્લુ શા માટે છે તેની પાછળ એક દંતકથા છે. જો કે, શિવલિંગ પર પડતી વીજળી પાછળનું રહસ્ય હજી સુધી કોઇ વ્યક્તિ ઉકેલી શક્યું નથી.
શું છે માન્યતા
વીજળી શિવલિંગ પર પડવા અંગે કહેવામાં આવે છે કે ભગવાન શિવ નહોતા ઇચ્છતા કે જ્યારે વીજળી પડે તો કોઇ જન-ધનને નુકસાન પહોંચે, ભગવાન લોકોને બચાવવા માટે આ વીજળીને પોતાના પર લઇ લે છે.
આ કારણે ભગવાન શિવને અહીં વીજળી મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. ભાદરવા મહિનામાં આ સ્થળે મેળો યોજાય છે. કુલ્લુ શહેરથી વીજળી માહાદેવ સુધી પહોંચવા 7 કિલોમીટરનું અંતર રહેલું છે. શિવરાત્રી દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. શિયાળામાં અહીં બરફનું આવરણ જોવા મળે છે, સમુદ્ર સ્તરથી 2450 મીટર ઉંચાઇ પર સ્થિત છે.
કેમ પડ્યું કુલ્લુ નામ
આ શિવલિંગ પર દર વર્ષે વીજળી કેમ પડે છે અને આ સ્થળનું નામ કુલ્લુ કેમ પડ્યું તેની પાછળ એક પૌરાણિક કથા છે. કુલાન્ત રાક્ષસે અજગરનું સ્વરૂપ લીધુ હતું. તે આ રૂપ ધારણ કરીને ધોગ્ધરધાર, લાહૌલા સ્પીતિ સેમથાણ ગામમાં ગયો હતો. દૈત્યરૂપી અજગર કોકડું વળીને બ્યાસ નદીમાં બેઠો જેથી નદીના પાણીને રોકી શકાય અને આ સ્થળને ડૂબાડી શકાય. ભગવાન શિવ કુલાન્તની આ યોજનાથી ચિંતિત થયા.
અજગરને મહામહેનતે ભગવાન શિવે વિશ્વાસમાં લીધો અને ભગવાન શિવે તેના કાનમાં કહ્યું તારી પૂંછડીમાં આગ લાગી છે. શિવની આ વાતથી તે પાછળની તરફ વળ્યો અને ભગવાન શિવે તેના મસ્તક પર વાર કર્યો અને તેનું મોત થયું. કુલાન્તના મોત બાદ તેનું શરીર એક વિશાળ પર્વતમાં પરિવર્તીત પામ્યું આ સ્થળે કુલાન્ત પરથી કુલ્લુ થયું હતું.